ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
27, એપ્રીલ 2025 વડોદરા   |  
હવે 24 કલાકમાં ગમે ત્યારે 1 ગ્રામથી 20 ગ્રામ સોનાની ખરીદી કરી શકાશે

ગુજરાતના પ્રથમ ગોલ્ડ ATMનો સુરતમાં પ્રારંભ600 કિલોના મશીનમાં જડબેસલાક સુરક્ષાઅત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના ATM મશીન જોયા હશે. પરંતુ, હવે ગુજરાતમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતામં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ ATM કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફિચર કેવા છે તેની આગળ વાત કરીએ. હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ ગોલ્ડ કે ચાંદી ખરીદી શકાશે એવું નથી પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીન ની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે ગોલ્ડ એકથી એમ થકી 24 કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે. ગોલ્ડસિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોનુ અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે. 'ગોલ્ડસિક્કા'ના ચીફ ગવર્નન્સ ઓફિસર પ્રતાપભાઈએ જણાવ્યું કે અમે હૈદ્રાબાદમાં સૌથી પહેલું ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું છે. આ મશીનમાં એક ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું એટીએમની સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં. અમે અદાણીના તમામ દેશના એરપોર્ટ ઉપર આ ગોલ્ડ એટીએમ મશીન તેમજ અન્ય એરપોર્ટ ઉપર પણ મશીન ગોઠવવા માટેનું આયોજન કરી રહ્યા છે દેશના તિરુપત્તિ બાલાજી તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ આ અમે લોકો મશીન મુકવા જઈ રહ્યા છે. મારા પિતાજીનું સપનું પૂરું કર્યું છે- દિપક ચોકસી ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત લોકો વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ તરીકે આપતા હોય છે. પરંતુ, ક્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મર્યાદા પણ દૂર થઈ જશે કારણ કે અમે જે પ્રકારે એટીએમ ગોઠવી રહ્યા છે તેને કારણે 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે આવનાર પેઢી માટે પણ હવે આ ખૂબ જ સરળ રહેશે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર હોય આવા દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. ત્યારે લોકો સરળતાથી ખરીદી શકશે. હવે દરરોજ 100 રૂપિયાનું સોનું પણ ખરીદી શકાશે! ડિજિટલ ગોલ્ડ એપ બનાવી છે. જેમાં તમે ગમે તેટલી રકમમાં ખરીદી શકશો. રોજ તમે 100નું પણ ગોલ્ડ લઈ શકો છો. એ ગોલ્ડ એટીએમમાં એકગ્રામ સુધી ભેગા થયા બાદ તમે એની જોડે પણ અમારી પાસેથી ખરીદી શકો છો. અને તમારા વોલેટમાં પણ તમે એ સોનુ રાખવા માંગતા હોવ તો એક આખો ડેટા તમારી પાસે રહેશે. ડી ખુશાલદાસ જ્વેલર્સ એપ શરૂ કરવામાં આવી રહી છે. આ એપ થકી જ તમે ખૂબ ઓછામાં ઓછા રૂપિયાથી પણ ખરીદી શકાશે. તમારા બજેટ પ્રમાણે નાનામાં નાની રકમથી પણ તમે ખરીદી કરી શકશો.


27, એપ્રીલ 2025
ગોંડલમાં અલ્પેશ કથિરિયાની કાર ઉપર હુમલો 

ગણેશ  જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે : અલ્પેશ કથીરિયા સામાજિક અને રાજકીય ઘમાસાણ જોર પકડ્યું છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની કાર ઉપર ગોંડલમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે વાક્યુદ્ધ ચાલી  રહ્યું છે જેને આજે અલગ જ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.અલ્પેશ કથિરિયાએ આ વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'  રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથીરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઈને હવે અલ્પેશ કથીરિયા ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી...” આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.' આજે અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે. બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો.  ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો... 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. 


24, એપ્રીલ 2025 વડોદરા   |  
વર્ષ ૨૦૨૪માં ચાર હેરિટેજ સાઇટની મુલાકાતે આવ્યા ૧૨.૮૮ લાખ પર્યટક

ચાર હેરિટેજ સ્થળની ૧૨.૮૮ લાખ પર્યટકે મુલાકાત લીધીવૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા અલગ-અલગ દેશમાં વિવિધ વિષય વસ્તુ આધારિત જાહેર કરાયેલા વર્લ્ડ હેરિટેજ સાઈટ દેશ-વિદેશના પ્રવાસીઓ-સંશોધકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. કોઈ સમાજ-સ્થળ વિશેષની ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવી ચિરકાલીન સાંસ્કૃતિક વિશેષતા એટલે ‘હેરિટેજ’, ટૂંકમાં જે તે સમુદાયની વિરાસત એટલે હેરિટેજ. ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ ચાર હેરિટેજ સાઈટની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ ૭.૧૫ લાખથી વધુએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે ૩.૬૪ લાખથી વધુએ રાણીકી વાવ-પાટણ ઉપરાંત ૧.૬૦ લાખથી વધુએ ધોળાવીરા અને ૪૭ હજારથી વધુએ વડોદરા નજીક આવેલા પાવાગઢના ચાંપાનેરની મુલાકાત કરી હતી. રાજ્યના ૧૮ હેરિટેજ જેવા સ્થળની ૩૬.૯૫ લાખ પર્યટકે મુલાકાત લીધી ગુજરાતમાં ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ ૧૮ હેરિટેજ પ્રકારના સ્થળો આવેલા છે. જેની વર્ષ ૨૦૨૪માં ૩૬.૯૫ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી ગુજરાતમાં સ્થાનિક રોજગારીની સાથે સમગ્ર અર્થવ્યવસ્થાને ખૂબ મોટું બળ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેરિટેજ ડે-૨૦૨૫ નિમિતે આ વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ોન મોનામેન્ટસ્ એન્ડ ટાઇટ્સ દ્વારા “આફતો અને સંઘર્ષોથી હેરિટેજ પર જાેખમ: તૈયારીઓ અને આઇસીઓએમઓએસની ૬૦ વર્ષોની કામગીરીમાંથી મળતી શીખની થીમ જાહેર કરાઇ હતી. આ થીમનો ઉદ્દેશ્ય કુદરતી આફતો અને સંઘર્ષોના કારણે હેરિટેજ સાઇટ્સ પર વધતા જાેખમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ - ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જાે - ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન - અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું સન્માન - કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વિરાસતનું સ્થળ-ધોળાવીરા


24, એપ્રીલ 2025 મોરબી   |  
ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે, મોરબીમાં પોસ્ટર લાગ્યા 

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધપહેલગામના હુમલાનો ઠેર ઠેર આક્રોશ સાથે વિરોધ પહેલગામના હુમલાને સમગ્ર દેશમાં લોકો વખોડી રહયા છે. નિર્દોષ પ્રવાસીઓને અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતારી દીધા જે ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ઘટનાને વખોડી ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે અને ધર્મને જોઈને સામાન ખરીદવા અપીલ કરી છે. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ સમગ્ર દેશમાં થઇ રહ્યો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેઓના નામ અને ધર્મ પૂછયા બાદ ગોળી મારી હતી જેના કારણે હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો અને પોસ્ટર લગાવ્યા જેમાં લખ્યુ છે મોતે પણ માત્ર ધર્મ જોયો, "ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે"મોરબીના દરબારગઢ ચોક, નહેરુ ગેટ ચોક, રવાપર રોડ, જેલ રોડ, વઘપરા સહિતના વિસ્તારમાં આ પ્રકારનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હિન્દૂ સંગઠનો દ્વારા આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવી સરકાર પાસે માગ કરવામાં આવી છે. 


24, એપ્રીલ 2025 ભાવનગર   |  
સાહેબ, ખુબ નિર્દયતાથી માર્યા , સીએમ સમક્ષ ભાવનગરના સાર્થકે ઘટના વર્ણવી 

આતંકીએ મારી સામે જોયું પણ હુ દીવાલ પાછળ સંતાઇ ગયોમુખ્યમંત્રીએ પરિવારને સાંત્વના આપી જમ્મુ કાશ્મીરના પહેલગામના હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રના મૃતદેહને અંતિમ ક્રિયા માટે ભાવનગર લાવવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ મૃતકના પરિજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર ઘટનાને નજરે જોનાર 17 વર્ષીય સાર્થકે સમગ્ર ઘટના વર્ણવી હતી અને કહ્યું હતું કે, સાહેબ ખુબ નિર્દયતાથી માર્યા. જમ્મુ કાશ્મીરના પુલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરાયા છે. ભાવનગરમાં મૃતક પિતા-પુત્રની અંતિમવીધિમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ત્યારે દુર્ઘટનામાં હાજર સાર્થકે મુખ્યમંત્રી આગળ આખી ઘટના વર્ણવી હતી. મૃતક સ્મિતના મામાના દીકરા અને દુર્ઘટના સમયે પુલગામમાં હાજર સાર્થક નાથાણીએ મુખ્યમંત્રી આગળ ઘટના વર્ણવતાં જણાવ્યું કે, અમે જતા હતા ત્યાં ગોળીનો અવાજ આવ્યો એટલે સ્મિત ત્યાં ઉભો રહી ગયો તો આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી.. હુ થોડો 10 ફૂટ જેટલો દુર હતો. આતંકીએ મારી સામે જોયુ પણ હું દિવાલ પાછળ સંતાઇ ગયો. સાહેબ ત્યાં 300-400 લોકો હતા પણ એક અર્મી જવાન નહોતો.. અડધા કલાકે તો આર્મી આવી. મારા ભાઇને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી.. સાહેબ ખુદ નિર્દયાથી માર્યા છે. સાર્થકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, અમે શ્રીનગરથી ફરવા ગયા હતા, બે દિવસનો પ્રોગ્રામ હતો. અમે ટિકિટ લઇને ઉપર ગયા એના બે-ત્રણ મિનિટમાં ફાયરિંગ થયું. પછી થોડીકવાર એકદમ શાંતિ થઇ ગઇ અને ફરીથી બધાને અચાનક ગોળીઓ વાગવા માંડી. એમાં મારા ફુવા અને મારા ફોઇના છોકરા સ્મિતને ગોળીઓ વાગી ગઇ, અત્યારે એ નથી રહ્યા..પોતાના બચાવ અંગે સાર્થક વધુમાં કહે છે કે, મેં મારો બચાવ મારી જાતે કર્યો, મારા ફોઇને પણ મેં બચાવ્યા એમને હું ઘોડામાં બેસાડીને નીચે લાવ્યો હતો. ત્યાં મોટુ કારણ એ હતું કે ત્યાં ઘણા લોકો હતા પણ કોઇ આર્મી જવાન નહોતા. ત્યાં ચારેબાજુથી ફાયરિંગ થતું હતું. 23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા. આજે સુરતમાં મૃતક યુવક શૈલેષ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તે પહેલાં તેમની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખની ઘડીમાં પાટીલ-CMએ પણ પરિવારને સાંત્વના આપી હતી. ભાવનગરમાં મૃતક પિતા-પુત્રની અંતિમવિધિમાં માતા કાજલબેનના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીની છવાઇ ગઇ હતી.


