વડોદરા-

કોરોનાને લઈ અનલોકમાં ગુજરાત સરકારની ભેદભાવભરી નીતિ સામે શહેરના કલાજગતમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કલાકારો, ફરાસખાના ધારકો અને ડી.જે.ના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. અનલોકમાં સરકાર દ્વારા એક તરફ લગ્ન પ્રસંગો માટે 200 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે. તો બીજી તરફ ડીજે તેમજ કલાકારોના કાર્યક્રમો માટે કોઈ મંજૂરી નહીં મળતા કલાકારો ભારે વિરોધ કરી રહ્યા છે. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે 300થી વધુ કલાકારો ભેગા થઈ સરકાર સામે દેખાવો કર્યા હતા. તેમજ અનલોક બાબતે ભેદભાવભરી નીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કલાકારોએ કહ્યું હતું કે, છેલ્લાં 8 મહિનાથી કલાકારોની આવક બંધ થઈ ગઈ છે. ત્યારે સરકાર મદદ કરવાના બદલે કલાકારો કેવી રીતે હેરાન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. જો સરકાર નીતિ નહી બદલે તો નાછૂટકે અમારે આંદોલનનો માર્ગ લેવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.