દેવી-દેવતાઓની પૂજાની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. આ શુભ ચિહ્ન પ્રથમ પૂજ્ય ગણેશજીનું પ્રતીક છે. માન્યતા પ્રમાણે સ્વસ્તિક બનાવવાથી પૂજન કર્મમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. સાથે જ, પૂજા-પાઠ વિઘ્ન વિના પૂર્ણ થાય છે. સ્વસ્તિક નેગેટિવ ઊર્જાને દૂર કરી પોઝિટિવિટી વધારે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સ્વસ્તિક સાથે જોડાયેલી થોડી ખાસ વાતો જાણો.

ઘર હોય કે મંદિર, જ્યાં સ્વસ્તિક બનાવવો હોય, ત્યાં એકદમ સ્પષ્ટ અને સુંદર સ્વસ્તિક બનાવવો જોઇએ. અસ્પષ્ટ સ્વસ્તિક બનાવવાથી બચવું. પૂજા કરતી સમયે અસ્પષ્ટ સ્વસ્તિક ઉપર નજર જતાં જ એકાગ્રતા તૂટી શકે છે.

ઘણાં લોકો પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે મંદિરોમાં ઊંધા સ્વસ્તિક બનાવો છે. ઊંધા સ્વસ્તિક મંદિરમાં બનાવી શકાય છે, પરંતુ ઘરમાં બનાવી શકાય નહીં. ઘરમાં સીધો સ્વસ્તિક જ બનાવવો શુભ મનાય છે.

દૈનિક પૂજા અને અન્ય સામાન્ય પૂજા-પાઠમાં કંકુથી સ્વસ્તિક બનાવવો જોઇએ. જો વૈવાહિક જીવન સાથે સંબંધિત પરેશાનીઓને દૂર કરવા માટે કોઇ પૂજા કરી રહ્યા છો તો હળદર વડે સ્વસ્તિક બનાવવો જોઇએ.

ઘરના મુખ્ય દરવાજે શુભ ચિહ્ન બનાવવાની પરંપરા છે. જો દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે તો વાસ્તુના અનેક દોષ દૂર થઇ શકે છે. દરવાજા ઉપર શુભ ચિહ્નના પ્રભાવથી ઘરમાં પોઝિટિવિટી પ્રવેશ કરે છે અને નેગેટિવિટી દૂર રહે છે.