અમદાવાદ-

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સંચાલિત અમદાવાદ - મુંબઈ - અમદાવાદ વચ્ચે દોડતી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને આવતીકાલથી રદ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં પુરતા પેસેન્જર નહી મળતાં હોવાથી રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આઈઆરસીટીસીની વેબસાઈટમાં જોતા નજરે પડે છે કે એસી ચેરકારમાં અમદાવાદથી મુંબઈ જવાનું રૂપિયા ૧૨૭૧નું ભાડુ છે, અને ૧૮ નવેમ્બરમાં ૨૪૪ સીટ ખાલી છે. ૨૦ નવેમ્બરમાં ૩૪૨ સીટ, ૨૧ નવેમ્બરમાં ૩૧૬ સીટ, ૨૨ નવેમ્બરમાં ૧૩૫ સીટ અને ૨૩ નવેમ્બરમાં ૩૬૫ સીટ ખાલી બતાવે છે. તેવી જ રીતે એક્ઝિક્યુટિવ ચેરકારમાં રૂપિયા ૨૪૬૩ ભાડુ છે, જેમાં ૧૮ નવેમ્બરમાં ૫૨ સીટ, ૨૦ નવેમ્બરમાં ૬૪ સીટ, ૨૧ નવેમ્બરમાં ૬૯ સીટ, ૨૨ નવેમ્બરમાં ૪૯ સીટ અને ૨૩ નવેમ્બરમાં ૬૮ સીટ ખાલી બતાવે છે. તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે ૬.૪૦ કલાકે ઉપડીને બપોરે ૧.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રેલ પહોંચી જાય છે. 

છેલ્લા ઘણા સમયથી તેજસ ટ્રેનમાં પૂરતા પેસેન્જર મળી રહ્યા નથી. માટે આ ટ્રેન રેલવે ઉપર હાલ બોજારૂપ બની રહી છે. જેથી આવતીકાલથી આ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.