વડોદરા, તા.૪સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ખેડા સિરપકાંડનો મુખ્ય સૂત્રધાર નિતીન કોટવાણી અને તેના સાગરીત ભાવેશ સેવકાણી વડોદરાના વતની હોવાની વિગતો મળતાં શહેર પોલીસની પીસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ઘનિષ્ટ પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન મુખ્ય સૂત્રધાર નિતીન કોટવાણી હાઈવે પરથી વડોદરામાં ઘૂસી રહ્યો હતો ત્યારે પીસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો, જ્યારે ભાવેશ સેવકાણી ફ્લાઇટમાં દિલ્હીથી વડોદરા આવતાં જ તેને પણ હરણી એરપોર્ટની બહાર પોલીસે ઝડપી પાડી બંને આરોપીઓને ખેડા પોલીસના હવાલે કર્યા હતા.
ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાલમેઘાસવ આર્યુવેદિક સિરપના નામે આલ્કોહોલિક સીરપ પીવાના કારણે છ વ્યકિતઓના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ચકચાર જાગી હતી. આ સિરપકાંડનો મુખ્ય સૂત્રધાર ૩૬ વર્ષીય નિતીન અજીત કોટવાણી (શિવશક્તિ ફ્લેટ, ગોરવા તળાવ પાસે) તેમજ ૨૬ વર્ષીય ભાવેશ જેઠાનંદ સેવકાણી (આસ્થા એવન્યુ, દશામાતા મંદિર પાસે, ગોરવા) હોવાનું સપાટી પર આવતા જ વડોદરા પોલીસ એકશનમાં આવી હતી. શહેર પોલીસ કમિ. અનુપમસિંહ ગેહલૈાતની સૂચના મુજબ પીસીબી, ડીસીબી અને એસઓજીની વિવિધ ટીમોએ ઉક્ત બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી.
આ કૈાભાંડનો મુખ્ય સૂત્રધાર નિતીન મહારાષ્ટ્રમાં હોવાની વિગતો મળતાં પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તેનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન નિતીન આજે તેના વકીલ અને પરિવારને મળવા માટે બાય રોડ વડોદર આવવા નીકળ્યો છે તેવી પીસીબીના પીઆઈ એસ.ડી.રાતડાને માહિતી મળતાં નિતીનને ચહેરાથી ઓળખતા પોલીસ જવાનોની અલગ અલગ ટીમો હાઈવે પર ગોઠવાઈ હતી અને મકરપુરા-તરસાલી હાઈવે પર જાંબુવા પાસેથી શહેરમાં સ્કોર્પિયો કાર લઈને પસાર થઈ રહેલા નિતીનને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.
આ ઉપરાંત નિતીન વડોદરા પહોંચવાનો હોઈ તેનો સાગરીત ભાવેશ સેવકાણી પણ આજે સવારે ફલાઈટ મારફત વડોદરા આવવાનો છે તેવી વિગતો મળતાં પીસીબીની ટીમે હરણી એરપોર્ટ પર પહોંચી હતી અને દિલ્હીથી આવેલી ફ્લાઈટમાં ભાવેશ અત્રે આવતા જ તેને એરપોર્ટની બહાર નીકળતાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ખેડા પોલીસના હવાલે કરવામાં આવતા ખેડા પોલીસ તેઓને લઈને રવાના થઈ હતી.
વડોદરા, તા.૪વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ આજે પણ સતત બીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે ઉત્તર તરફથી ૧૬ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતાં નગરજનો ઠૂંઠવાયાં હતાં. જાે કે, લઘુતમ તાપમાન ર૦ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ પવનના કારણે ઠંડી અનુભવાઈ હતી. આગામી બે દિવસ આવું જ વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કમોસમી વરસાદ બાદ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો નીચે ગગડયો હતો. પરંતુ વાદળિયા વાતાવરણ વચ્ચે ઉત્તર પૂર્વ તરફના તેજ ગતિએ ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠૂંઠવાઈ ગયાં હતાં. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ એક-બે દિવસ વાદળિયું વાતાવરણ રહેશે. વાદળાં વિખેરાતાં વાતાવરણ ખૂલ્લું થતાં લઘુતમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જાે કે, દક્ષિણના દરિયાકાંઠાના વાવાઝોડાની ખાસ અસર મધ્ય ગુજરાતમાં નહીં વર્તાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
જાે કે, આજે સવારથી સતત બીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે ૧૬ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતાં દિવસ દરમિયાન ઠંડક અનુભવાઈ હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ર૦ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા, જે સાંજે ૭૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.૮ મિલીબાર્સ અને ઉત્તર પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાક ૧૬ કિ.મી. નોંધાઈ હતી.
વડોદરા,તા.૪વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં જીબીએસ ઞુલિયનબારી સિન્ડ્રોમ સાથે સારવાર માટે દાખલ કરવામાં આવેલી બે વર્ષની બાળકીને એમઆરઆઈ કરાવવા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ બેભાન થઈને મોતને ભેટતાં હંગામો મચી ગયો હતો. આ બનાવને પગલે બાળકીનાં માતા પિતા તેમજ તેના સ્વજનો દ્વારા પીડિયાટ્રીક વોર્ડમાં તબીબોની બેદરકારીના આક્ષેપો સાથે ભારે હંગામા મચાવ્યો હતો. અને ફરજ પરના સ્ટાફ કર્મચારી ઉપર હુમલો કરવાના પ્રયાસ સાથે વોર્ડમાં આવેલા કાચના બારી બારણાને નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવને પગલે રાવપુરા પોલીસ નો સ્ટાફ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. કલાકોની જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સયાજીના પીડિયાટ્રીક વોર્ડમાં છેલ્લા પાંચ દિવસથી ગોત્રીમાં રહેતા અતુલભાઇ સોલંકી તેમની બે વર્ષની બાળકી વેન્સી સોલંકીને સારવાર અર્થે દાખલ કરી હતી. સારવાર દરમિયાન બાળકીને જીબીએસ ઞુડબડલીયનબારી સિન્ડ્રોમના લક્ષણો હોવાનું તબીબોના રિપોર્ટમાં આવ્યું હતું. આજે બપોરે આ બાળકીને એમઆરઆઈ કરાવવા માટે તબીબ દ્વારા એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ઇન્જેક્શન બાદ બાળકી બેભાન બની ગઈ હતી અને મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. બાળકી અચાનક બેભાન બનીને મૃત્યુ પામતા માતા પિતાએ ભારે હંગામા મચાવી મૂક્યો હતો. તેમનાં સંબંધીઓ તથા સમાજના અગ્રણીઓનું ટોળું સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું. તબીબો સમક્ષ ઉગ્ર અવાજે તેમજ બેદરકારીનાં આક્ષેપો સાથે ભારે હંગામો મચાવ્યો હતો. ઉપરાંત સગા સંબંધીઓએ વોર્ડમાં આવેલા કાચનાં દરવાજાઓની તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. બનાવની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા દરમિયાનગીરી કરી મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી.
બાળકીને જીબીએસની બીમારી હતી ઃ તબીબ
પીડિયાટ્રીક વોર્ડમાં પાંચ દિવસથી દાખલ બાળકીને ગુડલીયનબારી સિન્ડ્રોમની બીમારી હોવાનું ડોક્ટર વૈશાલી જાનપુરાએ જણાવ્યું હતું. આ બનાવમાં તબીબની બેદરકારીનાં આક્ષેપોને રદીયો આપ્યો હતો અને સરકારી હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન કરવા બાબતે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વડોદરા, તા.૩ખેડા સિરપકાંડનો મુખ્ય સૂત્રધાર નીતિન કોટવાણી પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર થઈ ચુક્યો છે. એને પકડવા માટે માત્ર ખેડા પોલીસ જ નહીં પણ રાજકોટ અને વડોદરા પોલીસ પણ એટલી જ કાર્યરત છે. નીતિનને પકડવા માટે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ભરપુર ઉપયોગ શરૂ કર્યો છે. કહેવાય છે કે, નીતિનનું પગેંરૂ વડોદરાના વારસિયા વિસ્તારમાં છે. વારસિયામાં જાે પોલીસ ‘પ્રેમથી’ તપાસ શરૂ કરે તો નીતિનનો આસાનીથી પત્તો મળી જાય એમ છે. હાલમાં પોલીસે એની દશરથની ફેક્ટરીના પૂર્વ કર્મચારીઓ અને એના નીકટના સંબંધીઓની તપાસ શરૂ કરી છે. વડોદરા પોલીસની એક ખાસ ટીમ નીતિનની તલાશમાં છે. હકીકતમાં નીતિન ખેડા પોલીસ માટે કે, રાજકોટ પોલીસ માટે નવો છે પણ વડોદરા પોલીસ એની રગેરગથી વાકેફ છે. નીતિને પોતાની ગુનાઈત કારકિર્દીની શરૂઆત જ વડોદરાથી કરી હતી. કોરોના કાળમાં નકલી સેનેટાઈઝર બનાવવાના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. જે તેના જીવનનો પહેલો કારાવાસ હતો. વડોદરા પોલીસની પીસીબી શાખાએ નીતિનને પહેલી વખત પકડીને એના ગુનાઈત ઈરાદાનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે એની પુછપરછ અને તપાસમાં શામેલ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, નીતિન કોટવાણી એમએસસી સુધી ભણેલો છે. એને કેમિકલનું સારું જ્ઞાન છે. એ નકલ કરવામાં પણ પાવરધો છે. એક વખત કોઈપણ પ્રોડક્ટ જાેઈ લે તો એની આસાનીથી નકલ કરી શકે છે. એની ગુનેગારોની ટીમમાં ફાર્માસિસ્ટનો પણ સમાવેશ થાય છે. નીતિન આણી મંડળીએ નકલી સેનેટાઈઝરના કેસમાં ધરપકડ બાદ આયૂર્વેદિક સિરપના નામે આલ્કોહોલનો ધંધો શરૂ કર્યો હતો. વડોદરાના દશરથમાં એની ફેક્ટરી હતી. જ્યાં પોલીસે દરોડો પાડીને એક કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનો દાખલ થયા પછી નીતિન કોટવાણી જેલમાં દારૂના મોટા વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. અને એણે ગુજરાત પોલીસની રડારથી બચવા માટે મહારાષ્ટ્રના અક્કલકૂવામાં ફેક્ટરી નાંખી હતી. ત્યારપછી એનો આયૂર્વેદિક સિરપનો જથ્થો રાજકોટમાં પકડાઈ ગયો હતો. રાજકોટ પોલીસે એની સામે ગુનો દાખલ કર્યો હતો. પણ એની ધરપકડ થઈ ન હતી. રાજકોટના કેસમાં વોન્ટેડ હોવા છતાંય એણે આયૂર્વેદિક સિરપના નામે કરિયાણાની દુકાનોમાં દારૂ પિરસવાનો જારી રાખ્યો હતો.
વારસિયામાં પોલીસના બાતમીદારો સક્રિય
નીતિન કોટવાણીના વડોદરાના વારસિયા વિસ્તારમાં ઘણા નીકટના સંબંધીઓ રહે છે. કહેવાય છે કે, વડોદરા પોલીસ જાે વારસિયામાં રહેતા એના સંબંધીઓના મોબાઈલને સર્વેલન્સમાં લે તો એના સઘડ મળી શકે એમ છે. નીતિનના લોકેશન મેળવવા માટે પોલીસે વારસિયામાં બાતમીદારોનો સંપર્ક રાખવો જાેઈએ. નીતિનને ઓળખતા લોકોનું માનવુ છે કે, વારસિયામાં પોલીસે પ્રેમથી તપાસની શરૂઆત કરવી જાેઈએ. અને પ્રેમથી જ નીતિન કોટવાણીને પકડી શકાય એવી સ્થિતિ છે.
નીતિન વડોદરાના બૂટલગેર પાસેથી મિથેનોલ મેળવતો?
નીતિન કોટવાણીના આયૂર્વેદિક સિરપ બનાવવામાં મિથેનોલનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ ખેડા પોલીસની એફઆઈઆરમાં છે. પોલીસ અધિકારીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે, નીતિન મિથાઈલ આલ્કોહોલ ક્યાંથી લાવતો હતો ? જાે વડોદરા પોલીસ તપાસ કરે તો નીતિનને મિથેનોલ સપ્લાય કરનારા વ્યક્તિનો પણ પત્તો મળી શકે છે. કેટલાકનું માનવુ છે કે, નીતિનને મિથેનોલ સપ્લાય કરવામાં વડોદરાના જ કોઈ ગુનેગારની સંડોવણી બહાર આવી શકે છે.
સિરપના નામે દારૂની વાત બધાને ખબર છે તો રાજ્યભરની પોલીસ કેમ અજાણ રહી...?
આયૂર્વેદક સિરપના નામે રીતસરનો દારૂનો ધંધો કરનારા ભેજાબાજ નીતિન કોટવાણીને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. કહેવાય છે કે, શહેર કરતા ગામડાઓમાં આવા આયૂર્વેદિક સિરપની જબરદસ્ત ડિમાન્ડ છે અને એનો સપ્લાય પણ ઝડપથી થઈ રહ્યો છે. ગામડામાં રોજ રાત્રે દારૂ પીતા અસંખ્ય લોકોને ખબર છે કે, કરિયાણાની દુકાનમાં મળતી સિરપની બોટલમાં દારૂ જ હોય છે અને એમાં સોડા નાંખીને પીવાથી નશો થાય છે.
એક હોલસેલર, બીજાે બૂટલેગર અને ત્રીજાે ભેજાબાજ
ગામડે ગામડે કરિયાણાની દુકાનોમાં માલ વેચતા કોઈ હોલસેલર અને ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો લાવતા બુટલેગર સાથે સુશિક્ષિત નીતિન કોટવાણીની સાંઠગાંઠ હોવાની વાત નકારી શકાતી નથી. નીતિન કોટવાણીને સિરપના ઉત્પાદન માટે મિથેનોલની જરૂર પડે જેનો સપ્લાય કોઈ બુટલેગર કરતો હોય અને સિરપ બન્યા પછી દુકાને દુકાને એને વેચવા માટે કોઈ હોલસેલરની જરૂર પડે એ સ્વાભાવિક છે.
દાહોદ, તા.૩દાહોદ જિલ્લા ખાતે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી કચેરી ઊભી કરી સરકારી ગ્રાન્ટ ઉચાપત કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ એ. એસ. પી. દાહોદ કે. સિદ્ધાર્થ કરી રહ્યા છે. આ તપાસમાં ગઈકાલે એ. એસ. પી. કે. સિદ્ધાર્થને અને તેમની ટીમને એક અગત્યની બાતમી મળી હતી કે, છેલ્લા દોઢેક માસથી છોટાઉદેપુર અને દાહોદના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇજાજ સૈયદ જે અબુબકરનો ભાઈ છે અને તેની સાથે તેના ભાણેજ ડોક્ટર સેફ અલી સૈયદની નડીયાદથી ધરપકડ કરવામાં દાહોદ પોલીસની સફળતા પ્રાપ્ત થઈ છે. આ બંને છોટાઉદેપુરનો ગુનો દાખલ થયો હતો. ત્યારથી વોન્ટેડ હતા. આ કથિત ગુનામાં ઈજાજની ભૂમિકા અબુબકર જેટલી જ છે. નકલી સંસ્થાઓ ઊભી કરવી, નકલી કચેરીઓમાં સંડોવણી હોવી. નાણાકીય લેવડ દેવડો કરવી, કામ ચકાસવા માટે ખોટા અધિકારીઓ બનીને જતા હોઇ તેમની સાથે જવું. આમ સંપૂર્ણપણે આજે કૃત્યો છે તેની સાથે અબુ બકર એક ક્ચનો ભાઈ જાેડાયેલો છે. જ્યારે ડોક્ટર સેફઅલી સૈયદ જે ઇજાજ અને અબુ બકરનો ભાણેજ થાય છે. આ ગુનાઓ દાખલ થયા પછી જે પુરાવાઓ ફાર્મ હાઉસ કે ઘરે પડ્યા હોય તે પુરાવાઓને ખસેડી નાખવા અથવા નાશ કરવા, ડીવીઆર કાઢી નાખવા જેથી તેની મુવમેન્ટ પોલીસને ખબર ન પડે અને નાસ્તા ફરતા આરોપીને આશરો આપવો અને મદદગારી તેની હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. નડિયાદ ખાતેથી જ્યારે ઇજાજને પકડવામાં આવ્યો ત્યારે સેફ અલી સૈયદ પણ તેની સાથે ત્યાં જ સંતાયેલો હતો. આ ગુનાઓમાં આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. હાલ સુધીમાં દાહોદ પોલીસે આ નકલી કચેરી કૌભાંડમાં આશરે ૨૦ જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. અન્ય કેટલા બેન્ક એકાઉન્ટો અને કેટલી સંસ્થાઓ ખોલવામાં આવી હતી? તે લોકોના નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ ડીટેલ મેળવી તેની એનાલિસિસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. આ ચકચારી પ્રકરણને જન્મ આપનારા મોટાભાગના પકડાઈ ગયા છે અબુબકરને પણ ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
વડોદરા, તા.૩જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ધર્મસુરી સમુદાય ના આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબ ના શિષ્ય રત્ન તપસ્વી મહાવ્રત વિજયજી મહારાજ સાહેબ આજે અકસ્માતમાં કાળધર્મ પામ્યા છે. જૈન સમાજમાં ઘેરા શોક ની લાગણી પ્રવર્તી રહી છે. પુજ્ય શ્રી ની પાલખી ૪/૧૨/૨૩ સોમવારે સવારે નવ કલાકે સાહિત્ય મંદિર, પાલીતાણા ખાતે થી નીકળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય મહાપદમસુરી મહારાજ સાહેબ આદિઠાણા વડોદરા માં આજવારોડ ઈન્દ્રપુરી જૈન સંઘ માં ચાતુર્માસ બિરાજમાન હતા અને આ પુનમે ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર શરૂ થતાં ભાવનગર પાસે અકસ્માતમાં કાળધર્મ પામ્યા છે. પુજય મહાવ્રત વિજયજી મહારાજ સાહેબ નડિયાદ ના હતાં એમની સંસારી બહેને પણ આચાર્ય મહાપદમસુરી મહારાજ પાસે સંયમ જીવન ની દીક્ષા લીધી છે પૂજ્યશ્રી ના સંસારી માતા પિતા પણ સંસારમાં રહીને સંયમી જીવન જીવી રહ્યા છે. અકસ્માત ના સમાચાર મળતાં જૈન સમાજ શોકાતુર બની ગયો છે. ધર્મસુરી સમુદાય ના આચાર્ય રાજરત્નસુરી મહારાજ હાલ માં કરજણ પાલેજ રોડ પર વસંતધામ તીર્થ ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માં છે. તેમને પુજય શ્રી ના કાલધર્મ ના સમાચાર થી વ્યથીત થઈ ગયા હતાં તથા સદગત ના આત્મા ની શાંતિ માટે બાર નવકાર નો પાઠ કર્યો હતો અને મૌન પાળ્યું હતું.અને આચાર્ય મહાપદમસુરી મહારાજ ને સાંત્વના પાઠવતો પત્ર પણ મોકલાવ્યો છે.
વડોદરા, તા.૩સમગ્ર રાજ્યમાં હવામાને કરવટ બદલતાં એકાએક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. એટલું જ નહીં શિયાળાની ઋતુમાં ચોમાસાની એન્ટ્રી કરતા બેવડી ઋતુનો અહેસાસ થયો હતો. નગરવાસીઓ શિયાળો અને ચોમાસુ બંને ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ ડબલ ઋતુમાં શરદી ખાંસી તાવ જેવા ઇન્ફેક્શને તેનો પંજાે ફેલાવ્યો છે અને આ વાયરલ ઇન્ફેક્શનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘેર ઘેર બીમારીઓના ખાટલા જાેવા મળી રહ્યા છે. આજે રવિવારના દિવસે સરકારી હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ શરદી, ખાંસી, તાવની ફરિયાદ સાથે સારવાર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી હતી. આજે દિવસ દરમિયાન સયાજી તેમજ ગોત્રી હોસ્પિટલ તથા કારેલીબાગ ખાતે આવેલ આઈડી હોસ્પિટલમાં ૧૫૦ થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવી પહોંચ્યા હતા. ફરજ પરના તબીબો એ આ તમામ દર્દીઓને મેડિકલ તપાસ કર્યા બાદ તેઓની સારવાર આપી દવા ઇન્જેક્શન આપીને રવાના કરવામાં આવ્યા હતા. હાલ કમોસમી પડી રહેલા વરસાદને કારણે મચ્છરજન્ય રોગચાળાએ પણ નગરવાસીઓને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે ત્યારે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ તેનો પંજાે ફેલાવે તેવી શક્યતાને નકારી શકાતી નથી ત્યારે તેના સાવચેતીના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને રોજ કરવામાં આવતી કામગીરીમાં સંખ્યાબંધ શંકાસ્પદ ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઈફોડ તથા ઝાડા ઉલટીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ મળી આવતા તેમના સેમ્પલો લઈ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં ડેન્ગ્યુના ચિકનગુનિયાના ટાઈફોઈડ, મેલેરિયા તથા ઝાડા ઉલટી ના કેટલાક કેસો મળી આવે છે. જ્યારે વાયરલ ઇન્ફેક્શનની અસર ધરાવતા સંખ્યાબંધ વ્યક્તિઓ મળી રહ્યા છે. ત્યારે ડબલ ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન તેમજ ઋતુજન્ય, પાણીજન્ય તથા સીઝનલ રોગચાળો વડોદરા શહેર તેમજ તેના આસપાસના વિસ્તારમાં વધું ન વકરે તે માટે આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા ત્રણ-ચાર દિવસ પહેલા જ શહેરના જુદાજુદા સ્મશાનોની સુરક્ષાની ગુલબાંગો પોકારતા હતા. માંજલપુર સ્મશાનમાં દેખાઈ રહેલી ખોપરીએ એમની સુરક્ષાની વાતોને પોકળ સાબિત કરી દીધી છે. ઉપરોક્ત તસવીર માંજલપુર સ્મશાનમાં આવેલા બાળકોને દફન કરવાના સ્થળની છે. જે જાેઈને એક તબક્કે ડર લાગે. આવી પરિસ્થિતિ શહેરના લગભગ બધા જ સ્મશાનોની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, સુરક્ષાના અભાવે માંજલપુર સ્મશાન નશેબાજાેનો અડ્ડો બની ચુક્યુ છે. અહીં, બેદરકારી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની સાથેસાથે માંજલપુર પોલીસની પણ છે.
વડોદરા, તા. ૧વિશ્વમાં કોરોનો ફેલાવીને કરોડો નિર્દોષ નાગરિકોના ભોગ લેનાર ચાઈનામાં તાજેતરમાં ભેદી વાયરસમાં હજારો બાળકો સપડાયાના અહેવાલના પગલે આરોગ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે, જ્યારે ગુજરાત સરકારે પણ ચાઈનાનો ભેદી વાયરસ જાે અત્રે ફેલાય તો સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં તૈયારી રાખવા માટે નિર્દેશ કર્યા છે. આ નિર્દેશના ગણતરીના કલાકો બાદ જ શહેરમાં ન્યુમોનિયા વાયરસના લક્ષણો સાથે ભેદી વાયરસના કારણે ૨૦ જેટલા બાળકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ તંત્રએ તમામ બાળકોના બ્લડ સેમ્પલો પૂનાની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલી બીમાર બાળકોને ક્યો વાયરસ છે, તેની વિગતો મગાવી છે.
ચાઈનામાં ભેદી વાયરસમાં બાળકો સપડાયાના અહેવાલો બાદ રાજ્ય સરકારના નિર્દેશ બાદ રાજયની તમામ સરકારી હોસ્પિટલોએ સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા તૈયારી પૂરી કરી દીધી છે. આ દોડધામ વચ્ચે શહેરની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં છેલ્લા અઠવાડિયામાં બાળદર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. એસએસજીના પીડિયાટ્રીક વિભાગના વોર્ડ-૧૬ અને ૧૭માં હાલમાં ૨૦ બાળકો દાખલ છે જે બાળકોની ન્યુમોનિયાની સારવાર ચાલું છે. જાેકે, આ બાળકો ન્યુમોનિયા સિવાય અન્ય કોઈ ભેદી વાયરસનો શિકાર બન્યા હોવાની શંકાથી બીમાર બાળકોના પરિવારજનો સાથે ડોક્ટરો પણ ચિંતિત બન્યા છે. આ તમામ બાળકો કયા ચોક્કસ વાયરસના કારણે બીમાર પડ્યા છે તેની ખરાઈ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ બાળકોના બ્લડ સેમ્પલો લઈને તેને પૂનાની વાયરોલોજી લેબ ખાતે મોકલી આપ્યા છે.
આ બાળકોની કેસ હિસ્ટ્રી જાેતા મોટાભાગના બાળકોને સૈાપ્રથમ કફ સાથે ઉધરસ અને તાવની ફરિયાદ હતી. આ બાળકોની પીડિયાટ્રિશ્યન અને જનરલ ફિજિશ્યન પાસે સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થયો નહોતો અને તેઓની શરદી-તાવ ન્યુમોનિયામાં ફેલાઈ જતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બીમાર બાળકોની બિમારીના પ્રાથમિક લક્ષણો ન્યુમોનિયાના છે છે પરંતું તેઓ ચાઈનાની જેમ અન્ય કોઈ ભેદી વાયરસમાં સપડાયા તો નથી ને? તેની વિગતો બાળકોના બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે, તેમ સયાજી હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
બાળકને શરદી-તાવ હોય તો ઘરેલુ ઉપચાર નહીં, પરંતુ ડોક્ટરની દવા જરૂરી
સયાજી હોસ્પિટલમાં ચાલતી ૨૦ બાળકોની ન્યુમોનિયાની સારવાર સંદર્ભે બાળરોગ નિષ્ણાત ડો. પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે કોઈ પણ બાળકને જાે સામાન્ય શરદી-તાવ કે ખાંસી હોય તો ઘરેલું ઉપચારના બદલે તેની તુરંત ડોક્ટર પાસે સારવાર કરાવવી જાેઈએ. આ ઉપરાંત ડોકટરોની સૂચના મુજબ ઈન્ફ્લુએંઝા, કોવિડ-૧૯ અને શ્વસન સંબંધી રસી સમયસર લેવી જાેઈએ અને બીમાર વ્યકિતથી દૂર રહેવું જાેઈએ. જાે શ્વાસ સંબંધી બીમારી હોય તો તેવા દર્દીએ મુસાફરી ટાળવી જાેઈએ. ચાઈનામાં ફેલાયેલા વાયરસ ભારતમાં ફેલાવવાનું જાેખમ ઓછું છે પરંતુ તેના પ્રત્યે ગંભીરતા દાખવવી જરૂરી છે.
ચાઈનાના ભેદી વાઈરસ ૐ૯ દ્ગ૨ પર સતત નિરીક્ષણ
સયાજી હોસ્પિટલમાં હાલમાં રાજ્ય સરકારના આદેશ મુજબ મોટી સંખ્યામાં દર્દીઓ આવે તો તેઓની સારવાર માટે પૂર્વ તૈયારી કરી દેવાઈ છે. આ અંગે સયાજી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ચાઈનામાં બાળકોમાં ફેલાયેલા એચ૯એન૨ના કેસો તેમજ શ્વસન સંબંધી બીમારી અને ભેદી વાયરસની વિગતો અને અહેવાલો પર સયાજી હોસ્પિટલનું બાળરોગ વિભાગ સતત નજર રાખી રહ્યું છે. સયાજી હોસ્પિટલમાં ફ્લ્યૂ માટેની રસી અને ટેસ્ટની સુવિધા છે અને દર્દીઓએ ડોક્ટરોની સલાહ મુજબ એન્ટિવાયરલ દવાઓ લઈ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જાેઈએ.
વડોદરા, તા.૧વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કેટલ પોલિસીને મંજૂરી બાદ તેનો કડક અમલ શરૂ કર્યો છે. નવી કેટલ પોલિસીના ભાગરૂપે કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ નવા ઢોરવાડા બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. જે પૈકી એક નવાપુરા કેવડાબાગ પાસે સ્થળાંતર થયાં બાદ બંધ પડેલા સરદાર શાક માર્કેટમાં ઢોરવાડો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાેકે, રખડતાં ઢોરોની સમસ્યાના ઉકેલ માટે ભાજપા શાસકો નિરસ હોવાની ચર્ચા વચ્ચે નવા ઢોરવાડાની ફાઈલ ઢોર ડબ્બામાં ફેંકતા હવે સરદાર માર્કેટ તરફ નજર હોવોનું ચર્ચાઈ રહ્યંુ છે. તો બીજી તરફ ખટંબાની દરખાસ્ત અભરાઈએ ચઢાવાતા કમિશનર કેવડાબાગ પાસે નવા ઢોરવાડાનું આયોજન કરાયુ હોંવાનુ પણ કહેવાઈ રહ્યું છે. જાેકે, સરદાર માર્કેટમાં નવો ઢોરવાડો બનાવવા સામે અકોટાના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો હોવાનું જાણવા
મળે છે.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવી મંજૂર કરેલી કેટલ પોલિસીના અમલના ભાગરૂપે દરરોજ ત્રણ શિફ્ટમાં રસ્તા ઉપર રખડાતા ઢોરોને પકડીને ઢોર ડબામાં પૂરવામાં આવી રહ્યા છે. રસ્તે રખડતા પકટાયેલાં ઢોરોને કોર્પોરેશન દ્વારા લાલબાગ, ખાસવાડી અને વડોદરા નજીક ખટંબા ખાતે આવેલા બે મળી કુલ ૪ ઢોરવાડામાં રાખવામાં આવે છે. આ ચારેય ઢોરવાડાની ક્ષમતા ૧૧૦૦ જેટલા પશુઓની છે. ત્યારે નવાપુરા કેવડાબાગ પાસે આવેલા જૂનાં બંધ સરદાર પટેલ માર્કેટ ખાતે નવો ઢોરવાડો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરની મધ્યમાં આવેલા કેવડાબાગ સરદાર વલ્લભભાઈ પટેલ શાકભાજી માર્કેટ વર્ષો અગાઉ કાર્યરત હતું. તેને બંધ કરી સયાજીપુરા ખાતે લઈ જવામાં આવ્યું છે. વર્ષોથી ખાલી પડેલી માર્કેટની જગ્યામાં પાલિકા દ્વારા ઢોરવાડો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. માર્કેટની જગ્યામાં ચારે બાજુ તારની ફેન્સિંગ કરી દેવામાં આવી છે. ઉપરાંત ઢોરવાડામાં લાવનાર ગાયો સહિતના પશુઓ માટે પાણીની સુવિધા પણ ઉભી કરવામાં ાવી છે. લાઇટિંગની કામગીરી સહિત અન્ય કામગીરી એક-બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.
શહેર બહાર ઢોરોને લઈ જવાની વાતો વચ્ચે શહેરમાં જ નવા ઢોરવાડા બનાવાશે !
વડોદરા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરોની સમસ્યાના ઉકેલ માટે ખટંબા ખાતે બે કેટલ શેડ બનાવવામાં આવ્યા છે.જ્યારે અહીજ વધુ સુવીધા સાથે ઢોર રાખી શકાય તે માટે નવો કેટલ શેડ બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતીએ કોઈ નિર્ણય લીધા સિવાય અભરાઈએ ચઢાવી છે. ત્યારે શહેરની હદ બહાર ઢોરોને રાખવા માટેની વ્યવસ્થાની વાચો વચ્ચે હવે શહેરમાંજ ત્રણ ઢોરવાડા બનાવવાનુ આયોજન કરાતા લોકોમાં પણ આશ્ચર્યની સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
સરદાર માર્કેટ સાથે મકરપુરા અને અટલાદરા ખાતે નવા ઢોરવાડા બનાવાશે
કોર્પોરેશન દ્વારા પકડવામાં આવતા પશુઓને રાખવા માટે વધુ ત્રણ ઢોરવાડા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં અટલાદરા વિસ્તારમાં ૧૫૦ થી ૨૦૦ પશુઓની ક્ષમતા, માકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ૨૦૦ પશુઓની ક્ષમતા અને નવાપુરા કેવડાબાગ જુના સરદાર માર્કેટ ખાતે ૨૫૦ થી ૩૦૦ જેટલા પશુઓની ક્ષમતા સાથેનો ઢોરવાડો બનાવવામાં આવી રહ્યો છે.
ઢોરવાડો બનાવવા સામે ભાજપમાં પણ કેટલાકનો વિરોધ
કેેવડાબાગ સરદાર માર્કેટમાં નવો ઢોરવાડો બનાવવા સામે સ્થાનિક ભાજપાના કાઉન્સિલરોનો પણ વિરોધ હોવાનું જાણવા મળે છે. જાેકે, વોર્ડ ૧૩ના ભાજપાના મહિલા કાઉન્સિલરનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ રિંગ વાગતી રહી હતી. જ્યારે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ કહ્યંુ હતું કે, સ્થાનિક ભાજપાના કાઉન્સિલરોએ ઢોરવાડા સંદર્ભે રજૂઆત કરી હતી કે, અહી નજીકમાં સ્કૂલો આવેલી છે. ઢોરવાડો બનવાથી સમસ્યા સર્જાશે. તેને ધ્યાને રાખીને મેં પણ ઢોરવાડો અહીં નહીં બનાવી અટલાદરા એસટીપી પાસે મોટી જગ્યા છે. ત્યાં નવો ઢોરવાડો બનાવવો જાેઈએ તેવંુ સૂચન કર્યુ હતું.
સ્થાયી સમિતિ કે પછી સ્થૂળ સમિતિ?
સ્થાયી સમિતીમાં વિવિધ કામો જેવા કે પાણી, ડ્રેનેજ, ઢોરવાડા વગેરે બનાવવાના કામો આવે છે, પરંતુ લોકોને સુવિધા મળી શકે તેવા પાણી માટેનું વેલજી રત્ના સોરઠિયાની દરખાસ્ત, ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ સહિત અનેક કામો પર કોઈ નિર્ણય નહીં લઈને બાજુએ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે શહેરીજનોના વિકાસના કામોના નિર્ણય લેવા માટે મહત્વની એવી સ્થાયી સમિતી છે કે પછી સ્થૂળ સમિતી? તેવી ચર્ચા પણ પાલિકાની લોબીમાં થઈ રહી છે.
સ્થાનિક વેપારીઓનો વિરોધ આંદોલનની ચીમકી
સરદાર શાક માર્કેટમાં પાલિકા દ્વારા બનાવાઈ રહેલા ઢોરવાડા અંગે વિરોધ વ્યક્ત કરતા સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, અહીં ઢોરવાડા બનતા આ સરદાર શાક માર્કેટની જગ્યા ઢોરવાડા તરીકે ઓળખાશે. વિરોધની ઉપરવટ જઇને ઢોરવાડા બનાવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર બાળુ સુર્વેએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતંુ કે, ટ્રાફિકના ભારણના કારણે આ માર્કેટને શહેરની બહાર ખસેડવામાં આવ્યંુ હતંુ. તંત્ર દ્વારા અહીં ઢોરવાડો બનાવવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાના કારણે અસહ્ય ગંદકી થશે. ત્યારે તાત્કાલિક અસરથી આ નિર્ણય રદ્દ કરવા માગ કરી છે.