28, એપ્રીલ 2025
અમદાવાદ ગીરમાં સોમનાથ મંદિર નજીક અતિક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર મંદિર પરિસરની ફરતે દીવાલ બનાવી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ દીવાલની ઊંચાઈ ૫-૬ ફૂટ હોવી જાેઈએ. આ નિર્દેશ જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એક વ્યક્તિએ આ દીવાલ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે આ દીવાલ એવી રીતે બનાવવામાં આવી રહી છે કે કોઈ અંદર પ્રવેશી ન શકે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદારના દાવાઓનો વિરોધ કરતાં કહ્યુંકે, અધિકારીઓ હંમેશાં કમ્પાઉન્ડ વોલ બનાવીને સરકારી જમીનનું રક્ષણ કરી શકે છે. આના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘૧૨ ફૂટની દીવાલ ના બનાવો. જાે તમે એનું રક્ષણ કરી રહ્યા છો તો પાંચ ફૂટ, છ ફૂટની દીવાલ પૂરતી છે.’ મહેતાએ કહ્યું હતું કે અરજી દાખલ કરનારી વ્યક્તિએ ૧૨ ફૂટની દીવાલ અંગે મૌખિક દાવો કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘અમે કિલ્લો એટલા માટે નથી બનાવી રહ્યા કે જેથી કોઈ પ્રવેશ ન કરી શકે. આ અતિક્રમણ અટકાવવા માટે છે.’ બેન્ચે કહ્યું, ‘તમે ૧૨ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ કેમ બનાવવા માગો છો? એને પાંચ કે છ ફૂટ ઊંચી બનાવો.’ જસ્ટિસ ગવઈએ મહેતાને આ સંદર્ભમાં સંબંધિત કલેક્ટરને સૂચનાઓ આપવા કહ્યું. મહેતાએ ખાતરી આપી, ‘હું સૂચનાઓ આપીશ.’ અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ રજૂઆત કરી હતી કે અધિકારીઓ પરિસરને દીવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેતાએ હેગડેના દાવાઓને નકારી કાઢ્યા અને આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આપેલા તેમના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કર્યો. ૩૧ જાન્યુઆરીના રોજ મહેતાએ ‘સ્પષ્ટ નિવેદન’ આપ્યું હતું કે અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક વિધિઓ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી. સોમવારે તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ એવી જ રહી છે. તેમણે કહ્યું- ‘અમે ફક્ત અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છીએ.’ હેગડેએ કહ્યું હતું કે અધિકારીઓ ૧૨ ફૂટ ઊંચી દીવાલ બનાવી રહ્યા હતા અને અરજદારને ખબર નહોતી કે અંદર શું થઈ રહ્યું છે. બેન્ચે કહ્યું, ‘તમને ખબર કેમ નથી? ડ્રોન હવે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે,’ આ પછી હેગડેએ કહ્યું, ‘એવું લાગે છે કે તમે ચીનની મહાન દીવાલ બનાવી છે અને કહી રહ્યા છો કે અમે એનું રક્ષણ કરી રહ્યા છીએ.’ મહેતાએ જવાબ આપ્યો, ‘આ ચીનની મહાન દીવાલ નથી. આપણે સનસનાટીભરી ન બનાવવી જાેઈએ.’ અરજદારે કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવી જાેઈએ. ત્યાર બાદ બેન્ચે સુનાવણી ૨૦ મે સુધી મુલતવી રાખી. સુપ્રીમ કોર્ટે હેગડેને કહ્યું કે જાે અધિકારીઓએ અન્ય કોઈ બાંધકામ કર્યું હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. ૩૧ જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ (મુસ્લિમ ધર્મસ્થાન) પર ૧ ફેબ્રુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ‘ઉર્સ’ ઉત્સવ યોજવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે મહેતાની રજૂઆતની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટની પૂર્વ પરવાનગી વિના જિલ્લામાં રહેણાક અને ધાર્મિક બાંધકામો તોડી પાડવા બદલ ગુજરાત સત્તાવાળાઓ સામે ૨૮ સપ્ટેમ્બરના રોજ અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે એની તોડી પાડવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવીને કહ્યું કે એ જાહેર જમીન પરના અતિક્રમણ દૂર કરવા માટે ચાલુ ઝુંબેશ હતી. મુસ્લિમ ધાર્મિક સ્થાપત્યોને તોડી પાડવા પર યથાસ્થિતિ જાળવવાનો ઇનકાર કરનારા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામેની અરજી પર બેન્ચ સુનાવણી કરી રહી હતી. ગયા વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સર્વોચ્ચ અદાલતે અધિકારીઓને ચેતવણી આપી હતી કે જાે તેઓ આવી કાર્યવાહી સામેના તેના આદેશનો અનાદર કરતા જાેવા મળશે તો તેઓ તેમને બાંધકામો પુન:સ્થાપિત કરવા કહેશે, પરંતુ તેમણે તોડી પાડવા પર યથાસ્થિતિનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે કેટલાંક રાજ્યો દ્વારા તોડી પાડવા સંબંધિત અન્ય એક કેસમાં ગુનાના આરોપી વ્યક્તિઓ સહિતની મિલકતોના તોડી પાડવા પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે ગેરકાયદે તોડી પાડવાનો એકપણ કેસ બંધારણના ‘મૂળભૂત સિદ્ધાંતો’ના વિરુદ્ધ છે. જાેકે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે તેનો આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલવેલાઇન અથવા જળ સંસ્થાઓ જેવા જાહેર સ્થળોએ અનધિકૃત બાંધકામોને લાગુ પડતો નથી.