રાનકુવા, જલાલપોર તાલુકાનાં તવડી ગામના સરપંચ અને તલાટીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમ્યાન કચેરીમાં ધમાલ મચાવતા પોલીસે ૨૫૦ જેટલા ગ્રામજનોની અટક કરી હોવાનું જાણવા મળે છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ રજુઆત કરવા ગયેલા ૨૫૦ જેટલા ગ્રામજનોની પોલીસે અટક કરી હતી. સરપંચ અને તલાટીએ ગામના ૫ જેટલા તળાવ અને ગૌચરની જમીનમાંથી કરોડો રૂપિયાની માટી કાઢી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. તેમજ વિવિધ કામોમાં કુલ ૩૫ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાવ્યુ હતું. જે અંગે કલેકરને રજુઆત કરવા ગયેલ ગ્રામજનોએ કચેરીમાં ધમાલ મચાવતા પોલીસને બોલાવવામાં આવી હતી અને તમામની અટકાયત કરવામાં આવી છે. ગ્રામજનોની અટકાયત કરવા ગયેલ પોલીસ અધિકારી સાથે ઝપાઝપી અને બોલચાલ થતાં મામલો ગરમાયો હતો.