પ્લેન ક્રેશ : IMAએ BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ટાટા સન્સને સહાય પત્ર લખ્યો
14, જુન 2025 અમદાવાદ   |   1782   |  

૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ અને મોતના પગલે, ભારતીય તબીબી સંઘ (IMA) - ગુજરાત રાજ્ય શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને આર્થિક સહાય અને જરૂરી મદદ માટે વિનંતી કરી છે.

IMA ગુજરાત શાખાએ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ₹૧ કરોડના વળતર અને BJ મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય બદલ ટાટા ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો છે.


IMA એ પોતાના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, "અમે વિનંતી કરીએ છીએ કે આ વિમાન દુર્ઘટના વખતે હોસ્ટેલમાં હાજર મેડિકલના વિદ્યાર્થીઓ જે ઇજાગ્રસ્ત થયા છે અથવા જેમણે જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનોને પણ નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. આ વિદ્યાર્થીઓ માત્ર દુર્ઘટનાનો ભોગ બન્યા નથી, પરંતુ તેઓ આપણા ભવિષ્યની હેલ્થકેર સિસ્ટમનો પાયો હતા. તેમના પરિવારોજનોને તાત્કાલિક ધોરણે પણ સહાય જાહેર કરવામાં આવે."

નોંધનીય છે કે, એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે. ટાટા ગ્રૂપે અગાઉ જાહેરાત કરી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹૧ કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ટાટા ગ્રૂપ ઇજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપે અમદાવાદમાં BJ મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, અને જણાવ્યું છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભા છે.

૧૨ જૂન (ગુરુવાર) ના રોજ બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. આ વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત ૧૨ ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ કરુણ અકસ્માતમાં ૨૪૧ લોકોના મોત નીપજ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution