વડોદરા

મુળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં કરજણ તાલુકાના કંડારી ગામમાં પરિવાર સાથે રહેતા પાણીપુરીવાળા યુવકની ગઈ કાલે ગંધારા ગામ પાસે નવા બંધાતા રેલવે બ્રિજ નજીક અગમ્ય કારણોસર અજાણ્યા લોકોએ માથામાં લાકડીના ફટકા મારી હત્યા કરી હતી અને લાશને પાણીપુરીની લારીથી ૫૦૦ મીટર દુર ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આ બનાવની મૃતકની પત્નીએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મુળ ઉત્તરપ્રદેશનો વતની ૪૦ વર્ષીય જ્ઞાનસીંગ ધૈાકાલ કુશ્વાહ છેલ્લા પંદર વર્ષથી કરજણ તાલુકાના કંડારી ગામે હાઈસ્કુલ પાસે પત્ની ઉમાદેવી સાથે ભાડાના મકાનમાં રહે છે જયારે તેઓના બે પુત્રો વતનમાં રહે છે. જ્ઞાનસીંગ પાણીપુરીની લારી ચલાવતો હતો અને આસપાસના ગામમાં જઈ પાણીપુરીનું વેચાણ કરતો હતો તેમજ જ્યાં માલ ખલાસ થઈ જાય તે ગામમાં ખાલી લારી મુકી દેતો અને બીજા દિવસ ઘરેથી પાણીપુરીનો માલ લઈને લારી પર જઈ ફરી અન્ય વિસ્તારમાં ધંધો કરવા માટે ફરતો હતો. ગઈ કાલે બપોરે તે ઘરેથી પાણીપુરીનો માલ તૈયાર કરી બામણગામ ગયો હતો અને ત્યાંથી બે વાગે પત્નીને જાણ કરી હતી કે મે લારી તૈયાર કરી દીધી છે અને હવે હું ગંધારા ગામે ધંધો કરવા જઉ છું. જાેકે ત્યારબાદ જ્ઞાનસીંગનો મોબાઈલ ફોન સ્વીચઓફ આવતો હતો અને તે મોડી રાત સુધી ઘરે પરત નહી આવતા તેની પત્ની ઉમાદેવીએ તેમના સંબંધીઓને જાણ કરી હતી. આજે સવારે તેમના ભાણેજ અને ભાણેજ વહુએ ગંધારા ગામ તરફ તપાસ કરી હતી જેમાં ગંધારા ગામ પાસે નવા બંધાતા રેલવેબ્રિજ નજીક તેની પાણીપુરીની લારી મળી હતી અને લારીથી ૫૦૦ મીટર દુર નીલગીરીના ઝાડીઓમાં તેની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. જ્ઞાનસીંગની પત્નીની ફરિયાદના આધારે આ બનાવની કરજણ પોલીસના પીઆઈ એમ એ પટેલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.