વડોદરા-

કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇ ની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્ગેનિક) ખેતી શરૂ કરવામાં આવી છે.યાદ રહે કે ગુજરાત સરકારે સેન્દ્રીય ખેતી પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકી છે ત્યારે આ સરકારી નીતિને સુસંગત પગલું છે.

આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક શ્રી બળદેવસિંહ વાઘેલા એ જણાવ્યું કે જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ જન્ય સુકો જૈવિક કચરો ભેગો થાય છે.તેમાં છાણ નું મિશ્રણ કરીને કંપોસ્ટ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવવામાં આવી રહ્યું છે.આમ,કચરાના નિકાલ ની સરળતા થઈ છે અને કચરામાં થી કંચન જેવું ખાતર બની રહ્યું છે. આ ઉપરાંત આ કચરાની સાથે ગૌમૂત્ર,ગોળ, છાણ અને લોટના મિશ્રણ થી પ્રવાહી સેન્દ્રીય ખાતર જીવામૃત બનાવવામાં આવે છે જે ખેતી ને પોષક બની રહેશે.આમ,આ પહેલથી જેલની ખેતી સાત્વિક અને શુદ્ધ બની છે.જેલની આ પહેલ પર્યાવરણ રક્ષણમાં પણ મદદરૂપ બનશે.