મધ્ય ગુજરાત વધુ વાંચો
27, એપ્રીલ 2025
વડોદરા રેલવે સ્ટેશને રોકાયેલી ટ્રેનમાંથી પાંચ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં

વડોદરા, પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટો પર થયેલા હુમલા બાદ દેશના તમામ રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. ગુજરાત પોલીસની વાત કરીએ તો રાજ્યના જુદાજુદા શહેરો અને જિલ્લાઓમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધીને તેમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. વડોદરા રેલવે પોલીસે પણ આજે કલકત્તાથી આવતી હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં બે બાળકો અને એક મહિલા સહિત કુલ પાંચ બાંગ્લાદેશી ઝડપાઈ ગયા હતા. પાંચમાંથી ચાર બાંગ્લાદેશી એક જ પરિવારના સદસ્યો છે. જેમાં માતા-પિતા અને બે સંતાનોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક ઈસમ પણ બાંગ્લાદેશી હોવાનુ જાણવા મળ્યુ હતુ. વડોદરા રેલવે પોલીસે પાંચે જણાની અટકાયત કરીને તેઓની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પુછપરછમાં તેઓએ કબુલાત કરી હતી કે, બાંગ્લાદેશમાં પારાવાર ગરીબી અને બેરોજગારીથી કંટાળીને તેઓ દસ મહિના પહેલા એજન્ટ મારફતે ભારતના પશ્ચિમ બંગાળમાં ઘુસી આવ્યા હતા. ત્યારપછી જુદાજુદા રાજ્યોમાં ફરતા ફરતા છેક ગુજરાત આવી પહોંચ્યા હતા. ગુજરાતના અમદાવાદમાં તેઓ કચરો વીણવાનું કામ કરે છે. કચરામાંથી નાનું-મોટું લોખંડ ભંગાર મેળવીને તેને વેચીને ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પતિ-પત્ની અને બે સંતાનો છે.  જ્યારે હાવરા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયેલો વધુ એક વ્યક્તિ પણ એજન્ટ મારફતે બાંગ્લાદેશ બોર્ડર પરથી ગેરકાયદે રીતે ભારતમા ઘુસી આવ્યો હતો. અહીં પણ એને રોજગાર નહીં મળતા તેણે સુરતમાં ભીક્ષાવૃત્તિ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ઓહીદુલ રૂસ્તમ શેખ, ૫રવિન ઓહીદુલ શેખ,મારૂ૫ ઓહીદુલ શેખ,શાહરૂખ ઓહિદુલ શેખ ( ચાર હાલ રહે.-ચંડોળા તળાવ પાસે, મોઇદર બાબાની દરગાહ પાસે, અમ્મા મૂરજીદની ગલીમાં, ઇસનપુર રોડ, અમદાવાદ, મુળ રહે.ગામ-ભાયડાંગા, થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ) અને મોહમદ શેરઅલી મોહમદ લૂતપાર શેખ (હાલ રહે.-સિદ્ધાર્થ ટોકિઝની પાછળ, અડાજણ પાટીયા, ઝૂંપડપટ્ટીમાં, સુરત મુળ રહે.ગામ-સીતારામપુર ચોક, પોસ્ટ-થાના-કાલીયા, જી.નોરાઇલ, બાંગ્લાદેશ)નો સમાવેશ થાય છે.ચાર બાંગ્લાદેશી અમદાવાદમાં કચરો વીણતાં હતાં વડોદરા રેલવે પોલીસના પીઆઈએ જણાવ્યુ હતુ કે ૨૬મીએ રાત્રે અમે હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમને બે બાળકો અને એક મહિલા સહિત પાંચ જણાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તમામની પાસેથી અમે ભારતીય હોવાના આધાર પુરાવા માંગ્યા હતા. પરંતુ, તેમની પાસે કોઈ કાગળો ન હતા. એમની ભાષા બાંગ્લા હતી એટલે અમને શંકા ગઈ હતી. આખરે, તેઓએ કબુલાત કરી હતી કે તેઓ ભારતીય નહીં પરંતુ, બાંગ્લાદેશી છે એટલે એમની અમે અટકાયત કરી હતી. તેઓ છેલ્લા દસ મહિનાથી ગુજરાતમાં છે. એક પરિવાર અમદાવાદમાં કચરો વીણવાનું કામ કરે છે અને બીજાે એક વ્યક્તિ સુરતમાં ભિક્ષાવૃત્તી કરીને ગુજરાન ચલાવે છે. અમે તમામને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. એક વર્ષ પહેલાં વડોદરાથી પકડાયેલા બાંગ્લાદેશીઓ હજી એસઓજીની કસ્ટડીમાં એક વર્ષ પહેલા વડોદરા પોલીસે પાંચ બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા. પાંચેય જણા ગેરકાયદે રીતે ભારતમાં ઘુસ્યા હોવાનુ પુરવાર થયુ હતુ. જેથી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આખીય તપાસ અને કાર્યવાહી પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગૃપ કરતુ હતુ. જેથી પાંચેય જણાની કસ્ટડી પણ એસઓજી પાસે જ હતી. છેલ્લા એકવર્ષથી પાંચેય બાંગ્લાદેશી સ્પેશિયલ ઓપરેશન ગૃપની કસ્ટડીમાં છે. પણ હજીસુધી એમને ડિપોર્ટ કરવાનો હુકમ આવ્યો નથી. સામાન્ય રીતે આવા ઘુસણખોરોને કચ્છના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવતા હોય છે. પણ વડોદરામાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓને હજીસુધી ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા નથી. અન્ય દેશના ઘુસણખોરોને તેમના દેશમાં પાછા ડોપોર્ટ કરવાનો પ્રોસેસ એટલો લાંબો હોય છે કે, એના માટે વર્ષો લાગી જાય છે. બાંગ્લાદેશી નાગરિકોને પણ જાે પાછા મોકલવા હશે તો એને માટે દેશનું એક્ટર્નલ અફેર અને હોમ ડિપાર્ટમેન્ટની મંજૂરી જરૂરી હોય છે. ઉપરાંત, બાંગ્લાદેશની સરકારને પણ આ બાબતની જાણકારી આપવી પડતી હોય છે અને એમની ફાઈનલ મંજૂરી પછી જ ડિપોર્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે.


27, એપ્રીલ 2025
આજવા રોડ એકતાનગરમાંથી આશરે ૩૦૦ શંકાસ્પદોને ચાલતા પોલીસ સ્ટેશન લઈ જવાયા

વડોદરા, ગેરકાયદે બાંગ્લાદેશ ઘુસણખોરો સામેની ઝૂંબેશના ભાગરૂપે વડોદરા પોલીસે આજે આજવા રોડના એકતા નગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. જે દરમિયાન ૧૦૦ મહિલાઓ અને ૨૦૦ પુરુષો શંકાસ્પદ જણાતા તમામનું ડિટેલ વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ત્રણ બાંગ્લાદેશી હોવાનુ પુરવાર થતા તેઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમે આજે એકતા નગરથી શંકાને આધારે પકડેલા તમામને એકસાથે ચાલતા-ચાલતા બાપોદ પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી કરી હતી. એકસાથે આટલા બધા લોકોને પોલીસના બંદોબસ્ત સાથે પોલીસ મથક સુધી લઈ જવાતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. શંકાસ્પદોને શોધવા માટે બાપોદ પોલીસ, ક્રાઈમ બ્રાંચની ટીમ, પાણીગેટ અને સિટિ પોલીસ મથકના જવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. પોલીસે લગભગ ૩૦૦ લોકોનું ડિટેલ વેરિફિકેશન હાથ ધર્યું હતુ. જે દરમિયાન તેઓને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા હતા. એકતા નગરમાંથી વેરિફિકેશન માટે લવાયેલા ૩૦૦ જણામાંથી કેટલા બાંગ્લાદેશી છે ? તે હજી સુધી જાણી શકાયુ નથી. અલબત્ત, પોલીસે તમામનું વેરિફિકેશન કરીને તેમાંથી કેટલા ગુનેગાર છે તેની પણ જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘડિયાળી પોળમાં દાગીનાનું કામ કરતા કારીગરોમાંથી કેટલાક શંકાસ્પદ હોવાનુ પોલીસને જાણવા મળ્યુ છે. ઉપરાંત, શહેરની જુદીજુદી હોટલો અને રેસ્ટોરાંમાં કામ કરતા શ્રમજીવીઓમાંથી પણ કેટલાક બાંગ્લાદેશી હોવાનુ પોલીસનું માનવુ છે.તુલસીવાડીમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓ નોર્થ-ઈસ્ટ બૉર્ડર પરથી ભારતમાં ઘૂસ્યા હતા તુલસીવાડીમાંથી પકડાયેલા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની પોલીસે પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પુછતાછમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે, પાંચેય બાંગ્લાદેશી નાગરિકો ભારતના નોર્થ-ઈસ્ટ રાજ્યોમાંથી ઘુસ્યા હતા. જેથી વડોદરા પોલીસની એક ટીમ ત્રિપુરા, આસામ અને મિઝોરમ જેવા રાજ્યોમાં તપાસ માટે રવાના થશે. બીજી તરફ પાંચેય બાંગ્લાદેશી નાગરિકો વડોદરાની તુલસીવાડીમાં કેવી રીતે પહોંચ્યા ? તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશી નાગરિકોને વડોદરામાં સેટલ કરવા માટે કોઈ ચોક્કસ નેટવર્ક ચાલે છે કે કેમ ? તેની તપાસ પોલીસ કરી રહી છે. ભારતમાં ઘૂસણખોરી આસાન ભારતમાંથી બાંગ્લાદેશમાં જવુ અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવવુ ખુબ જ સરળ અને આસાન છે. બાંગ્લાદેશમાંથી ભારત આવવા માટે અલગ-અલગ રસ્તા છે. ઘુસણખોરી માટે જે રસ્તો સલામત હોય તેનો રેટ વધારે હોય છે. સામાન્ય રીતે બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં પ્રવેશવા માટે પશ્ચિમ બંગાળની બોર્ડરનો ઉપયોગ કરતા હોય છે. બાંગ્લાદેશીઓ માટે પશ્ચિમ બંગાળનો માલ્દા, ૨૪ પરગણા, મિર્શિદાબાદ, દિનેશપુર અને નવબાદગંજ જિલ્લો ભારતમાં ઘુસણખોરી માટે અગ્રેસર છે. ગઈકાલે વડોદરામાંથી ઝડપાયેલા પાંચ બાંગ્લાદેશીઓ દેશના ઈસ્ટર્ન કોસ્ટ એટલે કે, નોર્થ-ઈસ્ટના રાજ્યોની બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ્યા હતા. તુલસીવાડી જેવા ગીચ અને ગરીબ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ ઘણાં સમયથી રહેતાં હતાં તુલસીવાડી જેવા ગીચ અને ગરીબ વિસ્તારમાં કોઈનું ધ્યાન નહીં પડે તેવી ધારણા સાથે બાંગ્લાદેશી નાગરિકો અહીં આવ્યા હતા. કેટલાક લોકોએ નજીવા આર્થિક લાભ માટે પોલીસ વેરિફિકેશન વિના પાંચેયને રહેવા માટે ભાડે મકાન આપ્યુ હતુ. વડોદરામાં વસવાટ મળ્યા પછી બાંગ્લાદેશી નાગરિકો નાની-મોટી રેસ્ટોરાંમાં કામ કરતા હતા. ઓછા પગારે માણસ મળતા હોવાથી રેસ્ટોરાંના માલિકો પણ એમની જાણકારી પોલીસને આપતા ન હતા. તેને લીધે તમામ ધીરેધીરે કરીને વડોદરામાં સેટલ થઈ ગયા હતા. હાલમાં તેમને સપોર્ટ કરનારા લોકલ રિસોર્સીસની પોલીસે પુછપરછ કરી છે. ખાસ કરીને એમને રહેવા માટે મકાન આપનારા લોકોને પોલીસે પુછપરછ માટે બોલાવ્યા છે. વડોદરામાં બાંગ્લાદેશી છૂપાયો હોય તો પોલીસને જાણ કરજાે ગેરકાયદે ઘુસણખોરો રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરો બની શકે છે. જેથી આવા તત્વોને તાત્કાલિક ઝડપી પાડીને એમને ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવા જાેઈએ. આ મામલે એક નાગરિક તરીકે પોલીસની મદદ કરવાની આપણી બધાની ફરજ છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતા ગેરકાયદે ઘુસણખોર અંગે કોઈને માહિતી મળે તો તેણે નૈતિકતાના આધારે પણ પોલીસને આ બાબતની જાણ કરવી જાેઈએ. વડોદરા પોલીસે શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જાે તમારા ધ્યાનમાં કોઈ બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની ઘુસણખોર આવે તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવી, તેવું શહેર પોલીસ કમીશનર નરસિંમ્હા કોમરે જણાવ્યું હતું. રાષ્ટ્રિય સુરક્ષા માટે બાંગ્લાદેશીઓની જાણકારી પોલીસને આપવી અનિવાર્ય છે અને શહેરના દરેક નાગરીકો પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવી જાેઈએ.


27, એપ્રીલ 2025
વડોદરા પોલીસનું મિશન બાંગ્લાદેશી શહેરમાંથી વધુ ૩ બાંગ્લાદેશી ઘૂસણખોર મળ્યા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટો પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાનો દેશભરમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. આતંકવાદી હુમલામાં ૨૭ નાગરિકોના મોત બાદ વિફરેલુ ભારત દુશ્મન દેશ પાકિસ્તાન પર જબરદસ્ત હુમલો કરે તેવી સંભાવના છે. હાલમાં દેશ ઉપર યુધ્ધના વાદળો ઘેરાયેલા છે. તેવા સંજાેગોમાં દેશની આંતરિક સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. દેશની આંતરિક સુરક્ષા જાળવવાની જવાબદારી પોલીસની છે. વડોદરા પોલીસની વાત કરીએ તો છેલ્લા ત્રણેક દિવસથી પોલીસે શહેરના ખૂણેખાંચરે છૂપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને શોધવાની ઝૂંબેશ શરૂ કરી છે. ગઈકાલે શહેરના તુલસીવાડી વિસ્તારમાં પોલીસે લગભગ ૪૦૦થી ૫૦૦ જેટલા શંકાસ્પદોની તપાસ કરી હતી. જે દરમિયાન પાંચ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ગયા હતા. આજે પોલીસે આજવા રોડના એકતા નગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ. જે દરમિયાન ૧૦૦ મહિલાઓ અને ૨૦૦ પુરુષો શંકાસ્પદ મળી આવ્યા હતા. જેથી ડિટેલ વેરિફિકેશન માટે તમામ ૩૦૦ જણાને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. હાલમાં તમામના ભારતીય હોવાના આધાર પુરાવાની ચકાસણી થઈ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એકતા નગરમાંથી ત્રણ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. અત્યાર સુધીની ગણતરીમાં ત્રણ બાંગ્લાદેશી હોવાની વાતને પોલીસનું સમર્થન મળ્યુ છે. હજી બીજા ઘણા લોકોના વેરિફિકેશન બાકી છે. રાત સુધીમાં આંકડો વધે તેવી શક્યતા છે. વડોદરાની જેમ પાદરામાં પણ પોલીસે ૫૦૦ જેટલા શંકાસ્પદોના વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે. પાદરામાં આવેલા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો પોલીસના શંકાના દાયરામાં છે. બંગાળી બોલતા કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી ઘુસણખોર છૂપાયો છે કે કેમ ? તે જાણવા માટે પોલીસે વેરિફિકેશન અભિયાન શરૂ કર્યું છે. પોલીસની સતર્કતા વચ્ચે વડોદરા રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.


27, એપ્રીલ 2025
આંકલાવના જાેરીયાદેવ સીમ વિસ્તારના ખેતરમાંથી યુવકની ડીકમ્પોઝ લાશ મળી

આણંદ, આંકલાવ જાેરીયાદેવ સીમ વિસ્તારમાં શનિવારે ૧૧ વાગ્યાના અરસામાં ૪૫ વર્ષીય પુરુષની દિવેલાના ખેતરમાંથી ડીકમ્પોઝ થયેલ લાશ મળી આવી આવી હતી. મૃતક યુવક આંકલાવ માઘા વિસ્તારમાં રહેતો દેવજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. જે બે દિવસ પહેલા ઘરે નીકળી ગયા બાદ પરત ફર્યો ન હતો. હાલ આ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.આંકલાવ સીમ વિસ્તારમાંથી શનિવાર સવારના સમયે એક ૪૫ વર્ષના આશરાના યુવકની લાશ મળી આવી હતી. જે બાબતે આંકલાવ પોલીસ મથકે જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહનો કબજાે લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મરનાર યુવકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે મૃતક યુવક માધા વિસ્તારમાં રહેતો દેવજીભાઈ રાવજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૪૫ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે મૃતક યુવકની પત્ની કોકીલાબેન અને પરિવારજનોની પુછપરછ કરતાં મૃતક દેવજી ઠાકોર બે દિવસ પહેલાં પોતાના ઘરેથી કોઈ કામ અર્થે નીકળ્યો હતો.બાદમાં તે ગુમ થઈ જવા પામ્યો હતો. પરિવારજનોએ તેની શોધખોળ કરતાં તેનો ક્યાંય અતોપતો લાગ્યો ન હતો. તે દરમિયાન શનિવારના ૧૧ વાગ્યાના સમયે તેનો મૃતદેહ આંકલાવ સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ મૃતક યુવકનો એક હાથ કૂતરું અથવા અન્ય જનાવર ખાઈ ગયો હોવાનું દેખાઈ આવે છે. હત્યા કે અન્ય કારણોસર મોત થયું છે તેની તપાસ દેવજી ઠાકોરની હત્યા થઇ છે કે અન્ય કારણોસર મોત નિપજયું છે .તે તો પીએમ રીપોર્ટ આવ્યાં બાદ જાણી શકાશે.હાલ દેવજી બે દિવસ પહેલા સીમ વિસ્તારમાં મુત્યુ થયું હોવાથી મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયો હોવાથી મૃતદેહ પર અન્ય કોઇ નિશાન હોવાનું જાણી શકાયું નથી. તેમજ સીમમાં બે દિવસ મૃતહેદ પડી રહ્યો હોવાથી કુતરા કે અન્ય પ્રાણી એક હાથ ખાઇ ગયા હોવાનું મનાય છે. જાે કે પીએમ રીપોર્ટ બાદ મોત સાચું કારણ જાણ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. તેમ આંકલાવ પોલીસના સૂત્રોએ જણાવ્યું છે.


