અમદાવાદ-

16 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરીનું લોકાર્પણ કર્યું હતું. આ એક્વાટિક ગેલેરી દેશનું સૌથી મોટું અને સર્વશ્રેષ્ઠ એક્વેરિયમ બન્યું છે, પરંતુ અહીંની 3થી 5 ટકા માછલીઓના મોત થઈ રહ્યા હોવાના ફોટો અને વીડિયો વાઇરલ થયા હતા. જેમાં એક્વાટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી ફૂલ 10 ઝોનમાંથી 188 પ્રજાતિની સેંકડો માછલીઓ એક્વાટિક ગેલેરીમાં લાવવામાં આવી છે. ત્યારે માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ પર પ્રશ્નો ઉઠ્યા હતા. એક્વાટિક ગેલેરીમાં માછલીઓ મરી રહી હોવાના ફોટા અને વીડિયો વાઇરલ થતા સાયન્સ સિટીના સત્તાધીશોને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, એક્વાટિક ગેલેરીની બધી ટેન્કમાં રહેલી માછલીઓ સ્વસ્થ છે. આ ઉપરાંત હાલ અહીં લાઇફ સેવિંગ સિસ્ટમ ફુલપૃફ તેમજ યોગ્ય ટેકનિકલ માર્ગદર્શન હેઠળ કાર્યરત હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો લાઈફ સપોર્ટ સિસ્ટમ ફેઈલ થઈ હોય તો તેની અસર તમામ ટેન્કમાં જોવા મળે અને મોટા ભાગની માછલીઓ મૃત્યુ પામે. આવો કોઈ જ બનાવ અહીં થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સાયન્સ સિટીમાં રૂપિયા 266 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી દેશની સૌથી મોટી એક્વાટિક ગેલેરીનું લોકાર્પણ કર્યું હતું. જેમાં માછલીઓના મોત થઈ રહ્યા હોવાના ફોટો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. દેશના સૌથી મોટા એક્વેરિયમના ઉદ્ધાટનના થોડા જ દિવસોમાં અનેક માછલીઓના મોત થતા હોવાના અહેવાલો સામે આવતા ચકચાર મચી હતી. જોકે, આ મામલે સાયન્સ સિટી તરફથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે, અહીં લાઇફ સેવિંગ સિસ્ટમ ફુલપૃફ છે. જેથી ટેન્કમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની કોઈ જ ઘટના બની નથી.