રાજકોટ-

રાજકોટમાં પોલીસનો ખૌફ ઓસરી ગયો હોય તેમ ભરબપોરે ૨૦ લાખની લૂંટને અંજામ આપી બે શખસ પલાયન થયાની ઘટના સામે આવી છે. શહેરના કરણસિંહજી રોડ પર આજે ભરબપોરે બે શખસે રિક્ષામાં બેઠેલા સોની વેપારી દિપકભાઈ અશોકભાઇ જાેગીયાને આંતરી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને બંદુકની સોનાના ૫ બિસ્કીટ સહિત ૨૪ લાખની લૂંટ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આ બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો છે અને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે. લૂંટારૂઓ ઈરાની ગેંગની હોવાની પ્રાથમિક શંકા દર્શાવવામા આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં શહેરના કરણસિંહજી હાઈસ્કૂલવાળા રોડ પર સિટી ગેસ્ટ હાઉસ નજીકથી સોની વેપારી દિપકભાઈ પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓચિંતા બે શખસે તેમને અટકાવ્યા હતા અને ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને વેપારીને ચેકિંગ કરવા દેવાની સૂચના આપી હતી. આથી સોની વેપારી ગભરાય ગયા હતા. આ દરમિયાન બંને શખસે બંદુક બતાવીને વેપારીના ખિસ્સામાંથી ૫૦૦ ગ્રામ સોનુ તથા રોકડ મળીને ૨૦ લાખથી વધુની કિંમતની લૂંટ ચલાવી લીધી હતી અને ક્ષણભરમાં ગાયબ થઈ ગયા હતા.

લૂંટની ઘટનાથી હેબતાય ગયેલા વેપારી દિપકભઆઈ તુરંત જ દેકારો કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો લૂંટારૂઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો ધસી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરવામા આવી હતી અને લૂંટનો ભોગ બનેલા વેપારી પાસેથી લૂંટારૂઓના વર્ણન સહિતની વિગતો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

લૂંટની ઘટનાની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. લૂંટારૂઓ પેલેસ રોડ બાજુથી આવ્યાનું અને ત્રિકોણબાગના રસ્તે નાસી ગયા હોવાનુંપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લૂંટનો ભોગ બનેલા વેપારી જૂનાગઢના છે અને રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચના નામે લૂંટારૂઓએ રિક્ષા અટકાવી હતી. બેગની તપાસ કરવાનું કહ્યું હતું અને રિક્ષા બાઈકની પાછળ લેવા સૂચના આપી હતી. રિક્ષાચાલક અને વેપારી કંઈ સમજે તે પૂર્વે બંને લૂંટારૂ બાઈકમાં ફરાર થઈ ગયા હતા.