27, એપ્રીલ 2025 બોડેલી   |  
બોડેલી મેરીયા બ્રિજ પાસે રેતી તથા માટીના થરથી વાહન ચાલકોને જાેખમ

છોટાઉદેપુર જિલ્લામાં થી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ મેરીયા બ્રિજ પાસે ઉતરતા ની સાથે જ રેતી તથા માટીના મોટા મોટા થર જાેવા મળે છે જે છેલ્લા છ મહિનાથી હટાવવામાં આવતા નથી આ બાબતની જાણ લાગતા અધિકારીઓને પણ કરવામાં આવે છે પણ તેમના દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને અવરજવર કરનાર વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ગાડી ના ટાયરો દ્વારા ધૂળ ડમરી ઉડતા બાઈક ચાલકોને તો ખૂબ જ તકલીફ પડતી જાેવા મળે છે છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી આજ રોડ પરથી ઉચ્ચકક્ષાના અધિકારીઓ પસાર થતા હોય છે અને જિલ્લાના નેતાઓ પણ આ જગ્યા પરથી પસાર થતા હોય છે છતાં પણ કોઈપણ જાતનો સફાઈ અર્થે રોકટોક થતી હોય એવું લાગી રહ્યું નથી તો લોક માંગ ઉઠી છે કે વહેલી તકે રોડ ઉપરથી રેતી તથા માટીના થર હટાવવામાં આવે જેથી કરીને બાઈક ચાલકોને બાઈક ચા લખોને પડતી હાલાકી દૂર થાય અને જે સ્લીપ થતા અકસ્માત સર્જાય છે તે પણ અટકે એટલે વહેલી તકે આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે એવી લોક માંગ ઊઠે છે


ઉત્તર ગુજરાત વધુ વાંચો
27, એપ્રીલ 2025
ચાંદલોડિયામાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાના લગ્ન વર્ષ ૨૦૨૩માં ઉત્તરપ્રદેશના એક યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા ફેબ્રુઆરી મહિનામાં મહિલાના પતિએ નવી ગાડી અને અન્ય ચીજ વસ્તુ ખરીદવા માટે દહેજ પેટે રૂપિયા ૫૫ લાખની માંગણી કરી હતી. જેથી મહિલાના પિતાએ અમુક રકમ રોકડ અને બેંક મારફતે આપી હતી. બાદમાં સગાઈ કરી ત્યારે પણ તેના પિતાએ રૂપિયા ૫ લાખનો વ્યવહાર કર્યો હતો. લગ્નના દસેક દિવસ બાદ મહિલાના સસરાને કેન્સરની બીમારીની સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.જ્યાં તેની નણંદ મહિલાને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરતી હતી. સસરાના મૃત્યુ સમયે પણ સારવારનો ખર્ચો વધારે થતાં મહિલાના પિતાએ તેના પતિને એક લાખ રૂપિયા આપ્યા હતા. છતાં તેના સાસુ “તું કાળી છે, તું નીચી છે. અપશુકનિયાળ છે. તારા આવવાથી મારા પતિ મરણ ગયેલ છે.” તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા.સાસરિયાના ત્રાસથી મહિલા તેના પિયરમાં આવી ગઈ હતી. જાેકે તેના સાસરિયા સમાધાન કરીને તેને પરત સાસરીમાં લઈ ગયા હતા. મહિલા ફોનમાં તેના માતા પિતા સાથે વાતચીત કરે તો તેનો પતિ ઉશ્કેરાઈ જઈને ફોન લઈ મહિલાને ઘરની બહાર કાઢી મૂકતો હતો. ઘરના સભ્યોની સામે જ સ્પીકર પર ફોનમાં વાત કરવા માટે મજબૂર કરતો. એટલું જ નહીં વારંવાર છૂટાછેડા આપી દેવા માટે પણ ધાકધમકી આપતો હતો. જ્યારે જન્મદિવસ નિમિત્તે તેના પતિએ આઇફોનની માંગણી કરતા મહિલાના માતા પિતાએ આઇફોન ગિફ્ટ કર્યો હતો.મહિલા અને તેનો પતિ ગાડીમાં જેતપુર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ બાબતને લઈને ઝઘડો થતાં તેના પતિએ ટ્રેક્ટર સાથે ગાડી અથડાવી દીધી હતી. જેમાં મહિલાને ઈજા પહોંચી હતી. જે બાબતની જાણ મહિલાએ તેના પતિને કરતા તેને સાસરીમાંથી પિયરમાં લઈ ગયા હતા. અનેક પ્રયત્ન બાદ સાસરિયાએ સમાધાન ન કરતા અંતે મહિલાએ આ બાબતની જાણ પોલીસને કરી હતી.


27, એપ્રીલ 2025
ક્રાઈમ બ્રાંચે પેથાપુરમાં ડબલ મર્ડરના ગુનામાં ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ૨૦૦૨ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. તે સમે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી વોન્ટેડ હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી નિરુપમ ઉર્ફે ભૂરિયો કણસાગરાની ગાંધીનગરના ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરી છે. આરોપી ૨૩ વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે.પોતાની ઓળખ બદલી અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો.વર્ષ ૨૦૦૨માં ગાંધીનગરના પેથાપુર માં પૈસાની લેતી દેતી મામલે ઇન્ડિગો ગાડીમાં રહેલ સલીમ શેખ અને દેવશી ભરવાડની છ લોકોએ મળી છરી વડે હત્યા કરી હતું.હત્યા બાદ પૂરાવા નાશ કરવા માટે વાવોલથી ઉવારસદ પાસે ઈન્ડિગો ગાડી પેટ્રોલથી સળગાવી દીધી હતી.જે કેસમાં પાંચ આરોપી ધરપકડ થઈ હતી જેમાં પાંચે આરોપીને આજીવન કેદની સજા પડી હતી. પરંતુ મુખ્ય આરોપી જશુ પટેલની વર્ષ ૨૦૦૯માં હત્યા થતા મૃત્યુ નિપજ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપી નિરુપમ ઉર્ફે ભુરીયો કણસાગરા હત્યા કર્યા બાદ મહારાષ્ટ્રના શેરડી ખાતે જતો રહ્યો હતો. જે બાદ ચોટીલા પાસે એક વાડીમાં ભાગમાં ૬ વર્ષ ખેતી કરી હતી. આરોપી નિરુપમ મુન્દ્રા ખાતે ડીઝલ જનરેટર કામ શીખ્યો હતો.જેના આધારે વડોદરા હાલોલ બે વર્ષ કંપની કામ કર્યું અને ભરૂચમાં પોતાનું ડીઝલ જનરેટર કામ કર્યું હતું અને લોકોને જનરેટ ભાડે આપવાનું કામ કરતો હતો પણ તે પોતાની ઓળખ છુપાવીને બધાને મુન્ના ભાઈ નામ આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી કે, ગાંધીનગરના ડબલ મર્ડરનો આરોપી હવે સુરત રહેવા આવ્યો છે જેના આધારે ધરપકડ કરી છે. મૃતક સલીમ અને આરોપી જશુ પટેલને ૧.૪૦ લાખની લેતીદેતી હતી જે પૈસા પરત ન કરતા જશુ પટેલે તેના સાગરિતો સાથે મળી હત્યા કરવામાં આવી હતી.૬ આરોપી પૈકી નિરુપમ કણસાગરા વોન્ટેડ હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી પેથાપુર પોલીસને સોંપ્યો છે.


