Apple iPhone 18 Pro સિરીઝની ઓફિશિયલ સેલ શરૂ થઈ ગઈ છે. એટલે કે વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. નવા આઇફોનનો જેટલો હાઇપ હતો, તેવું જ જાેવા મળ્યું છે. સ્ટોર ખુલે તે પહેલાં જ નવો આઈફોન ખરીદવા માટે સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈન જાેવા મળી હતી. સ્ટોર ખુલતાની સાથે જ લોકો નવો ફોન ખરીદવા માટે રીતસરના તૂટી પડ્યા હતા. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક ગ્રાહકની ઘણી ચર્ચા થઈ રહી છે.
નવો આઈફોન ખરીદવા માટે આવેલા આ ગ્રાહકે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ સોનું વેચીને પોતાની પત્ની માટે નવો આઈફોન ૧૮ પ્રો ખરીદવા આવ્યા હતા. નોઈડાનો એપલ સ્ટોર સવારે ૮ વાગ્યે ખુલવાનો હતો. જાેકે, આ પહેલા જ DLF મોલની બહાર લાંબી લાઈન લાગી ગઈ હતી. લાઈનમાં દિલ્હીથી સ્પેશિયલ આઈફોન ખરીદવા આવેલા એક વ્યક્તિ ઉભા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમની પત્નીએ તેમની પાસે iPhone 18 Pro ગિફ્ટમાં માંગ્યો હતો. તેમણે કહ્યું કે, હું નવો ફોન મારી પત્ની માટે લેવા આવ્યો છું. જ્યારે તેમને પૂછ્યું કે, “તમે આજે જ આઈફોન લેવાનું કેમ નક્કી કર્યું? જેના જવાબમાં તેમણે કહ્યું કે, આજે પૈસા છે, પહેલા નહોતા, આગળ હશે કે નહીં એ પણ કહીં શકાય એમ નથી. હું તો આજમાં જ જીવી રહ્યો છું.
નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડમાં આરોપી રહેલા સુરેન્દ્ર કોલીનું હરિદ્વારમાં મોત થયું છે. શુક્રવારે ઉત્તર હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં લાલમાતા મંદિર સામે આવેલી એક ચાની દુકાનમાં તેનો મૃતદેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ આશરે ૫૦ વર્ષીય સુરેન્દ્ર કોલી પુત્ર શંકુ રામ, નિવાસી ગામ મંગરુખાલ, ભિકિયાસૈણ, અલ્મોડા તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાથી હરિદ્વારમાં રહેતો હતો અને ભૂપતવાલા વિસ્તારમાં ચાની દુકાન ચલાવતો હતો. આ જ દુકાનની અંદર તેનો મૃતદેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો.
સુરેન્દ્ર કોલીનું નામ નોઈડાના નિઠારી કાંડ સાથે જાેડાયેલા કેસોમાં સામે આવ્યું હતું. જાેકે, ત્યારબાદની ન્યાયિક પ્રક્રિયામાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિઠારી હત્યાકાંડ સાથે જાેડાયેલા અંતિમ કેસમાં તેની દોષસિદ્ધિને પડકારતી પુનર્વિચાર અરજી સ્વીકારવામાં આવ્યા બાદ તેની મુક્તિનો માર્ગ સાફ થયો હતો.
ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જાેવા મળે છે, પરંતુ હવે આ જીવલેણ બીમારી સામે દેશવાસીઓને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. ભારતમાં આવતા વર્ષના શરૂઆતના ૬ મહિનામાં ડેન્ગ્યુની પહેલી રસી બજારમાં આવી શકે છે. જાપાનની દવા કંપની તાકેદાની રસી ‘'QDENGA‘ને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે. દેશભરમાં આ રસી ઉપલબ્ધ કરાવવા માટે જાપાનીઝ કંપનીએ ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે. આ રસી ૪ થી ૬૦ વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે ૩ મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓ પણ આ રસી મુકાવી શકશે. ડેન્ગ્યુ વાયરસના ૪ અલગ-અલગ સ્ટ્રેન હોય છે, જેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેનનો ખતરો યથાવત રહે છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેય પ્રકારના સ્ટ્રેન સામે રક્ષણ પૂરું પાડે છે. ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી ફેલાતી એક ગંભીર વાયરલ બીમારી છે, જેના કારણે દર વર્ષે સેંકડો દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાય છે અને ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. આ નવી રસી આવવાથી દર્દીઓમાં ડેન્ગ્યુના ગંભીર લક્ષણો ઘટી જશે અને હોસ્પિટલમાં દાખલ થવાની કે મૃત્યુ પામવાની શક્યતામાં મોટો ઘટાડો થશે.
પશ્ચિમ બંગાળની સૌથી ચર્ચિત અને હાઇપ્રોફાઇલ ગણાતી નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલા રાજકીય ડ્રામા પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી જૂથે કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ બંગાળ પોલીસે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની એક જૂના મર્ડર કેસમાં ધરપકડ કરી લીધી છે. આ ઘટનાક્રમ બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે અને વિપક્ષી દળોએ શાસક ભાજપ સરકાર પર પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે
તૃણમૂલ કોંગ્રેસના મમતા જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાન (ડે)એ અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસના ઠીક એક દિવસ પહેલાં ઘટેલી આ ઘટના બાદ મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે તેમનું જૂથ નંદીગ્રામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને પૂર્ણ સમર્થન આપશે, પરંતુ આ સમર્થનની જાહેરાત સુખદ નીવડે તે પહેલાં જ રાજ્ય પોલીસે જૂના કેસનું કારણ ધરીને મિલન પ્રધાનની અટકાયત કરી લીધી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મિલન પ્રધાન સામે ૨૦૦૭ના ઐતિહાસિક નંદીગ્રામ જમીન સંપાદન આંદોલન સમયના એક જૂના હત્યાના કેસમાં પેન્ડિંગ અરેસ્ટ વારંટ હતું. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ ધરપકડને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી અને ચૂંટણી સમયે પેન્ડિંગ વારંટોની રૂટીન સમીક્ષા દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે કોર્ટમાંથી તેમની પાસે કોઈ કાનૂની સંરક્ષણ (સ્ટે) નહોતું.
૬ ઓક્ટોબરે યોજાનારી આ પેટાચૂંટણીમાં ઉમેદવારની જ ધરપકડ થઈ જતાં હવે સમગ્ર બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને શનિવારે મિલન પ્રધાનને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મમતા બેનર્જીની પાર્ટીનું નામ હવે થઈ ગયું ‘મમતાTMC’
ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાંTMCના બંને જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્નો ફાળવ્યાં છે. મમતા બેનર્જીની પાર્ટીનું નામ મમતા ઑલ ઇન્ડિયા તૃણમૂલ કાૅંગ્રેસ (મમતાTMC) અને બળવાખોર જૂથનું નામ ડેમોક્રેટિક તૃણમૂલ કાૅંગ્રેસ (ડેમોક્રેટિકTMC) રાખવામાં આવ્યું છે. મમતા જૂથનું ચૂંટણી ચિહ્ન ફૂટબૉલ ખેલાડી હશે, જ્યારે ઋતબ્રત બેનર્જીના જૂથનું ચિહ્ન પરબીડિયું હશે.
આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા જી-૨૦ દેશોમાં સૌથી ઝડપથી વધી શકે છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે આ અંદાજ વ્યક્ત કર્યો છે. એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ ૬%થી વધારીને ૭% કર્યો છે.
મૂડીઝનું કહેવું છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ છતાં ભારતીય અર્થવ્યવસ્થા પર તેની અસર અંદાજ કરતાં ઘણી ઓછી પડી છે. મજબૂત સ્થાનિક વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ, પ્રાઈવેટ રોકાણમાં સુધારાના સંકેતો અને સર્વિસ સેક્ટરની સતત મજબૂતીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ જળવાઈ રહી છે. મૂડીઝનો નવો અંદાજ અન્ય મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક નાણાકીય સંસ્થાઓની સરખામણીએ ઘણો વધારે છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે અન્ય એજન્સીઓએ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે પોતાના અંદાજ ઘટાડ્યા હતા, ત્યારે મૂડીઝે ભારતના ગ્રોથ રેટ અંગે વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મૂડીઝના રિપોર્ટ મુજબ, ભારતના આ ગ્રોથ પાછળ ઘરેલું માગ સૌથી મોટું કારણ છે. દેશમાં ખાનગી વપરાશ મજબૂત થયો છે અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (મૂડી નિર્માણ)માં પણ તેજી યથાવત છે. કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટરમાં નવા રોકાણના પ્રારંભિક સંકેતો જાેવા મળી રહ્યા છે. બીજી તરફ, સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ સતત મજબૂત સ્થિતિમાં છે, જેના કારણે અર્થવ્યવસ્થાને બાહ્ય આંચકામાંથી બહાર આવવામાં મદદ મળી છે.
મૂડીઝે ભારતની સોવેરિન ક્રેડિટ રેટિંગને ‘Baa3’ પર જાળવી રાખી છે અને દેશનો આઉટલુક ‘સ્ટેબલ’ રાખ્યો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઘણી મોટી અને વૈવિધ્યસભર છે. જાેકે, સરકાર પરનું દેવાનું ભારણ અને ઓછી માથાદીઠ આવક હજુ પણ પડકારો બની રહ્યા છે.
મૂડીઝે ચેતવણી આપી છે કે ભલે GDP વૃદ્ધિનો અંદાજ વધારવામાં આવ્યો હોય, પરંતુ જાેખમો સંપૂર્ણપણે સમાપ્ત થયા નથી. જાે મિડલ ઈસ્ટમાં યુદ્ધ લાંબું ચાલે છે, તો ક્રુડ ઓઈલના ભાવ વધી શકે છે. તેલ મોંઘું થવાથી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં મોંઘવારીનો દર મૂડીઝના ૪.૮%ના અંદાજથી ઉપર જઈ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં તે ૨.૪% હતો. હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે ખાદ્યપદાર્થોના ભાવ વધી શકે છે, જેના કારણે સામાન્ય જનતાની ખર્ચ કરવાની ક્ષમતાને અસર થઈ શકે છે.
જાેકે, ભારતનો વિશાળ વિદેશી મુદ્રા ભંડાર અને ક્રૂડ ઓઇલના વિવિધ સ્ત્રોતો આ બાહ્ય ઝટકાઓથી બચાવવામાં મદદ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પોતાની રાજકોષીય ખાધ ઘટાડવાના લક્ષ્ય પર કાયમ છે. સરકારનો લક્ષ્ય તેને ગયા વર્ષના ૪.૪%થી ઘટાડીને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૪.૩% પર લાવવાનો છે, પરંતુ જાે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જાના ભાવ વધે છે, તો સરકારને સબસિડીનો બોજ ઉઠાવવો પડી શકે છે. ઉપરાંત, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચની જરૂરિયાતને કારણે સરકારી દેવામાં ઝડપથી ઘટાડો થવો મુશ્કેલ રહેશે.
Loading ...
