ગાંધીનગર,

લોકડાઉન અને કોરોનાને કારણે સર્જાયેલા આર્થિક પડકારને પગલે ગુજરાત સરકારે આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ ભાગની જાહેરાત કરી છે. ૫,૦૦૦ કરોડ રુપિયાની આ રાહત યોજના હેઠળ સરકાર ૪ ટકાના વ્યાજ દરે નાના વેપારીઓ તેમજ અન્ય મધ્યમ આવક ધરાવતા લોકોને અઢી લાખ રુપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપશે. ઉલ્લેખનીય છે કે, સરકારે અગાઉ ટૂંકી આવક ધરાવતા  

નાના દુકાનદારો, કારીગર વર્ગ તેમજ અન્ય લોકોને રાહત દરે ૧ લાખ રુપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી, જેના ફોર્મનું વિતરણ સહકારી બેંકોમાં શરુ કરાયું હતું અને તેને લેવા માટે લોકોની લાઈનો લાગી હતી. લોકડાઉનના બે-અઢી મહિના જેટલો સમય વેપાર-ધંધા બંધ રહેવાના કારણે મોટાભાગના વેપારીઓ તેમજ ધંધાદારીઓએ મોટું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. સરકારે થોડા સમય પહેલા જ ટૂંકી આવક ધરાવતા લોકો માટે ગયા મહિને ૨ ટકા વ્યાજે એક લાખ રુપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે, જ્યારે બે ટકા વ્યાજ લોન લેનારાએ આપવાનું રહેશે.