27, એપ્રીલ 2025
ઓએનજીસીમાં નોકરીના નામે ૫૦ યુવકો સાથે રૂ.૨૫ લાખની છેતરપિંડી કરનારની ધરપકડ

અમદાવાદ,  ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે બનાવટી લેટર બનાવી લોકો પાસેથી ૨૫ લાખ મેળવી છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ વાસમાં રહેતા ગૌતમ સોલંકી નામના યુવકે ઓએનજીસીના વેલ ઉપર કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરીએ રાખવા માટે પૈસા લીધા હતા. ત્યારબાદ તમામને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ આપી દીધા હતા. લોકોને ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કહીને ટ્રેનિંગ માટે અંદર પણ લઈ જતો હતો. સમગ્ર મામલે ઓએનજીસીના સિક્યુરિટી ચાર્જને જાણ થતા તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર બાબત સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ઓએનજીસીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલાને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ઓએનજીસીના કલોલ વિભાગમાં કુવા ઉપર કેટલાક નકલી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જેથી તેમની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો કુવા ઉપર પસાર થતા વાહનો અને સાધનોના ફોટા પાડવામાં આવતા હતા. જે બાબતે તપાસ કરતા કિરણ પરમાર નામનો સુપરવાઇઝર કુવા ઉપર જતા માણસોની હાજરી પૂરતો અને ઝુંડાલ સર્કલ ઉપર બધા માણસો ભેગા કરતો હતો. સહદેવ સિંહ અને તેમની ટીમ ઝુંડાલ સર્કલ ખાતે પહોંચી ત્યારે કિરણ પરમાર નામનો યુવક મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતે ઓએનજીસીમાં નોકરી કરે છે જેથી તપાસ કરતા તેની પાસે ત્યાં હાજર અલગ અલગ વ્યક્તિઓના આઈકાર્ડ અને તેમના એપોઈન્ટમેન્ટ લેટર વગેરે જાેવા મળ્યું હતું. ત્યારબાદ કિરણ પરમારને પૂછતા ગૌતમ સોલંકીએ તેમને આ ડોક્યુમેન્ટ આપ્યા હતા જેથી તેના મોબાઈલ ઉપર ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ગૌતમ સોલંકી ઓએનજીસીમાં ફાઇનાન્સ વિભાગમાં નોકરી કરે છે. નોકરી અપાવવાના બહાને પૈસા મેળવી અને પ્રતિબંધિત જગ્યા પરના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે, ૫૦ જેટલા યુવકો સાથે કોન્ટ્રાક્ટ પર નોકરીના બહાને અલગ અલગ ફી પેટે ૨૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી ગૌતમ સોલંકીએ નોકરી માટેની જાહેરાત પણ બહાર પાડી હતી. જે લોકો આવ્યા તેમના ખોટા ઇન્ટરવ્યુ પણ લીધા અને એક મહિનાની તાલીમ પણ આપતો હતો. આરોપી યુવાનોને તાલીમ આપવા માટે ઓએનજીસીના તેલના કુવે લઈ જતો હતો અને ત્યાં જઈને ફોટા પાડીને અન્ય લોકોને તે ફોટા બતાવતો હતો. આરોપીએ નકલી સિક્કા વાળો એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો હતો. એટલું જ નહીં યુવકોના નકલી આઈકાર્ડ પણ બનાવ્યા હતા. કેટલાક યુવકો ૮થી ૧૦ દિવસ સુધી તાલીમના બહાને નોકરી પર પણ ગયા હતા. ઓએનજીસીના વિજિલન્સને આ અંગેની જાણ થતા તેમણે તપાસ કરી હતી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ગૌતમ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


27, એપ્રીલ 2025 વડોદરા   |  
હવે 24 કલાકમાં ગમે ત્યારે 1 ગ્રામથી 20 ગ્રામ સોનાની ખરીદી કરી શકાશે

ગુજરાતના પ્રથમ ગોલ્ડ ATMનો સુરતમાં પ્રારંભ600 કિલોના મશીનમાં જડબેસલાક સુરક્ષાઅત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના ATM મશીન જોયા હશે. પરંતુ, હવે ગુજરાતમાં GOLD એટીએમ પણ આવી ચૂક્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતામં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ ATM કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફિચર કેવા છે તેની આગળ વાત કરીએ. હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ ગોલ્ડ કે ચાંદી ખરીદી શકાશે એવું નથી પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીન ની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે ગોલ્ડ એકથી એમ થકી 24 કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે. ગોલ્ડસિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોનુ અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે. 'ગોલ્ડસિક્કા'ના ચીફ ગવર્નન્સ ઓફિસર પ્રતાપભાઈએ જણાવ્યું કે અમે હૈદ્રાબાદમાં સૌથી પહેલું ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું છે. આ મશીનમાં એક ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું એટીએમની સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં. અમે અદાણીના તમામ દેશના એરપોર્ટ ઉપર આ ગોલ્ડ એટીએમ મશીન તેમજ અન્ય એરપોર્ટ ઉપર પણ મશીન ગોઠવવા માટેનું આયોજન કરી રહ્યા છે દેશના તિરુપત્તિ બાલાજી તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ આ અમે લોકો મશીન મુકવા જઈ રહ્યા છે. મારા પિતાજીનું સપનું પૂરું કર્યું છે- દિપક ચોકસી ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત લોકો વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ તરીકે આપતા હોય છે. પરંતુ, ક્યારે રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકતા નથી હોતા. પરંતુ હવે આ મર્યાદા પણ દૂર થઈ જશે કારણ કે અમે જે પ્રકારે એટીએમ ગોઠવી રહ્યા છે તેને કારણે 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે. એટીએમ કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે આવનાર પેઢી માટે પણ હવે આ ખૂબ જ સરળ રહેશે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર હોય આવા દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. ત્યારે લોકો સરળતાથી ખરીદી શકશે. હવે દરરોજ 100 રૂપિયાનું સોનું પણ ખરીદી શકાશે! ડિજિટલ ગોલ્ડ એપ બનાવી છે. જેમાં તમે ગમે તેટલી રકમમાં ખરીદી શકશો. રોજ તમે 100નું પણ ગોલ્ડ લઈ શકો છો. એ ગોલ્ડ એટીએમમાં એકગ્રામ સુધી ભેગા થયા બાદ તમે એની જોડે પણ અમારી પાસેથી ખરીદી શકો છો. અને તમારા વોલેટમાં પણ તમે એ સોનુ રાખવા માંગતા હોવ તો એક આખો ડેટા તમારી પાસે રહેશે. ડી ખુશાલદાસ જ્વેલર્સ એપ શરૂ કરવામાં આવી રહી છે. આ એપ થકી જ તમે ખૂબ ઓછામાં ઓછા રૂપિયાથી પણ ખરીદી શકાશે. તમારા બજેટ પ્રમાણે નાનામાં નાની રકમથી પણ તમે ખરીદી કરી શકશો.


26, એપ્રીલ 2025
ગુજરાતમાં સરકારી કચેરીઓ સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ વાગ્યા સુધી શરૂ રાખવા ભલામણ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વહીવટી સુધારા આયોગ ની રચના કરી છે જેથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કામગીરીમાં જરૂરી ફેરફારો કરી શકાય, જેનો ઉદ્દેશ્ય ‘વિકસિત ગુજરાતજ્ર૨૦૪૭’ ના રોડમેપ દ્વારા ગુજરાતને આગળ લઈ જવાનો છે જેથી પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭’ ના વિઝનને સાકાર કરી શકાય. ગુજરાત વહીવટી સુધારા પંચની રચનાની જાહેરાતના એક મહિનાની અંદર, પંચે રાજ્ય સરકારને ભલામણોનો પહેલો અહેવાલ સુપરત કર્યો હતો. અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના માર્ગદર્શન હેઠળ આ પરંપરાને આગળ ધપાવતા, કમિશનના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ કમિશનની રચનાના બીજા મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લગભગ ૧૦ ભલામણો સાથેનો બીજાે અહેવાલ સુપરત કર્યો છે. જેમાં મુખ્યત્વે સરકારી કચેરી સવારે ૯.૩૦ કલાકથી શરૂ કરવા અને સાંજે ૫.૧૦ કલાક સુધી ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયેલ ભલામણોના આ બીજા અહેવાલમાં ‘સરકાર તમારા દ્વારે’ એટલે કે ‘સરકાર આપકે દ્વાર’ ના સૂત્રને ધ્યાનમાં રાખીને ૧૦ નાગરિક-કેન્દ્રિત ભલામણો સામેલ છે, જે મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ય્છઇઝ્ર દ્વારા સુપરત કરાયેલ આ બીજાે અહેવાલ એવા સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે નાગરિકો માટે જાહેર સેવાઓની ઉપલબ્ધતાને સરળ બનાવે છે. બધી સરકારી યોજનાઓનો ઉપયોગ કરવા માટે એક જ સાઇન-ઓન રાખવાની મુખ્ય ભલામણ ‘તમારા નાગરિકને જાણો’ ના વિચારને પ્રોત્સાહન આપે છે, સાથે સાથે નાગરિકોને દર વખતે એક જ માહિતી દાખલ ન કરવી પડે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ પણ કરે છે. આ અભિગમ ડિજિટલ માધ્યમ દ્વારા વિવિધ યોજનાઓ અને સેવાઓને ઍક્સેસ કરવામાં સરળ અનુભવ બનાવવાનો પણ એક પ્રયાસ છે. કમિશનના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ ભલામણોનો બીજાે અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો, જેમાં આ બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે કમિશનના સભ્ય મુખ્ય સચિવ પંકજ જાેશી અને સભ્ય સચિવ હરિત શુક્લા પણ હાજર રહ્યા હતા. ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ માહિતી આપી હતી કે તેના પ્રથમ અહેવાલમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મયોગીઓ અને સામાન્ય જનતા પાસેથી વહીવટી સુધારા અંગે સૂચનો મંગાવવાની ભલામણ કરી હતી, કમિશનને અત્યાર સુધીમાં ૨૧૫૦ થી વધુ ભલામણો અને પ્રતિસાદ પ્રાપ્ત થયા છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
27, એપ્રીલ 2025
ઘરનાં પહેલાં માળની ગેલેરીમાંથી નીચે પટકાતાં બાળકીનું મોત

સુરત મૂળ ઉત્તર પ્રદેશ ફતેપુર ના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા રાતુશકુમાર યાદવ ધાગા કટીંગ નું કામ કરી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. રાતુશકુમાર ના બે સંતાન પૈકી ત્રણ વર્ષીય પુત્રી અંજલી ૧૨ એપ્રિલના રોજ બપોરે માતા સાથે ઘરે જમીને ઊભી થઈ હતી. એ વેળા માતા હાથ ધોવા માટે બાથરૂમ પાસે ગઈ હતી. તે દરમિયાન અંજલિ રમતા રમતા ઘરની ગેલેરીનાં પહેલા માળેથી નીચે પટકાઈ હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંજલિનું શુક્રવારે બપોરે મોત નીપજ્યું હતું.આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.


