અમદાવાદ-

આ લડતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક (I.H.B.T.) દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ બ્લડ બેન્ક દ્વારા થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરીને કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓ અતિ ગંભીર સ્વાસ્થ્ય અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દર્દીઓને સાજા કરવાની, સ્વસ્થ કરવાની અતિમહત્ત્વની ભૂમિકા નિભાવવામાં આવી રહી છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કુલ 505 થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 398 પ્રક્રિયા I.H.B.T બ્લડ બેન્ક વિભાગમાં અને 93 પ્રક્રિયા આઈ.સી.યુમાં જઈને, 14 પ્રક્રિયાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્યતઃ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ પ્રક્રિયા કરવામાં અંદાજે રૂ. 10 હજારથી વધુનો ખર્ચ થતો હોય છે, જે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી નારાયણને તદ્દન વિનામૂલ્યે સમગ્ર પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે. ડોક્ટર જે. પી. મોદી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં અમારી બ્લડ બેન્કમાંથી 58 હજારથી વધારે બ્લડ બેન્કની જરૂરિયાત ધરાવતા દર્દીઓને બ્લડ પૂરું પાડવામાં આવ્યું છે. 1600થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને લોહીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અથવા અન્ય સ્થળે સારવાર લઈ રહેલા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે 24 કલાક તે જરૂરિયાત સંતોષવા માટે અમારા હોસ્પિટલની બ્લડ બેન્ક સંકલ્પબદ્ધ છે