નવી દિલ્હી

કોરોનાની બીજી લહેર દિવસે દિવસે ઝડપથી વધતી જઈ રહી છે સંક્રમિતોની સંખ્યાની અસર હવે રેકોર્ડ મોતનુ રૂપ લઈ રહી છે. વર્લ્ડોમીટરના મુજબ રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં દેશમાં કુલ 2,75,306 નવા કેસ નોંધાયા. આ દરમિયાન 1625 કોરોના દર્દીઓના મોત થઈ ગયા. એક દિવસમાં કોરોનાના નવા સંક્રમિતો અને તેનાથી મોતનો આ સર્વોચ્ચ આંકડો છે.

આ પહેલીવાર છે જયારે એક દિવસમાં 2.74 લાખથી વધુ મામલા નોંધાયા છે. ખસ વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી નવા સંક્રમિતોનો આંકડો રોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,50,57,767 થઈ ગયા છે.

સંક્રમણના મામલામાં સતત 39મા દિવસે વધારો થયો છે. દેશમાં ઉપચાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 19 લાખને પાર થઈ ગઈ છે. હાલ કુલ સક્રિય દરદીઓની સંખ્યા 19,23,877છે, જે કુલ સંક્રમિતોના 12.76 ટકા છે.કોરોના સંક્રમિતોનો સાજા થવાનો દર (રિકવરી રેટ) ઘટીને 86 ટકા થઈ ગયો છે. આંકડા મુજબ આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે.

દેશમાં કોરોનાનો સંક્રમણ દર માત્ર બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બમણો થઈ ગયો છે. એટલે કે, કુલ ટેસ્ટ કરાયેલા સેંપલમાંથી 16.7 ટકા સૈપલ પોઝીટીવ જોવા મળ્યા છે. બીજી બાજુ સાપ્તાહિક સરેરાશ 14.3 ટકા છે. આ પહેલા ગઈ 19 જુલાઈના રોજ પોઝિટિવિટી રેટ 15.7 ટકા પહોચ્યો હતો અને સાપ્તાહિક સરેરાશ રેટ 12.5 ટકા.

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 503 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ દિલ્હીમાં 161 લોકો, છત્તીસગઢમાં 170, યુપીમાં 127, ગુજરાતમા 110, કર્ણાટકમાં 81, પંજાબમાં 68 અને મધ્યપ્રદેશમાં 66 લોકોનાં મોત થયાં છે. આમ આઠ રાજ્યોમાં કુલ 1286 લોકોના મોત થયા છે, જે કુલ 1570 મોતના 81.9 ટકા છે.ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ મુજબ 17 એપ્રિલ સુધી 26,65,38,416 સેંપલની તપાસ થઈ ચુકી છે. જેમાં શનિવારે 15,66,394 સેંપલની ચકાસણી કરવામાં આવી હતી.