વડોદરા, તા.૧૮  

સયાજી હોસ્પિટલની કોવિડ સારવાર સુવિધા માટે ગઈકાલે ગુરૂવારે એક સાથે ૧૨ દર્દીઓને રોગ મુક્ત જાહેર કરતાં રજા આપવામાં આવી હતી. વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું હતુ કે, સરકારની અને અમારી મહેનત સાર્થક થયાનો સંતોષ મળ્યો છે. તમામ દર્દીઓ ખૂબ સારી છાપ લઈને ગયાં. અહીંની કોવિડ સારવાર ટીમ, લગભગ માર્ચ મહિનાથી ખૂબ સમર્પિત રીતે, રાત દિવસ, તહેવારો, પારિવારિક પ્રસંગો, રજાના દિવસ જેવી કોઈ જ ચિંતા કર્યા વગર કાર્યરત છે. તબીબો, નર્સિંગ સ્ટાફ અને સેવકો, બધાં જ સંકલન અને સમર્પણથી કામ કરી રહ્યાં છે ત્યારે આ ઘટના આખી ટીમ પ્રોત્સાહિત થઈ છે. ખાસ વાત એ છે આ તમામ દર્દીઓ ૫માં માળે સારવાર લઈ રહ્યા હતાં. રોગમુક્તોમાં ૫ મહિલાઓ અને ૭ પુરૂષોનો સમાવેશ થાય છે.તેમાં પણ સાવ યુવાન એવો એક દર્દી, જે લોહી સાથે સંકળાયેલા અન્ય રોગથી પણ પીડાતો હતો, એ પણ કાળજીસભર સારવારના પગલે કોરોનામાંથી રોગમુક્ત થતાં અમે સહુ પોરસાયાં છે.