વડોદરા, તા.૫  

એક તરફ સદીઓ થી ભારતને જેની પ્રતીક્ષા હતી એ ભવ્ય રામ મંદિરના નિર્માણનો અયોધ્યામાં પ્રધાનમંત્રીએ ારંભ કરાવ્યો તો એની સાથે જાણે કે સુભગ સમન્વય સર્જાયો હોય તેમ વડોદરા ની શાન અને પ્રાણ જેવા સુરસાગર મધ્યે બિરાજમાન ભગવાન સર્વેશ્વર શિવની અતિ વિરાટ પ્રતિમા ને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો પ્રારંભ થયો.વડોદરા ના શ્રીમંત મહારાજ સમરજીતસિંહ અને શિવ પ્રતિમા ના સંકલ્પ ધારક, રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલે બોટ ક્લબના કાંઠે શિવજીની પવિત્ર છડીનું વિધિવત પૂજન કર્યું.પછી મહારાજ આ છડીને લઈને નૌકા દ્વારા સર્વેશ્વર પ્રતિમાના ચરણ કમળ સ્થળે ગયા અને ૪ વેદોના જ્ઞાતા બ્રહ્મર્ષિ ભૂદેવો એ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવાની સર્વેશ્વર ની મંજુરી માંગતા હોય તેવા ભાવ સાથે વેદોક્ત શિવ પૂજન કરાવીને સુવર્ણ આવરણ ના ભગીરથ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.આ વૈદિક પૂજન લગભગ એક કલાક ચાલ્યું હતું અને સંતો એ ઉપસ્થિત રહી આ કાર્યને આશિષ પ્રદાન કર્યા હતા.

પ્રસંગ નો અનંદ વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું કે પવિત્ર શ્રાવણ એ ભોલેનાથ ની આરાધનાનો મહિનો છે.વડોદરાએ નવનાથ ની નગરી છે.આવી પવિત્ર નગરીમાં પવિત્ર માસમાં શિવ પ્રતિમા સુવર્ણમય થાય એના થી મોટો હર્ષનો કોઈ પ્રસંગ ના હોય શકે.યોગેશભાઈ ની તપ સાધના થી વડોદરાને સર્વેશ્વર શિવ મળ્યા છે.અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન સાથે આ પ્રસંગનો સુભગ સમન્વય થયો છે ,જાણે કે સોનામાં સુગંધ ભળી છે.

આ અતિ ભગીરથ કામ છે,૧૧૧ ફૂટની ગગનચુંબી પ્રતિમા ને સોનાનો ઢોળ ચઢાવવો એ કદાચિત વિશ્વનો પ્રથમ પ્રસંગ છે,કયા પડકારો આ કામમાં આવશે એની ખબર નથી પણ સર્વેશ્વર શિવની કૃપા થી આ પ્રયોગ સફળ થશે જ એવો આત્મ વિશ્વાસ વ્યક્ત કરતા નર્મદા વિકાસ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડોદરા અને વિશ્વભર ના ભાવિકોએ આ કામમાં તન, મન,ધન થી સહયોગ આપ્યો છે, સાવલીના સ્વામીજી ની પ્રેરણા અને પ્રમુખ સ્વામી બાપા સહિત સંતો ના આશીર્વાદ થી આ પ્રતિમા બની છે અને સુવર્ણ આવરણ ચઢાવવાનું કામ પણ સંપન્ન થશે.પહેલા તો ૧૧૧ ફૂટની પાલખ બનાવી પ્રતિમા પર તાંબા નો ઢોળ ચઢાવવામાં આવશે.તે પછી સુવર્ણ આવરણ નું કામ કરાશે.આ ખૂબ સમય માંગી લેતું કામ દૈવ કૃપા થી પૂરું થશે.

આ પ્રસંગે સંતો,મહંતો,આચાર્યો, વિધાનસભા અધ્યક્ષ,સાંસદ,મેેયર,ધારાસભ્યઓ,રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.