આણંદ, તા.૫
જિંદગી હર કદમ એક નઇ જંગ હૈ, જીત જાયેંગે હમ... આ ઉકિતને આણંદ જિલ્લાનાં આરોગ્ય કર્મીઓએ પોતાનો જીવનમંત્ર બનાવી દીધો છે તેમ કહીએ તો કાંઇ ખોટું નથી.
કોરોના મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્ય ક્ષેત્રે સમૃદ્ધ દેશો પણ કોરાનાના કહેરથી બચી શકયા નથી. સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી શોધવા મથામણ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી સફળ થયાં નથી. ભારત દેશ પણ કોરોનાગ્રસ્ત બન્યો છે. ત્યારે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્સા મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક/ હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. તેનાં સારાં પરિણામો પણ મળી રહ્યાં છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વધારવી એ જ ઉપાય છે, એ આયુર્વેદિક/હોમિયોપેથી દવા થકી પ્રાપ્ત થઇ રહી છે.
ગુજરાતમાં કોરાનાના સંક્રમણને રોકવા તેમજ કોરોનાગ્રસ્તોની સારવારમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગરનાં માર્ગદર્શન મુજબ આયુર્વેદિક/હોમિયોપેથીક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી અને જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ તાલુકા હેલ્થ ઓફિસરો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા ફીમેલ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો, સરપંચો, પ્રાથમિક શિક્ષકો, સેવાભાવી-સામાજિક સંસ્થાઓના સ્વયં સેવકોનો પણ જિલ્લાના તમામ તાલુકામાં તથા ગામડાઓમાં આયુર્વેદિક ઉકાળો, શંશમનીવટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં સહયોગ સાંપડી રહ્યો છે.
આ ઉપરાંત જિલ્લામાં સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરીને યુવાનો, મહિલાઓ, બાળકો અને વયોવૃધ્ધોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને થર્મલ સ્ક્રીનિંગ, લેબોરેટરી પરીક્ષણ પણ કરવામાં આવે છે. આ કામગીરી દરમિયાન નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક પહેરવો, વારંવાર સાબુથી હાથ ધોવા સહિત આરોગ્યની કાળજી કેવી રીતે રાખવી તેની સમજ પણ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે એન્ટિ લારવલ અને કલોરીનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે. એકંદરે જિલ્લાનું આરોગ્ય તંત્ર ત્રિસ્તરીય કામગીરી કરીને આણંદવાસીઓના આરોગ્યની કાળજી રાખી રહ્યું છે.
આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ કવોરોન્ટાઇન સેન્ટરો, કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી સહિત સરકારી / અર્ધસરકારી ક્ષેત્રોમાં આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા અધિકારી / કર્મચારીઓને પણ આયુર્વેદિક / હોમીયોપેથિક દવાનો લાભ આપવામાં આવી રહયો છે.
Comments