વડોદરા,તા. ૨૭ 

એમ.એસ. યુનિવર્સીટી દ્વારા કોરોના મહામારીને કારણે ઓગષ્ટ મહિનામાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરાયા બાદ પરીક્ષાના સિલેબસ, પેપર સ્ટાઇલ સહીતના વિવિધ પરીક્ષાલક્ષી મુદ્દાઓને લઈને એબીવીપી દ્વારા આજે યુનિવર્સીટી હેડ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને કારણે સૌથી વધારે શિક્ષણતંત્ર સૌથી વધુ ખોરવાયું છે. આ વચ્ચે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા થોડા દિવસો અગાઉ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. જેની જાહેરાત કરાયા બાદ ઓનલાઇન માધ્યમથી લેવામાં આવનાર આ પરીક્ષાઓના સિલેબસ, પેપર સ્ટાઇલ તેમજ પરીક્ષાલક્ષી ગાઇડલાઇન અંગે યુનિવર્સીટી સત્તાધીશો તરફથી કોઈ જાણકારી વિદ્યાર્થીઓ માટે જાહેર નહિ કરવામાં આવી હોવાથી આજરોજ એબીવીપીના કાર્યકરોએ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી અને ધરણાપ્રદર્શન કરીને આ અંગે જલ્દીથી કોઈ પગલાં લેવાની માંગ કરી હતી.