અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ: રૂપાણી સહિત ૨૪૧નાં મોત
12, જુન 2025 3366   |  

વડોદરા/અમદાવાદ: ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટથી બ્રિટનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યાના માત્ર બે મિનિટમાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાયલટ, ૧૦ ક્રૂ મેમ્બર અને ૨૩૦ મુસાફરો સવાર હતા. સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે.

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલાઈ હતી. ઉપરાંત, પ્રારંભિક રાહત કામગીરી માટે સશસ્ત્ર દળો સાથે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. માહિતી અનુસાર ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ ચાલતી હતી. જે ટક્કર એટલી જાેરદાર હતી કે, પ્લેનની ટેઈલના બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતુ. આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જાેનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મૃતકના નજીકના સગા ડીએનએ સેમ્પલ આપી શકે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે.

ઉલ્લેખનીય છેકે, ૧૯મી ઓક્ટોબર ૧૯૮૮ના રોજ અમદાવાદથી બે કિમી દૂર ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ હતી. જેમા સવાર ૧૩૫ પૈકી ૧૩૩ના મોત થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution