ગાંધીનગર-

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે. 

 આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના સામે સંઘર્ષ કરે છે. કુદરતે ભારતની વિશેષ કસોટી આ સમયમાં બે-બે વાવાઝોડાથી કરી છે. આમ છતાં, આ સંઘર્ષ સામે નેતૃત્વ શક્તિ, સેવા સંગઠનો અને જનસહયોગથી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે સફળ થયા છીયે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં તિલકવાડા, સાગબારા, દસક્રોઇ, સોલા, કપડવંજ, કાલાવાડ, પોરબંદર, મહેસાણા અને ભાણવડમાં સ્થપાયેલા કુલ-૯ ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા હતા. 

 વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી કોરોનાની આ બીજી લહેરમાં જન સેવાનું ઉમદા કાર્ય થયું છે એમ પણ શ્રી અમિતભાઇ એ ઉમેર્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન એ સૌથી મોટી ચૂનૌતી આપણા માટે હતી. ઓક્સિજનની રોજિંદી જરૂરિયાત ૧ હજાર ટનથી વધીને ૧૦ હજાર મે.ટન થઇ ગઇ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આ ચેલેન્જને સ્વીકારી લઇને રાજ્યોએ પણ સહયોગ આપ્યો, કાયોજેનિક ટેન્કર લગાવીને સરકારે ટ્રેન દ્વારા ઓક્સિજન દેશના રાજ્યોમાં મોકલ્યો અને ઓક્સિજનની ઘટ પડવા દીધી નથી. 

અમિત શાહે ઉમેર્યુ કે, હવે આપણા સહિયારા પ્રયાસો, તબીબો, પેરામેડિકલ, વોરિયર્સ સૌના અવિરત યોગદાનથી કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ લાવી શકાયું અને ઓક્સિજનની માંગ રોજના ૩પ૦૦ મે.ટન પર આવી ગઇ છે. તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં મળેલી સફળતાને પણ આ તકે બિરદાવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોરોના સામેના વેક્સિનેશનમાં પણ વધુને વધુ લોકોને ત્વરાએ આવરી લઇ કોરોનાથી રક્ષણ આપવાની પ્રધાનમંત્રીની મનસા વ્યકત કરી હતી. ગુજરાત વેક્સિનેશનમાં પણ અગ્રેસર છે તેની તેમણે સરાહના કરી હતી. 

 અમિતભાઇ શાહે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને વૈષ્ણવ યુવાઓને એક સેવા છત્ર નીચે આવરી લઇ ૧પ દેશોના ૪૬ શહેરોમાં સેવા ફલક વિસ્તાર્યુ છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. વી.વાય.ઓ દ્વારા ગુજરાતમાં શરૂ થયેલા ર૯ ઓક્સિજન પ્લાન્ટ રાજ્યમાં ઓક્સિજન ખપત પૂર્ણ કરવામાં ઉપયુકત બનશે એવો વિશ્વાસ ગૃહ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્રજરાજ કુમારજી મહારાજની પ્રેરણાથી સમાજસેવા, રાષ્ટ્રભક્તિ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ થાય તેવા કાર્યો કરી રહ્યું છે તેને બિરદાવ્યા હતા.