27, એપ્રીલ 2025
હવસખોરનો શિકાર બનેલી ડીંડોલીની અને અમરોલીની ૧૨ વર્ષની કિશોરી ગર્ભવતી બની

સુરત, સગીરાઓ સાથે જાતીય દુર્વ્યવહાર તથા બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહે છે. ડીંડોલીમાં ૧૬ વર્ષની કિશોરી સાથે તો અમરોલીના કોસાડ આવાસમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી હવસખોરીનો શિકાર બની હતી. આ બંને કિસ્સામાં સગીરા ગર્ભવતી બનતાં મામલો પ્રકાશમાં આવ્યો અને ફરિયાદ નોંધાવાઇ હતી. બનાવ અંગે ડીંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નવાગામ વિસ્તારની દીપક નગર વિસ્તારમાં રેખાબેન તેમના પરિવાર સાથે રહે છે. ગીર સોમનાથ જિલ્લાના વતની એવા રેખાબેનની ૧૬ વર્ષ ઉંમરની દીકરી પ્રિન્સી ( નામ બદલ્યું છે)ને નવાગામની તુલસીધામ સોસાયટીમાં રહેતાં કનૈયા ઉર્ફે કનુ દેવારામ રાણાએ ફસાવી હતી. કનૈયો છેલ્લા છ મહિનાથી આ પ્રિન્સીની પાછળ પડ્યો હતો. ફિલ્મી હીરો માફક સતત પીછો કરી આગળ પાછળ ફરતાં રહી તેણે આ સગીરાને ભોળવી હતી. કનુ રાણાએ સગીરાને તાબે કર્યાં બાદ અવાર નવાર ફરવા લઇ જવા માંડ્યો હતો. દરમિયાન છ સાત મહિના અગાઉ એક દિવસ પ્રિન્સીને ડીંડોલીમાં આવેલી ઓયો હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં તેણીને પ્રેમ અને લગ્નની વાતોમાં ભોળવી શરીર સંબંધ બાંધ્યો હતો. એ સમયે પ્રિન્સીએ વિરોધ કર્યો પરંતુ કનુએ બળવાપરી તેણી પર હાવી થયો અને હવસ સંતોષી હતી. ત્યારબાદ તે પ્રિન્સીને હોટેલ જ નહીં પરંતુ મિત્ર રોશનના ઘરે લઈ જઈ હવસ સંતોષવા માંડ્યો હતો. અવાર નવાર બળાત્કારના પગલે સોળ વર્ષની પ્રિન્સી ગર્ભવતી બની ગઈ હતી. ગર્ભવસ્થાને લઇ શારીરિક તકલીફો શરૂ થતાં તેણીએ માતાને જાણ કરી હતી. માતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ ત્યારે આ સગીરા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તબીબે આ વાત જણાવતા માતા ચોંકી ઉઠી હતી. તેણીએ પૂછતાછ કરતા પ્રિન્સીએ કનૈયા રાણાની કરતૂતો જણાવી હતી. ત્યારબાદ માતા સગીર દીકરી સાથે પોલીસ પાસે પહોંચી અને કનુ સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે બળાત્કારનો અન્ય એક બનાવ અમરોલી પોલીસ મથકમાં નોંધાયો છે. અહીં કોસાડ આવાસમાં એચ-૦૧ બિલ્ડીંગમાં રહેતાં રબીઉલ શેખે ૧૨ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં મુમતાઝ શેખ ( નામ બદલ્યું છે) દવા લેવા માટે રબીઉલના ઘરે ગઇ હતી. એ સમયે ઘરમાં એખલા રબીઉલે તેણીને અંદર બોલાવી અને બાથમાં ભીડી લીધી હતી. મુમતાઝે પ્રતિકાર કર્યો પરંતુ રબીઉલે તેણીને તાબે કરી લીધી હતી. બળજબરીથી તેણીના કપડા કાઢી રબીઉલે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. હવસ સંતોષ્યા બાદ રબીઉલે તેણીને આ અંગે કોઇને કશું કહ્યું છે તો મારી નાંખીશ એવી ધમકી આપી હતી. સાથે જ પરિવારને નુકશાન પહોંચાડવાની ચીમકી પણ અપાઇ હોય મુમતાઝ ચુપ રહી હતી. જો કે, બે વખત બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોય તેણી ગર્ભવતી બની હતી. દરમિયાન પચ્ચીસમી તારીખે તેણીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. બાળકીએ આ અંગે ફરિયાદ કરતાં માતા શબાના ( નામ બદલ્યું છે) તેણીને સારવાર માટે લઇ ગઇ હતી. ડોક્ટરે ચેક કરતાં આ બાળકી ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. તબીબની વાત સાંભળી શબાનાએ દીકરીને આ અંગે પૂછ્યું ત્યારે તેણીએ રબીઉલની હરકત જણાવી હતી. ત્યારબાદ શબાના પોલીસ પાસે પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી.


27, એપ્રીલ 2025
મગોબનાં ગણેશનગરમાંથી ૧૧ વર્ષનાં બાળકને લઇ સ્કૂલ ટીચર ગૂમ

સુરત, મગોબ વિસ્તારમાં રહેતી યુવતી તેણીની સ્કુલમાં ભણતા અને ઘરે ટ્યૂશને આવતા ૧૧ વર્ષનાં બાળકને લઇ ગાયબ થઇ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પુણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પરવત પાટીયા વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટ માં રહેતાં આકાશ પ્રજાપતિ ( નામ બદલ્યું છે) કરિયાણાનો વેપાર કરે છે. મગોબના તિરૂપતિ એપાર્ટમેન્ટ પાસે તેમની છે. આકાશનો મોટો પૂત્ર કનૈયો ( નામ બદલ્યું છે) પરવટ પાટીયા રંગ અવધૂત સોસાયટી પાસે આવેલી અનુરાગ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ૧૧ વર્ષનો કનૈયો સ્કુલની ટીચર માનસીબેન રજનીકાંત અમરતલાલ નાઇ (રહે ઘર નં. ૩૦૨ સમર્પણ એપાર્ટમેન્ટ ગણેશનગર સોસાયટી મગોબ. વતન-કંથાળી ગામ તા.ઉંઝા જી.મહેસાણા) ના ઘરે છેલ્લા ત્રણેક વર્ષથી ટ્યૂશને જાય છે. ગત ૨૫મી એપ્રિલના રોજ બપોરના સમયે કનૈયો એપાર્ટમેન્ટની નીચે રમવા ગયો હતો. ત્રણેક વાગ્યા સુધી કનૈયો ઘરે પરત નહીં આવતા ચિંતાતુર બનેલી માતાએ અંગે આકાશને કોલ કર્યો હતો. તેણે આસપાસ રમતો હશે આવી જશે એમ કહી વાતને ગંભીરતાંથી લીધી ન હતી. ત્યારબાદ પાંચ વાગ્યા સુધી કનૈયો ઘરે નહીં આવતા મામલો પ્રજાપતિ પરિવારે શોધખોળ આરંભી હતી. ગણેશ નગર તેમજ પરવટ પાટીયા વિસ્તારનાં તપાસ કર્યા બાદ સોસાયટીના સીસી કેમેરા ચેક કરાયા હતાં. જેમાં કનૈયાને તેની ટીચર માનસી નાઇ હાથ પકડીને પરવટ પાટીયા તરફ ચાલતી ચાલતી લઇ જતાં દેખાઈ હતી.નાઈ જોઈ પ્રજાપતિએ તેણીનાં માતા-પિતાને પૂછ્યું હતું, જેમાં તેઓએ કહ્યું કે, બપોરે બે વાગ્યાની આસપાસ માનસી ઘરેથી ગઇ છે, તે પરત નહીં આવતા અમે કોલ કર્યો પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ આવે છે. એ આખી રાત અને બીજા દિવસે ના તો માનસી કનૈયાને લઇ પરત આવી કે ન તેનો મોબાઈલ ચાલુ થયો. આ રીતે બાળકને ભોળવી પોતાની સાથે લઇ જનાર માનસી સામે પિતા પ્રકાશ પ્રજાપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસી કેમેરા ફૂટેજનાં આધારે માનસીની શોધખોળ શરૂ કરી હતી.રેલવે સ્ટેશન પહોંચી મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો ઇન્સ્પેક્ટર વી. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, ટીચર માનસી ૨૨-૨૩ વર્ષ ઉંમરની છે. તે કનૈયાને લઇ ગણેશનગરથી નીકળી રેલવે સ્ટેશન પહોંચી હતી. સ્ટેશન ગયા બાદ તેણીએ મોબાઇલ બંધ કરી દીધો હતો. અમે સ્ટેશનની જુદા જુદા પ્લેટફોર્મના સીસી કેમેરા ચેક કરી રહ્યા છે. અહીંથી માનસી કંઈ તરફ ગઈ એની માહિતી મળી શકે એવા પ્રયત્ન કરાઇ રહ્યા છે. વતન ઉંઝા તપાસ કરાવાઇ પરંતુ તેણી ત્યાં પહોંચી નથી. માનસી કયા કારણોસર ૧૧ વર્ષના કનૈયાને લઇ ગાયબ થઈ એ જાણવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


27, એપ્રીલ 2025
ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરની દરખાસ્તમાં ગંભીર ભૂલ કરનાર ભોગાયતાએ ડીનની દરખાસ્તમાં પણ ભાંગરો વાટ્યો હતો

