વડોદરા : બિચ્છુગેંગનો ફાઈનાન્સર અને મળતિયો હોવાનો આરોપ ધરાવતા ‘જગ્ગુ’ દ્વારા એનઆરઆઈના રૂા.૧ કરોડના બે ફલેટ પચાવી પાડવાના મામલામાં વાડી પોલીસની ભેદી ભૂમિકા બહાર આવી છે. અસલમ બોડિયો, મુન્નો તડબૂચ સહિત અન્ય સામે ‘ગુજસીટોક’નો ગુનો નોંધાયા બાદ ‘જગ્ગુ’ના પણ બહાર આવેલા પ્રકરણના અખબારી અહેવાલો બાદ વાડી પોલીસે એનઆરઆઈ વૃદ્ધને એક વર્ષ બાદ આરટીઆઈનો અધૂરો જવાબ આપ્યો છે.

શહેરના પ્રતાપનગર સોનપાલ પેટ્રોલ પંપ પાછળ આવેલ રાફિયાના મકાન નં.૪૦૨-૪૦૩ વસીમ સલાઉદ્દીન તોરબાઅલી જાપાનવાળા કે જે ૮૦ વર્ષની ઉંમર ધરાવે છે. એમને બિલ્ડરને પૂરેપૂરી રકમ ચૂકવી દીધા બાદ દસ્તાવેજ પણ કર્યો હતો. પરંતુ બિલ્ડર બંને ફલેટનું કામ પૂરું કરતો નહોતો. પરિચિત વ્યક્તિ દ્વારા અપ્સરા સ્કાયલાઈનના બિલ્ડર અને બિચ્છુગેંગને આર્થિક મદદ કરી રક્ષણ મેળવનાર ‘જગ્ગુ’ ઉર્ફે રજબદ્દીન જેનુદ્દીન શેખને મળ્યા હતા અને રાફિયા પાર્કના મકાન નં.૪૦૨-૪૦૩નો કબજાે જલદી અપાવવા માટે વિનંતી કરી હતી.

એ જ સમયે અસલમ બોડિયો, મુન્નો તડબૂચ અને ‘જગ્ગુ’ સાથે મળીને કાવતરું રચ્યંુ હતું અને વરસોથી જાપાન સ્થાયી થયેલા અને ગુજરાતી નહીં જાણતાં વસીમભાઈ પાસેથી મકાનનો કબજાે મેળવવા માટે પાવર ઓફ એટર્ની મેળવવાના બહાને ગુજરાતીમાં સેલડીડ તૈયાર કરાવી લીધું હતું અને નોટરીને હાજર રાખી સહી કરવાનું કહેતાં વસીમભાઈને શંકા ગઈ હતી, ત્યારે ‘જગ્ગુ’એ બંદૂકની અણીએ ધાકધમકી આપી સહી કરાવી લીધી હતી. આ બનાવ અંગે વસીમભાઈએ તા.૧૨-૬-૨૦૧૮એ વાડી પોલીસ મથકે અરજી કરી હતી અને તપાસની માગ કરી હતી. વાડી પોલીસે વસીમભાઈની અરજીની તપાસ કરી નહોતી. પરંતુ નિવેદન લેવાના બહાને વસીમભાઈ સામે છેતરપિંડીની ખોટી ફરિયાદ નોંધી એમને પૂરી દીધા હતા. વાડી પીઆઈ કે.પી.પરમાર ઉપર બિચ્છુગેંગ દ્વારા દબાણ લાવી ‘જગ્ગુ’ને ફરિયાદી બનાવી વસીમભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનરને રૂબરૂમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.

બીજી તરફ પોતાની સામે ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ ઊભી થતાં વસીમભાઈએ હાઈકોર્ટમાંથી એમની સામે કાર્યવાહી અંગે મનાઈહુકમ મેળવ્યો હતો. આમ મકાનનો કબજાે લેવા માટે ગયેલા વૃદ્ધને બિચ્છુગેંગના સાગરિત ‘જગ્ગુ’ની ચુંગાલમાં ફસાઈ ગયા હોવાથી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાયની માગ કરી હતી. એ અગાઉ તા.૭મી જાન્યુઆરી, ૨૦૨૦માં વૃદ્ધ એનઆરઆઈએ પોલીસ કમિશનર કચેરીમાં આરટીઆઈ કરી તા.૨૩-૯-૨૦૨૦ના રોજ એમને કરેલી અરજીની તપાસની વિગતો માગી હતી, જે અરજી વાડી પોલીસને તબદીલ કરાઈ હતી. પરંતુ જગ્ગુના દબાણ હેઠળ વાડી પોલીસે આરટીઆઈનો જવાબ એક વર્ષ સુધી આપ્યો નહોતો. આ મામલે ભાંડો ફૂટી જશે એવી બીકે હાલમાં પ્રકરણ અખબારી અહેવાલ બનતાં એનઆરઆઈને અધૂરો અને અસ્પષ્ટ જવાબ વાડી પોલીસે ઉતાવળે આપી દીધો છે. આ અંગે પણ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે.

----------------

‘’