અમદાવાદ-

રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ અને ૧૨ની ૧૦મી મેથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરીને ધો-૧થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપીને વહેલા વેકેશન જાહેર કરવાની માગણી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ કોરોના રોકેટ ગતિથી આગળ વધી રહ્યો છે, તે જોતાં આગામી મે માસ સુધીમાં યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાઓ લઇ શકાય તેમ નથી. સેમેસ્ટરમાં હાલ ઓનલાઇનના માધ્યમથી અભ્યાસ પૂરો થઇ ચૂક્યો છે આ સ્થિતિમાં કોલેજો ચાલુ રાખવાનો પણ કોઇ અર્થ નથી. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે, પરિસ્થિતિ અનુકુળ થયા બાદ UG-PGના અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ લઇને બાકીના સેમેસ્ટરના વિદ્યાર્થીઓને હાલમાં ગત વર્ષની જેમ મેરીટ બેઝડ પ્રોગેશન આપવું જોઇએ.

આ પ્રકારના નિર્ણય કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાના તણાવમાંથી બહાર આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી પરથી પરીક્ષાનું ભારણ ઘટાડીને આગામી શૈક્ષણિક વર્ષને સમયસર શરૂ કરી શકાય તેમ છે. હાલની પરિસ્થિતિ જોતાં મે માસના અંત સુધી પરીક્ષાનું આયોજન થઇ શકે તેમ નથી. દર વર્ષે મે માસમાં વેકેશન હોય છે. આ વર્ષે મોટાભાગની યુનિવર્સિટીઓએ ૧લી જૂનથી ૩૦ જૂન વેકેશન જાહેર કર્યું છે, તેના બદલે હાલની જોખમી પરિસ્થિતિમાં વેકેશન આપવામાં આવે તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી જૂન માસમાં વહેલું સત્ર બોલાવીને પરીક્ષાનું આયોજન કરી શકાય તેમ છે. આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે તો કોરોના સંક્રમણની ચેઇન પણ કંઇક અંશે તોડી શકાશે અને સૂચિત વેકેશનના દિવસોનો અન્ય કામગીરી માટે ઉપયોગ પણ કરી શકાય તેમ છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન જાહેર કરીને તાકીદે વેકેશન જાહેર કરવું જોઇએ તેવી માગણી કરાઈ છે.