સુરત, સુરત મહાનગર પાલિકામાં પોતાની કાર્યપદ્ધતિ અને પ્રેક્ટિસ દ્વારા ચર્ચાસ્પદ બનેલાં રાજ્ય સરકાર નિયુક્ત ડેપ્યુટી કમિશનર ભોગાયતાએ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઇ અને સિટી ઇજનેરની દરખાસ્તમાં તો ગંભીર ભૂલો કરતાં ખુદ મ્યુનિસિપલ કમિશનર અને શાસકોની પ્રતિષ્ઠાને લૂણો લાગ્યો હતો આ ઉપરાંત ભોગાયતાએ સ્મીમેર મેડિકલ કોલેજનાં ડીન ડો. દિપક હોવાળેને કાયમી કરવાની દરખાસ્તમાં પણ ભાંગરો વાટ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સુરત મહાનગર પાલિકામાં નિયુક્તિ મેળવ્યાં બાદ જ્યારે મહેકમ વિભાગનો હવાલો હતો ત્યારે પોતાનાં વહિવટની આગવી પ્રેક્ટિસ ધરાવતાં ભોગાયતાએ મનપાની સાચી વહિવટી પ્રક્રિયામાં ગંભીર ભૂલોની પરંપરા સર્જી છે તેમ છતાં તેમની સામે પગલાં ભરવામાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કેમ પાછીપાની કરે છે તે બાબત અધિકારીઓની સમજની બહાર છે. સ્થાનિક અધિકારીઓને નાની નાની ભૂલો બદલ શો-કોઝ નોટિસ, ચાર્જશીટ અને સસ્પેન્શન જેવા શિક્ષાત્મક પગલાંનો કોરડો ફટકારીને નાની ભૂલો પણ ચલાવી નહીં લેવાની ઇમેજ પ્રસ્થાપિત કરનાર કમિશનર શાલિની અગ્રવાલ ત્રણ ત્રણ ગંભીર ભૂલો આચરનાર ભોગાયતાને કેમ છૂટો દોર આપી રહ્યાં છે તેવો સવાલ પણ અધિકારીઓમાં ચર્ચાઇ રહ્યો છે. જતિન દેસાઇને સિટી ઇજનેર પદે નિમણૂક આપવા બાબતની દરખાસ્તમાં ગંભીર ભૂલ કરનાર અધિકારી-કર્મચારી સામે પગલાં ભરવાની તાકિદ સ્થાયી સમિતિએ કમિશનરને કરી છે જાે કે, કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી સમિતિથી એક ડગલું આગળ ચાલી રહ્યાં છે તેમણે વિદેશ પ્રવાસ પહેલાં જ મહેકમ વિભાગનાં પર્સનલ ઓફિસર, સેક્શન ઓફિસર અને ક્લાર્કને શો-કોઝ નોટિસ ફટકારવાનો આદેશ આપી દીધો હતો. જાે કે, આ હુકમ કરીને તેમણે ડેપ્યુટી કમિશનર ભોગાયતાને પરોક્ષપણે તો બચાવી જ લીધા હોવાનું જણાઇ રહ્યું છે. સ્વાતિ દેસાઇ અને જતિન દેસાઇ પછી હવે મેડિકલ કોલેજનાં ડીન ડો. દિપક હોવાળેનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ડો.હોવાળે તા.૦૯-૦૨-૨૦૨૨ મુજબ અજમાયશી ધોરણે સ્મીમેર કોલેજનાં ડીન તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ડો. હોવાળેને તા.૧૯-૦૨-૨૦૨૩થી સુરત મહાનગર પાલિકાની નોકરીમાં કાયમી કરવાને બદલે માત્ર પુરા પગારમાં સમાવેશ કરવાની દરખાસ્ત ભોગાયતાએ તૈયાર કરીને મ્યુ.કમિશનરને મોકલી આપી હતી. કમિશનરે પણ ગાંધારીપણું દાખવીને દરખાસ્ત ધ્યાનથી વાંચ્યા વિના સહિ કરી સ્થાયી સમિતિ સમક્ષ પેશ કરી દેતાં સ્થાયી સમિતિએ પણ તે બાબતનો ઠરાવ કરી દીધો હતો. ડીન ડો.હોવાળેને કાયમી કરવાનાં હોવાથી બધા જ એવું સમજી બેઠાં કે કાયમી કરવાનો ઠરાવ કરી દેવાયો છે પરંતુ હકિકતમાં મ્યુ.કમિશનરની દરખાસ્તમાં જ ડો. હોવાળેને કાયમી કરવાનો ક્યાંય કોઇ ઉલ્લેખ જ નથી. ભોગાયતાએ ડીન ડો. હોવાળેની દરખાસ્ત તૈયાર કરવામાં પણ ભાંગરો વાટ્યો હોવાથી કમિશનર માટે વધુ એકવાર નીચાજાેણું થયું છે. જતિન દેસાઇની દરખાસ્ત મુદ્દે ગુસ્સે ભરાયેલાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ હવે ભોગાયતાની આ ગંભીર ભૂલ અંગે કેવું વલણ અપનાવે છે તે જાેવાનું રહ્યું. સ્વાતિ દેસાઇ અને ડીન ડો. હોવાળેની દરખાસ્તમાં કોમ્પ્યુટર મારફતે ઓટો જનરેટ કરેલા વિજિલન્સ અને ઇન્કવાયરી વિભાગનાં પ્રમાણપત્રો જાેવામાં આવ્યા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે તો જતિન દેસાઇનાં કિસ્સામાં આ પ્રોસિજર ભોગાયતાએ કેમ ફોલો કરી નહીં તે પણ તપાસનો વિષય છે. સ્વાતિ દેસાઇની દરખાસ્તમાં હકિકત દોષ દેખાયો છતાં પગલાં નહીંમહાનગર પાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતાં સ્વાતિ દેસાઇને કાયમી કરવાની દરખાસ્ત તૈયાર કરવાને બદલે ભોગાયતાએ તા. ૦૧-૧૧-૨૦૨૨થી પુરા પગારથી નોકરી સમાવેશ કરવા બાબતની દરખાસ્ત તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપી હતી. કમિશનરે પણ આંખો ઉપર પટ્ટી બાંધી હોય તેમ ભોગાયતાએ તૈયાર કરેલી દરખાસ્ત ઉપર સહિ કરીને સ્થાયી સમિતિ સમક્ષ પેશ કરી દીધી. પાછળથી ખબર પડી કે ખરેખર તો સ્વાતિ દેસાઇને કાયમી કરવાની દરખાસ્ત કરવાની હતી. સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત મુલતવી રાખી હતી. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલને નવી સુધારા દરખાસ્ત તૈયાર કરાવવાની ફરજ પડી અને ફરીથી સ્થાયી સમિતિ સમક્ષ સુધારા દરખાસ્ત પેશ કરતાં શાસકોએ સ્થાયી સમિતિની બેઠકમાં તે મંજૂર કરી હતી. સિટી ઇજનેરની નિમણૂકમાં ચાર્જશીટની વિગત ન્હોતી છતાં પગલાં નહીં સુરત મહાનગર પાલિકામાં અઢી દાયકાથી ફરજ બજાવનાર ઇન્ચાર્જ સિટી ઇજનેર જતિન દેસાઇને અક્ષય પંડ્યાની નિવૃત્તિ બાદ સિટી ઇજનેર તરીકે નિમણૂક આપવા બાબતની દરખાસ્ત ભોગાયતાએ તૈયાર કરાવી હતી. જતિન દેસાઇ કોઇપણ પ્રકારનાં આરોપો વિનાની બીનવિવાદી/નિષ્કલંક ફરજ બજાવી રહ્યાં છે અને સિટી ઇજનેરની નિયત લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને તેમને સિટી ઇજનેર તરીકે નિમણૂક આપવા બાબતની ડેપ્યુટી કમિશનર ભોગાયતાએ તૈયાર કરેલી દરખાસ્ત ઉપર કમિશનર શાલિની અગ્રવાલે આંખો ઉપર પટ્ટી બાંધી હોય તેમ સહિ કરી સ્થાયી સમિતિને મોકલી આપી હતી. જતિન દેસાઇને ચાર્જશીટ આપવામાં આવી હોવાની જાણ થતાં સુધારા દરખાસ્ત કમિશનરે ફરીથી મોકલવી પડી હતી અને સ્થાયી સમિતિએ નિમણૂક આપતો ઠરાવ રદ્દ કર્યો હતો. મેડિકલ કોલેજનાં ડીનને કાયમ કરવાની દરખાસ્તમાં ગરબડ છતાં કાર્યવાહી નહીં સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજનાં ડીન તરીકે અજમાયશી ધોરણે ફરજ બજાવતાં ડો.દિપક સદાશિવ હોવાળેને તેમની ભલામણ મુજબ કાયમી કરવા બાબતનો પત્રવ્યવહાર ચાલતો હતો. ભોગાયતાએ દરખાસ્ત તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપી હતી. આ દરખાસ્તમાં ડીન ડો.હોવાળેને મહાનગર પાલિકાની નોકરીમાં પુરા પગારમાં સમાવેશ કરવા બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. ભોગાયતા ઉપર વધુ પડતો વિશ્વાસ ધરાવતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ આંખો ઉપર પટ્ટી બાંધી હોય તેમ દરખાસ્ત વાંચ્યા વિના સહિ કરીને સ્થાયી સમિતિ સમક્ષ પેશ કરી હતી. હકીકતમાં ડીન ડો. હોવાળેને કાયમી કરવાની બાબત હતી પરંતુ દરખાસ્તમાં ક્યાંય કાયમી કરવાનો ઉલ્લેખ સુદ્ધાં ભોગાયતાએ કર્યો ન હતો જેથી ડો.હોવાળેને માત્ર પુરા પગારમાં નોકરીમાં સમાવેશ કરવાની દરખાસ્ત ઉપર સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હતો.


