13, જુન 2025
2178 |
સુરત, અમદાવાદમાં બનેલી પ્લેનક્રેશની દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં દુ:ખની કાલીમા છવાઈ જવા પામી છે. જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું તે વિમાનમાં જ લંડનથી અમદાવાદ આવેલી સુરતની હીના કાલરિયાએ વિમાનમાં રહેલી ખામીઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. હીનાએ જણાવ્યું હતું કે લંડનથી નીકળેલી આ ફ્લાઈટમાં પહેલેથી જ ઘણી બધી તકનિકી ખામીઓ હતી. જેથી આ ફ્લાઈટ અમદાવાદ પહોંચાડશે કે કેમ તેવી પણ મનમાં અટકળો હતી. પરંતુ તેઓ અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યાં અને થોડીવારમાં જ આ દુર્ઘટના બનતા તેઓએ પોતાનો બચાવ થતાં ભગવાનનો આભાર માન્યો હતો અને સાથે આ સમગ્ર ઘટના ખૂબ દુ:ખદ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં વ્રજરાજ રેસિડેન્સીમાં રહેતા સુરેશભાઇ કાલરિયાનો દીકરો લંડન તેની પત્ની સાથે વસવાટ કરે છે. જેથી ગત તારીખ ૧૮/૪/૨૦૨૫નાં રોજ સુરેશભાઈની પત્ની હીનાબેન દીકરાને અને વહુને મળવા માટે લંડન ગયા હતા. જ્યાંથી તેઓ લંડનનાં ગેટવીક એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. હીનાબેને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે જ્યારે લંડનથી પ્લેન ટેક ઓફ કરતું હતું ત્યારે જ પ્લેનની અંદર સીટ પરની ડિસ્પ્લે બંધ હતી. જેથી તેઓએ એર હોસ્ટેસને ડિસ્પ્લે બાબતે રજૂઆત કરતા તેઓએ ટેકનિકલી ખામી હોવાને કારણે ડિસ્પ્લે બંધ છે તેમ કહી તમારે મોબાઈલ ફોનમાં જે જાેવું હોય તે જાેઈ શકશો તેવું જણાવ્યું હતું. ટેક ઓફ વખતે એસી પણ બંધ હતું. જેથી આ મામલે પણ તેઓએ ફરિયાદ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એસટી બસમાં બેઠાં હોઈએ અને રસ્તામાં ખાડા હોય અને જેમ ખટખટ અવાજ આવતો હોય તેવો આ પ્લેનમાં અવાજ આવતો હતો.