પાવી જેતપુર : પાવીજેતપુર તાલુકાના બારાવાડ ખાતે આવેલ તેલાવ માતાના મંદિરના ઓટલે સુતેલા બે નવયુવાનોને સાપ કરડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યું છે. 

પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારના કેટલાક કડિયા કામ કરતા લોકો તાલુકાના બારાવાડ ગામે આવેલ તેલાવ માતાના મંદિરના ઓટલા ઉપર રહેતા હતા, તેમજ આજુબાજુના ગામોમાં જઈ કડિયા કામ કરતા હતા. ગતરાત્રિ સુતેલા કરસનભાઈ વલુભાઈ રાઠવા ( ઉ.વ. ૨૩ ) મૂળ રહેવાસી વિરપુર, તાલુકો પાવી જેતપુર તેમજ શૈલેષભાઈ ગોહાડીયાભાઈ રાઠવા ( ૨૦ વર્ષ ) રહેવાસી બોરકંડા, તાલુકો પાવી જેતપુર આ બંને નવયુવાનોને મળસ્કે ચાર વાગ્યાના અરસામાં એક નાનો ભૂરા કલરનો સાપ આવી કરડ્યો હતો. ઓટલા પર સૂતેલા તમામ વ્યક્તિઓ ચાર વાગ્યાના અરસામાં જાગી જઈ જમવાનું બનાવવાની તૈયારી કરતા હોય તે જ સમયે આ બંને નવયુવાનોને સાપ કરડ્યો હતો. કરસનને કરડયો હોય તે જોઈ શૈલેષભાઈ સાપ ઉપર હુમલો કરી એને મારી નાખ્યો હતો. ત્યાં સુધી શૈલેષભાઇને તો ખબર જ નહોતી કે તેમને પણ સાપ કરડ્યો છે. કરસનભાઈને પહેલા કદવાલ વિસ્તારમાં મહારાજ પાસે લઈ જવામાં આવ્યા ત્યાંથી તેઓએ ના કહી દેતાં બોડેલી લાવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે શૈલેષભાઇને તબિયત લથડતા તેઓને પાવીજેતપુર લાવી બોડેલીથી વડોદરા મુકામે ખસેડવામાં આવ્યા હતા વડોદરા લઈ જતા રસ્તામાં તેઓનું મોત થયું હતું.