14, જુન 2025
અમદાવાદ |
1683 |
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો, DNA ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે
અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાલમાં પણ DNA ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક અહેવાલ એવા સામે આવ્યા છે કે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેલના ભાગમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે.
જોકે કાટમાળ હટાવતી ટીમને જેવો જ આ મૃતદેહ મળ્યો કે તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૨૬૫ જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ લોકોમાંથી ઘણાના મૃતદેહોની એવી હાલત થઇ ચૂકી છે જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. જેના લીધે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.
નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે આ અકસ્માત પાછળ એક સંભવિત કારણ મગજમાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. તે ઇંધણમાં ભેળસેળનું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ તપાસ બાદ જ થશે.
મુરલીધરે વધુમાં કહ્યું કે, 'જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળે. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં.' આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.