ગાંધીનગર-

એસ.ટી.નિગમ દ્વારા ૨૨ ઓગસ્ટથી વોલ્વો અને એસી/એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ તબકકામાં ૪૦ બસો દોડાવાશે. આ સિવાય સુરતથી એસ.ટી.બસોનું જે સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું તે આજથી ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી હવે સુરત જતી અને સુરતથી આવતી તમામ એસ.ટી.બસો દોડતી શરૂ થશે. અગાઉ નિગમ દ્વારા આખા રાજયમાં કુલ ૧૮૯ વોલ્વો અને એસી બસો દોડાવવામાં આવતી હતી પરંતુ કોરોના મહામારીના કારણે ૨૨ માર્ચથી આ સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

પ્રિમીયમ એસ.ટી.બસોમાં કુલ વોલ્વોની ૧૭ બસો અમદાવાદનાં નહેરૂનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નહેરૂનગરથી નવસારી વચ્ચે શરૂ કરાશે. આ સિવાય એસી સીટરની કુલ ૧૩ બસોને અમદાવાદથી ડિસા, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી મોરબી અને ગાંધીનગરથી અમરેલી વચ્ચે બસો દોડાવાશે. ઉપરાંત એસી સ્લીપરની કુલ ૧૦ બસોને ગાંધીનગરથી દ્વારકા, ગાંધીનગરથી સોમનાથ, ગાંધીનગરથી દિવ, ગાંધીનગરથી ભુજ અને ભુજથી વડોદરા વચ્ચે શરૂ કરાશે. કોરોનાના કેસની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાના કારણે સુરત આવતી અને જતી તમામ એસ.ટી.બસ સ્થગિત રાખવાનો નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે હજુ સ્થિતિ થાળે પડી ન હોવાથી ૫મી ઓગસ્ટ સુધી વધુ ૭ દિવસ સુધી આ સેવા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે કાલથી સુરતની એસ.ટી.બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.