દેવગઢ બારિયા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામે રોડ ઉપર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ પર સવાર બંને જણા સ્થળ પર જ મોત થયા હતા.

ગત મોડી સાંજે સાડા છ વાગ્યાના સુમારે અંધારામાં એક વાહન ચાલક તેના કબજાનુ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી સંજેલી તાલુકાના ભામણ ગામે રોડ ઉપર સામેથી આવી રહેલી જીજે.૨૦.એએન.૨૨૭૯ નંબરની મોટરસાયકલને જોશભેર ટકકર મારી નાસી જતા સર્જાયેલા ગોજારા બનાવમાં મોટરસાયકલ પર સવાર મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડની મુવાડી ગામના કલ્પેશભાઈ ખેતાભાઇ માલીવાડ તથા કમલેશભાઈ તેરસીંગભાઈ માલીવાડ એમ બંને જણા મોટર સાયકલ પરથી ફંગોળાઇ રોડ પર પટકાતા બંનેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા બંને જણાનું સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બામણ ગામના આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને તેઓએ ૧૦૮ તેમજ સંજેલી પોલીસને જાણ કરતા ૧૦૮ તેમજ સંજેલી પોલીસ ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવી હતી અને બંને મૃતકોની લાશનું પોલીસે પંચો રૂબરૂ પંચનામું કરી પી.એમ માટે બંનેની લાશને સંજેલી સરકારી દવાખાને મોકલી આપી મૃતકોના સ્વજનોને આ અંગેની જાણ કરી હતી. મૃતકોના સ્વજનો સંજેલી સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને તે વખતે હૈયાફાટ રૂદનથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ સંબંધે જાનવડની મુવાડી ગામના તેરસીંગભાઈ હરજીભાઈ માલીવાડએ નોંધાવેલી ફરિયાદના આધારે સંજેલી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.