27, એપ્રીલ 2025
સુરત જિલ્લામાંથી પણ ૨૩૯ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

સુરત,માંડવી, કાશ્મીરનાં પહેલગામમાં ૨૬ સહેલાણીઓને ધર્મ પૂછીને ગોળી મારનારા આતંકવાદીઓ સાથે તેને આશ્રય આપનારા પાકિસ્તાન સામે પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કેન્દ્ર સરકારનાં દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારો દ્વારા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પણ કાર્યવાહી આરંભી છે. સુરત પોલીસે સરકારની ઈચ્છા અનુસાર રાતોરાત ૧૩૪ બાંગ્લાદેશીઓને શોધી પણ કાઢ્યા હતાં. જ્યારે સુરત જિલ્લા પોલીસે પણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૨૩૯ શંકાસ્પદ બાંગલાદેશી વ્યક્તિઓને પકડી તપાસ હાથ ધરી છે. સુરત રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરનાં માર્ગદર્શન હેઠળ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. આ સર્ચ ઓપરેશનમાં એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ૪ ટીમો સામેલ હતી. સાથે જ વિવિધ પોલીસ સ્ટેશનોની ૮ ટીમોએ પણ ભાગ લીધો હતો. પોલીસે બારડોલી ટાઉન, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, ઓલપાડ અને માંડવી વિસ્તારમાંથી આ શંકાસ્પદોને પકડ્યા છે. તમામને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. સુરતનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસરેએ જણાવ્યું કે, સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડની ૪ ટીમ તેમજ બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી સ્થાનિક પોલીસની કુલ ૮ ટીમો મળી સુરત જિલ્લામાં પોલીસની કુલ ૧૨ ટીમો બનાવવામાં આવી હતી, આ ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ટીમોએ ૨૬ એપ્રિલના રોજ ૧૩૦ અને આજે ૨૭ એપ્રિલના રોજ ૧૦૯ શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમો મળી આવ્યા હતા. જેમાં બારડોલી ટાઉનમાંથી ૪૨, પલસાણા વિસ્તારમાંથી ૪૫, કડોદરા પંથકમાંથી ૨૯, કામરેજથી ૩૫, કીમ વિસ્તારમાંથી ૧૩, ઓલપાડથી ૩૩ અને માંડવીથી સાત બાંગ્લાદેશી ઘૂષણખોરો ઝડપાયા હતાં. આ તમામને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની પૂછપરછ કરી નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.૧૫૦૦થી ૧૫૦૦૦ રૂપિયા વસૂલી બાંગ્લાદેશી અને બંગાળી એજન્ટો સરહદ પાર કરાવે છે  લગભગ ૪,૦૦૦ કિલોમીટર લાંબી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ હંમેશાથી ભારતીય અધિકારીઓ માટે એક મોટો પડકાર રહી છે. ભારત-બાંગ્લાદેશ સરહદ, જે નદી, વન અને દૂરનાં ગામડાંથી થઈને પસાર થાય છે. એક જટિલ વિસ્તાર છે જેને સુરક્ષિત કરવો મુશ્કેલ છે. વર્ષોના પ્રયત્નો છતાં, તેના મોટા ભાગ હજુ પણ બેરિકેડથી મુક્ત છે, જેનાથી આ વિસ્તાર ઘૂસણખોરી અને તસ્કરી માટે ખુલ્લો અને સરળ માર્ગ છે. ખાસ કરીને ઉત્તર બંગાળમાં સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જ્યાં નદીઓ ઘણી વખત પોતાનો રસ્તો બદલી દે છે અને સરહદોમાં ફેરફાર થતો રહે છે અને બેરિકેડ લગાવવો અસંભવ થઈ જાય છે. આ ઘૂસણખોરો અને તસ્કરો માટે સરળ એન્ટ્રી પોઈન્ટ બનાવે છે. અહીંથી રાત્રીના સમયે નદી અને જંગલ વિસ્તારોમાંથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતા હોય છે. પશ્ચિમ બંગાળના પરગના જિલ્લાના પેટરાપોલ સીમા, તલાલી ગામ હકીમપુરગામ અને હસનાબાદમાંથી સૌથી વધું ઘૂસણખોરી થાય છે. ઘૂસણખોરી કરાવનાર એજન્ટો પણ ત્યાં મોટી સંખ્યામાં કાર્યરત છે. તેઓ ૧૫૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા લઇ બોર્ડર ક્રોસ કરાવી આપે છે. સીમા ઓળંગ્યા બાદ પશ્ચિમ બંગાળમાં એજન્ટો મારફતે પહેલા બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક હોવાના ખોટા ડોક્યુમેન્ટો રૂપિયા આપી બનાવી લેતા હોય છે પછી તે ડોક્યુમેન્ટોથી સુરતમાં મજૂરીકામ કરી ત્યાં વસવાટ કરતા હોય છે. પુરુષો છૂટક મજુરી કે, કારખાનામાં નોકરી કરતાં હોય છે. જયારે મહિલાઓને બ્યુટીપાર્લર, સ્પા ઓથે સેક્સ રેકેટમાં ધકેલી દેવામાં આવે છે. સુરત શહેર પોલીસે શરૂ કરેલા વેરિફિકેશનમાં ૫૦થી વધુ બાંગ્લાદેશનાં વતની નીકળ્યા સુરત પોલીસે માત્ર ૫ કલાકમાં શહેર અને ગામમાંથી કુલ ૧૩૪ સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે જેમાં ૪૭ મહિલા અને ૮૭ પુરૂષ છે. આ તમામની અટકાયત ઊન, ફૂલવાડી અને કડોદરા વિસ્તારમાંથી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઊન વિસ્તારમાંથી ૬૪ અને સુરત ગ્રામ્ય વિસ્તાર કડોદરામાંથી ૩૪ લોકો પકડાયા છે. આ તમામ લોકોને ટ્રેનિંગમાં જે પોલીસ જવાનો નંબર પહેરતા હોય છે તે નંબર પહેરાવવામાં આવ્યા હતા. જેથી તેમની ગણતરી સહેલાઈથી કરી શકાય. જ્યાં આ લોકોને રાખવામાં આવશે ત્યાંથી આ લોકો ફરાર ન થઈ જાય તે માટે સીસીટીવી કેમેરાથી તેમના પર ચાંપતી નજર રાખવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં જાણવા જોગ નોંધ કરી તપાસ એસઓજી પીઆઇ પંડ્યાનો સોંપવામાં આવી છે. આ તમામને રાંદેર વિસ્તાર ખાતે આવેલા ભિક્ષુક ગૃહમાં રાખી તેમના ઓળખ અને રહેઠાણના પુરાવાનું ક્રોસ વેરિફિકેશન કરાઇ રહ્યું છે. એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનાં ૧૦ પોલીસ ઇન્સપેક્ટર દ્વારા તમામ સંદિગ્ધ બાંગ્લાદેશીઓનાં ડોક્યુમેન્ટ વેરિફાઈ કરાઇ રહ્યાં છે. સાંજ સુધીની તપાસમાં ૫૦ જેટલા વ્યક્તિ બાંગ્લાદેશના વતની હોવાનું કન્ફર્મ થઇ ચૂક્યું છે. આ વ્યક્તિઓ પાસે પણ ભારતીય નાગરિક તરીકેની આઇડી મળી આવી છે. આ તમામને અલગ તારવી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સરકારનાં નિર્દેશ અનુસાર કાર્યવાહી થઇ રહી હોવાથી શંકાના આધારે આ તમામની ડિપોર્ટ કાર્યવાહી કરી શકાશે એવું સૂત્રો જણાવી રહ્યા છે. બિહાર આરજેડીની મહિલા પ્રમુખે કરેલી ટ્વીટથી ગુજરાત પોલીસ દોડતી થઇ ૨૫ એપ્રિલની રાત્રે ૩ વાગ્યે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારી યુવકોને પણ અટકાયતમાં લઈ લીધા હતા. આ મામલે બિહાર આરજેડીના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ રીતુ જયસ્વાલે ટ્વીટ કરતા મામલો ગરમાયો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીમાં બિહારના ભાયા ગામના લોકોને પકડીપાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મારા મત વિસ્તારના પરિહાર વિધાનસભાના ભાયા પંચાયતના કેટલાક યુવાનો આ કાર્યવાહીમાં ફસાઈ ગયા છે. તેઓ નોકરી માટે ગુજરાત આવ્યા હતા અને તેમને બાંગ્લાદેશી બતાવીને અટકાયત કરવામાં આવી છે. ભાયા પંચાયતના સરપંચ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી છે અને એક પત્રના માધ્યમથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ તમામ ભારતના નાગરિક અને બિહાર રાજ્યના વતની છે. “હું બિહાર સરકારને આગ્રહ કરું છું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાત સરકારનો સંપર્ક કરી જણાવવામાં આવે કે આ તમામ યુવાનો નિર્દોષ છે અને તેમને હેરાન કરવામાં ન આવે.” આ ટ્વીટ બાદ ગુજરાત પોલીસ દોડતી થઇ હતી. જેમના નામે ટ્વીટ કરાયું હતું એ મોહમ્મદ રબાની, મોહમ્મદ નેક મોહમ્મદ, મોહમ્મદ મુબારક અને મોહમ્મદ આઝમને અમદાવાદ પોલીસે પકડ્યા હોવાથી તેઓનું ક્રોસ વેરિફિકેશન કરી મુક્ત કરાયા હતાં. આ ટ્વીટ બાદ તમામ શહેર જિલ્લા પોલીસને તકેદારી સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution