વેપાર સોદાની શરતો પર ભારત-અમેરિકા સહમત!
30, જુન 2025 વોશિંગ્ટન   |   1980   |  

8 જુલાઈએ ટ્રેડ ડીલની જાહેરાત થવાની શક્યતા
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ મહોર લાગે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વોશિંગ્ટન ખાતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ સકારાત્મક ધોરણે આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની 90 દિવસની મુક્તિની મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાની છે. તે પહેલાં આઠ જુલાઈના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી પ્રબળ શક્યતા છે. અમેરિકાએ ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં નવ જુલાઈ સુધી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ભારત પર 10 ટકાનો બેઝલાઈન ટેરિફ તો લાગુ જ છે. ભારત આ ટેરિફમાંથી મુક્તિ મેળવવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે અમેરિકા સાથે વેપાર કરાર કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
અમેરિકા અને ભારત વચ્ચે મુખ્યત્વે કૃષિ, ઓટોમોબાઈલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને શ્રમજીવી પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રો પર ડીલ થાય તેવી શક્યતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution