રાજકોટ સમાચાર

  • ગુજરાત

    કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા

    રાજકોટ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રાઘવજી પટેલ અત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળે છે. તેમની તબિયત અચાનક લથડ્યા પછી તેમને રાજકોટ લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત કરી છે. રાઘવજી પટેલને હાલમાં ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેમની તબિયત સ્થિર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. ન્યુરોસર્જન ડો. સંજય ટીલાળા તેમને સારવાર આપી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તાજેતરમાં જામનગર હતા અને જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં જાેડાયા હતા. આ દરમિયાન મોડી રાત્રે તેમને માઈનર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ તેમના હેલ્થ અપડેટ આપતા જણાવ્યું કે, વહેલી સવારે સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે.સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે રાઘવજી પટેલને દિમાગની જમણી બાજુએ હેમરેજ થયું છે. શનિવારે રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેમને જામનગરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર પછી તેમને રાજકોટ અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
    વધુ વાંચો
  • ગુજરાત

    તેલ ભરેલા ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત તેલ લેવા લોકોની પડાપડી

    ગોંડલ ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર શેમળા પાસે તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ જતું હતું. જેમાં તેલના ટેન્કરની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘુસાડી દીધો હતો. ગોંડલના સોલ્વન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જતું હતું. અકસ્માતને કારણે તેલ ભરેલા ટેન્કમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું. લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. અકસ્માત બાદ અકસ્માત સ્થળે તેલ ભરેલ ટેન્કર જાેવા મળેલું ના હતું. સિમેન્ટ ભરેલ ટ્રક જાેવા મળ્યો હતો.આસપાસના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. હાથમાં જે આવ્યું તે વાસણ લઈને લોકો તેલ માટે દોટ લગાવી હતી. લોકો બરણી, કેરબા, ડોલ સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને તેલ ભરવા લાગ્યા હતા. જેમાં ટેન્કર પલટી જતા રસ્તા પર તેલના જાણે ખાબોચિયા ભરાઈ ભરાઈ હતા. તેલ ભરેલુ ટેન્કરનું અકસ્માત થયાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેલ લેવા માટે હોડ મચાવી હતી. અકસ્માતની ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.ટેન્કર પલટી જતા લોકોએ રીતસર લૂંટ ચલાવી હતી. સ્ત્રીઓ, બાળકો, યુવાનો સહિતનાઓ હાથમાં ડબ્બા, ડોલ, બરણી, લઈને તેલ ભરવા લાગ્યા હતા. હાલ તેલના ભાવો આસમાને છે ત્યારે તેલ મફતમાં તેલ લૂંટવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. રસ્તા પર તેલની ધારાઓ વહેવા લાગી હતી.અકસ્માત થયા બાદ ટેન્કર ગોંડલ સુધી ગયું હતું. ટેન્કરમાંથી તેલ લીકેજ હોવાથી ગોંડલ સુધી રસ્તા પર તેલ પડ્યું હતું. અકસ્માત સ્થળેથી લીકેજ ટેન્કર ગોંડલ સુધી દોડી આવ્યું હતું. સમગ્ર હાઇવે પર તેલ ઢોળાયું હતું. હાઇવે પર તેલ ઢોળાતા બાઈક ચાલકો સ્લીપ થઈને પડી રહ્યા છે. હાલ ગોંડલ ફાયર દ્વારા હાઇવે પર જ્યાં તેલ ઢોળાયું છે ત્યાં પાણી છાંટવામાં આવી રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચાલતાં ચાલતાં પડી જતાં પ્રૌઢ બ્રેઈન ડેડ થયા તેમના અંગદાનથી ૬ લોકોને નવજીવન મળશે

    રાજકોટ,તા.૨૬રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનને લઈને લોકો જાગૃત થઈ રહ્યા છે. સમયાંતરે અંગદાનના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અંગદાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં મોરબી ખાતે રહેતા ૫૨ વર્ષીય હસમુખભાઈ રામજીભાઈ પરેચા સવારે ૯ વાગ્યે ચાલવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા અચાનક જ તેમની તબિયત બગડી જતા મોરબીની લાઇફલાઇન હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હસમુખભાઈનું સંપૂર્ણ ચેકઅપ કર્યા બાદ ડૉ. કલ્પેશ સનારિયા સાહેબે બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ખૂબ સેવાભાવી અને સરળ સ્વભાવના હસમુખભાઈએ જીવનમાં ઘણાં સેવાકાર્યો કર્યાં હતાં. તેમનું બ્રેઈન ડેડ થતાંની સાથે જ ડોક્ટર્સની ટીમે પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા.આ કપરા સમયમાં પરેચા પરિવારના મોભી તથા હસમુખભાઈના મોટાભાઈ પ્રભુભાઈએ અંગદાન માટે અનુમતી આપી હતી. સાથે પરિવારના તમામ સભ્યોમાં સહમતી આપી હતી. જેને લઈ હસમુખભાઈની બે કિડની, લિવર, સ્કિન તથા બે આંખોનું દાન કરી ૬ લોકોને નવજીવન આપવાનો ર્નિણય લેવાયો હતો. આ સાથે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્વરિત ગ્રીન કોરિડોર બનાવીને અંગોને અમદાવાદ ઝડપથી મોકલવામાં આવ્યાં હતાં. રાજકોટમાંથી ૧૦૯મું અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં કરણીસેનાના ક્લેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર

    રાજકોટ તાજેતરમાં રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણીસેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને દેશભરની કરણીસેનામાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. અને તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ત્યારે આજે રાજકોટ કરણીસેના દ્વારા કલેક્ટર તેમજ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજકોટ કરણીસેનાનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ‘સુખદેવસિંહના હત્યારાઓને ફાંસી આપો’ સહિત વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી રાજસ્થાન સરકારની શપથવિધિ નહીં કરવા દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ તકે કરણીસેનાનાં જિલ્લા અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કરણીસેનાનાં સાવજ ગણાતા સુખદેવસિંહની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ હત્યારાઓને જલ્દીથી જલ્દી ઝડપી લઈને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ સાથે આજે રાજકોટ કરણીસેના દ્વારા કલેક્ટર અને પો.કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. હવે પછી આવા બનાવો ન બને તે માટે કરણીસેના પણ જાગૃત રહેશે. જાે સરકાર કડક પગલાં નહીં લે તો અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. ત્યારે અમારે આવું ન કરવું પડે તેના માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુખદેવસિંહ જાડેજાનાપરિવારજનોને તાત્કાલિક સુરક્ષા પુરી પાડવામાં આવે તેમજ પરિવારમાંથી કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તે જરૂરી છે. સુખદેવસિંહે અવારનવાર સુરક્ષા અંગેની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારે તેમને સુરક્ષા આપી ન હતી. કોંગ્રેસ સરકાર સુખદેવસિંહ સાથે શું કરવા માંગતી હતી તે જ ખબર ન હતી. જાેકે હવે ત્યાં પણ ભાજપ સરકાર આવી ગઈ છે. પણ જ્યાં સુધી હત્યારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારના શપથવિધિ નહિ થાય. મહિલા કરણીસેના પ્રદેશ અધ્યક્ષ પદમીનીબા વાળાએ જણાવ્યું હતું કે, સુખદેવસિંહની હત્યાની ઘટના મામલે તાત્કાલિક જવાબદારોને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ તમામ જિલ્લાનાં કલેક્ટરો અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જ્યાં સુધી આ હત્યાના આરોપીઓને ઝડપી લઈ એન્કાઉન્ટર કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી સરકારને શપથ લેવા નહીં દઈએ તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયાના વેપારી ડુંગળીની ખરીદી કરવા આવ્યા

    ગોંડલ સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. જેમાં ગત રાત્રિના યાર્ડની બન્ને બાજુ ૩ કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની લાઈનો લાગી હતી. જ્યાં ડુંગળીના ૯૦ હજાર કટાની આવક જાેવા મળી છે. જેમાં નાસિક અને લાલ ડુંગળીની વધુ આવક ગોંડલ યાર્ડમાં આવે છે. સુરેન્દ્રનગર, જામનગર, ગિર સોમનાથ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની ડુંગળી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. ડુંગળીની ૯૦ હજાર કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૩૦૦થી ૮૦૦ સુધીના બોલાયા હતા. ડુંગળી ખરીદી કરવા માટે બાંગ્લાદેશ, નેપાળ અને મલેશિયા જેવા દેશમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા ગોંડલ યાર્ડમાં આવી પહોંચ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં રોંગ સાઇડમાં આવેલા એક્ટિવાચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયોએ ઉડાડ્યો; ઘટનાસ્થળે મોત

    રાજકોટ રાજકોટ-જામનગર હાઇવે પર ગઇકાલે રાત્રિના ૧૧ વાગ્યે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઘંટેશ્વરથી માધાપર જતી સ્કોર્પિયો કાર હડફેટે એક્ટિવા ચાલક આવતા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક્ટિવા સવાર યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રિના ૧૧ વાગ્યે સ્કોર્પિયો કાર ઘંટેશ્વરથી માધાપર ચોક તરફ પસાર થઇ રહી હતી. આજ સમયે ડબલ સવારી એક્ટિવાચાલકો રોંગ સાઈડમાં આવતા પોતે ધડાકાભેર કાર સાથે અથડાયા હતા અને ૨૦ ફૂટ ઊછળીને એક્ટિવા સાથે ફંગોળાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ સૂરજસિંહ દાસ નામના યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક સૂરજસિંહ લાલસિંહ દાસ (ઉં.વ.૨૮) જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક હોટલમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. સૂરજસિંહ તથા તેની સાથે કામ કરતો તેનો મિત્ર કમલ થાપા બંન્ને એક્ટિવા જીજે.૦૩.સીએફ.૬૪૩૮નું લઇને ઘંટેશ્વર પાર્ક હોટલથી તેનો મોબાઇલ ફોન લેવા માટે બહાર જતા હતાં. ત્યારે હોટલની સામે જામનગર રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પિયો કાર જેનો નંબર જીજે.૦૩.એમએલ.૮૨૪૫ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી એક્ટિવા સહિત બંન્ને યુવકોને હડફેટે લેતા બન્નેને માથે અને શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક તેની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાનો બુકડો બોલી ગયો છે, જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ હાલ મૃતકના જીજાજીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટમાં ભારે પવન સાથે વરસાદથી એરંડા-તુવેર સહિતના પાક ધોવાયા

    રાજકોટ હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ગઈકાલે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર ઉભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પડધરી તાલુકામાં આવતા અનેક ગામોમાં એરંડા-તુવેર સહિતના પાક ધોવાઇ જતા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ સરકાર સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ કરી છે. ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર વર્ષથી કમોસમી વરસાદનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જાય છે. વાતાવરણમાં પણ બદલાવ આવી રહ્યો છે. જ્યારે પણ માવઠું થાય ત્યારે જગતનો તાત મોટામાં મોટી નુકસાનીનો ભોગ બનતો હોય છે. હાલ શિયાળાની ઠંડીમાં કમોસમી વરસાદ થતાં ફરીથી એકવાર ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, ત્યાં લાંબા ગાળાનાં પાક જેવા કે એરંડા, તુવેર અને મરચીનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. બીજીતરફ પશુપાલકો માટે મહત્ત્વના ચારા મકાઈ અને જુવાર ઊંચા હોવાથી તેને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત શિયાળામાં પશુપાલકોનો ચારો ખુલ્લામાં પડ્યો રહેતો હોય છે. જેને ઢાંકવાની વ્યવસ્થા કે સમય ન રહેતા અચાનક પડેલા આ વરસાદને કારણે મોટું નુકસાન થતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકો માટે સોનાની કિંમતનો ગણાતો ચારો ધોવાઈ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શિયાળાની સિઝન હોવાથી ખેડૂતો દ્વારા શિયાળુ પાક જેવા કે, ધાણા, જીરું, અને ડુંગળીનું વાવેતર કરાયું હતું. આવા પાકોમાં અચાનક ઉપરથી પાણી પડતા મોટી નુકસાની ખેડૂતોએ ભોગવવી પડી છે. હાલ મગફળીની સિઝન પણ પાંચ ટકા બાકી છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી  કૃષિમંત્રી

    રાજકોટ રાજકોટના પ્રમુખ સ્વામી હોલ ખાતે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ બોર્ડ દ્વારા આંગણવાડી બહેનોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી, કમોસમી વરસાદ પડે તો પણ ખેડૂતોને નુકસાન ન થાય તે માટેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના કેટલાક જિલ્લામાં ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે સમગ્ર મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખાતરની અછત હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. રવિ પાક માટે ખેડૂતોને ખાતર મળશે જ. ક્યારેક ટ્રક સમયસર પહોંચી ન શક્યો હોય તેવું બને છે, પરંતુ ખાતરની કોઈ અછત નથી. કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂતોને ખાતર સમયસર આપવામાં આવી જ રહ્યું છે. આગામી દિવસોમાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે.તો કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ હવામાન વિભાગની આગાહીના પગલે ત્રણ દિવસ માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ત્રણ દિવસ માટે જુદી-જુદી જણસીની આવક બંધ કરવામાં આવી છે. મારુ માનવું છે કે, કમોસમી વરસાદ આવવાનો જ નથી, પરંતુ વરસાદ પડે તો પણ તમામ તૈયારીઓ સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં માલ ન પલળે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડા વખતે રાજ્ય સરકારે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી, જેના કારણે કોઈપણ જાતનું નુકસાન થયું નહોતું. તેવી રીતે કમોસમી વરસાદ આવે તો તેને પહોંચી વળવા પણ સરકાર તૈયાર છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાતરની અછત હોવાની તેમજ કમોસમી વરસાદને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. જાેકે, આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ બંને મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ખેડૂતોને કમોસમી વરસાદથી કોઈ નુકસાન નહીં થવાની તેમજ રવીપાક માટે જરૂરી ખાતરનો જથ્થો પૂરો પાડવાની પણ તેમના દ્વારા ખાતરી આપવામાં આવતા હાલ ખેડૂતોને હાશકારો થયો છે. રવીપાકની સિઝન સારી થવાની આશા જાગી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    માધાપર, પ્રદ્યુમનનગર, રૈયા સબ ડિવિઝનમાં ચેકીંગ બે દિવસમાં રૂપિયા ૩૮.૫૬ લાખની વીજચોરી ઝડપાઈ

    રાજકોટ રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે પીજીસીએલ દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી પીજીસીએલની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન ૨ હેઠળ માધાપર, રૈયા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ ૨૬ ટિમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ ૩૮.૫૬ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે ૧૮.૨૧ લાખની અને ગઇકાલે એટલે કે, બીજા દિવસે ૨૦.૩૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરી વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકીંગ ડ્રાઈવ નવેમ્બર મહિનામાં પણ ચાલુ રાખી આજે સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ફરી વહેલી સવારથી સિટી ડિવિઝન ૨ હેઠળ આવતા ભારતીનગર, મોચીનગર, શ્યામનગર, ગાંધીનગર, જીવંતિકાપરા, સહિત ૨૦ જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૪ ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ ૪ વીડિયો ગ્રાફર, ૭ એસઆરપી મેન, ૮ લોકલ પોલીસ અને ૧૦ નિવૃત આર્મીમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.છેલ્લા બે દિવસમાં કુલ ૩૮.૫૬ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં સોમવારના રોજ સિટી ડિવિઝન ૧ હેઠળ વિસ્તારોમાં ૩૦ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી કુલ ૬૮૫ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૭ કનેક્શનમાંથી ૧૮.૨૧ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે ગઇકાલે મંગળવારના રોજ સિટી ડિવિઝન ૩ હેઠળ વિસ્તારોમાં ૨૮ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી કુલ ૬૬૪ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૧ કનેક્શનમાંથી ૨૦.૩૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. પીજીસીએલના ચેકીંગ સ્ક્વોડ ઈજનેર એસ.એસ.ડોઢીયાએ જણાવ્યું હતું કે, દરરોજ અલગ અલગ જગ્યાએ અમારા દ્વારા વીજ ચેકીંગ કરી વીજચોરી અટકાવવા કામગીરી કરવામાં આવતી હોય છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજકોટનો બસડેપો મુસાફરોથી ઉભરાયો

    રાજકોટ, આજથી રાજકોટ સહિત સર્વત્ર દિવાળીના તહેવારોનો માહોલ છવાયો છે. સર્વત્ર ફેસ્ટિવલ મૂડ નજરે પડવા લાગ્યો છે. ખાસ કરીને તહેવારોમાં વતન જવા માગતા લોકોનો ભારે ધસારો બસ સ્ટેશનો ઉપર પણ દેખાવા લાગ્યો છે. આજરોજ સવારથી રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ ડિવિઝનના ૯ ડેપો પર મુસાફરોની ભીડ જાેવા મળી હતી. આજથી એસટી વિભાગ દ્વારા ૧૫૦ જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવનાર છે. લોકોની ભીડમાં વધારો થતાં મોટાભાગની બસોનાં બુકિંગ ફૂલ થયા હતા. ૫૦ કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર વી.બી. ડાંગરનાં જણાવ્યા મુજબ હાલ દિવાળીનાં તહેવારને લઈને લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. જેમાં દાહોદ, ગોધરા અને સુરતના રૂટો ઉપર સૌથી વધુ ટ્રાફિક જાેવા મળતા હાલ ૭૦ જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર સહિતના સ્થળોએ પણ ૮૦ જેટલી વધારાની બસો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. એટલું જ નહીં જરૂર પ્રમાણે એક્સ્ટ્રા બસો મૂકવાની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં ૫૦ કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસટી વિભાગ દ્વારા યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યું છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ અંદાજે રૂ. ૩ લાખ કરતા વધુ રકમનું પેમેન્ટ યુપીઆઈ મારફત મળી રહ્યું છે. આ તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તેમજ એસટી વિભાગને સારી આવક થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે એકસ્ટ્રા સંચાલનના ભાગરૂપે રાજકોટ એસટી વિભાગના ૧૦ જેટલા સુપરવાઈઝરોને એકસ્ટ્રા સંચાલન માટે ખાસ વધારાની ફરજ સોંપવામાં આવી છે. દરેક ડ્રાઈવર અને કંડક્ટરોને ટ્રીપોની ફાળવણી પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને ૨૨૦૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે અને મોટી સંખ્યામાં લોકો દ્વારા તેનો લાભ લેવામાં આવી રહ્યો છે.
    વધુ વાંચો