વડોદરા, તા.૧૩ 

ઉત્તરાયણ ઉત્સવને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં પતંગના દોરાથી ગળું કપાવવાનો વધુ એક બનાવ નંદેસરી બ્રિજ ખાતે બનવા પામ્યો હતો. પતંગના દોરાથી ઘાયલ અને લોહીથી લથપથ થયેલ બાઈકસવાર યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના આજવા રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા હેમંત જયંતીભાઈ પરમાર (ઉં.વ.ર૮) આજે સાંજે બાઈક ઉપર નંદેસરી બ્રિજ પરથી જતો હતો તે દરમિયાન બ્રિજ ઉપરથી ઉતરતાં તેમના ગળાના ભાગે કપાયેલી પતંગનો દોરો આવી જતાં ગળાના ભાગે જાેરદાર દોરાનો ઘસરકો વાગ્યો હતો જેથી દોરો ગળાના ભાગે ઊંચે સુધી ઉતરી જતાં તે લોહીલુહાણ સાથે બાઈક ઉપરથી રોડ પર પટકાયો હતો. આ બનાવને પગલે લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.