12, જુન 2025
1881 |
સુરત, બે દિવસ અગાઉ સચિન જીઆઇડીસીમાં બની બેઠેલા આગેવાન મહેન્દ્ર રામોલિયાએ એવું નર્યું જુઠ્ઠાણું ચલાવીને સચિનના ઉદ્યોગકારોને ઉશ્કેરીને આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો કે જીઆઇડીસીએ એન.એ. ચાર્જમાં ધરખમ વધારો કર્યો છે, જે વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સચિનના ઉદ્યોગકારો આંદોલન શરૂ કરશે. આજે જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સચીન જીઆઇડીસીમાં એન.એ. ચાર્જમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. હકીકતમાં જે એન.એ. બિલ વધારે આવ્યા છે એ પાછલી બાકી એરિયર્સની રકમની રીકવરીના છે, એન.એ. ચાર્જમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. ઉદ્યોગકારોને બિનજરૂરી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાની કેફિયત ખુદ જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે કરતા સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઉપદ્રવ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહેલા મહેન્દ્ર રામોલિયા ઉર્ફે દાઢીએ ચલાવેલું જુઠ્ઠાણું સમગ્ર જીઆઇડીસીનાં ઉદ્યોગકારોમાં ઉઘાડું પડી ગયું હતું. સચિન જીઆઇડીસીમાં છેલ્લા બે વર્ષથી સત્તાવિહોણા બનેલા મહેન્દ્ર રામોલિયા એક પછી એક વિવાદોમાં સપડાય રહ્યા છે પણ આ વખતે તેઓ સચિનના ઉદ્યોગકારોને ઉશ્કેરીને આંદોલન કરવાના એવા વિવાદમાં સપડાયા છે કે હવે તેમની સામે ફોજદારી રાહે પગલાં ભરાય તેવો સંગીન વિવાદ ખડો થઇ ગયો છે. મહેન્દ્ર રામોલિયાએ બે દિવસ પહેલા એવી વાત ફેલાવી હતી કે જીઆઇડીસીએ એન.એ. ચાર્જમાં ધરખમ વધારો કર્યો છે જે અન્યાયી બાબત છે. કોઇપણ જાતની જાત તપાસ વગર જીઆઇડીસી વિરુદ્ધ આંદોલનના બણગાં ફૂંકનારા મહેન્દ્ર રામોલિયાની આજે જીઆઇડીસીના કુલદીપસિંહે હવા કાઢી નાંખી હતી. સચિન ખાતે આજે જીઆઇડીસીના કુલદિપસિંહે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસી કુલ પાંચ ગામતળના વિસ્તારોમાંથી બની છે. જેમાં તલંગપુર, ગભેણી, ઉંબેર, સચિન અને ઉનનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ સુધી ગભેણીના તલાટી દ્વારા અને ૨૦૨૧થી ૨૦૨૪ સુધી તલંગપોરના તલાટી દ્વારા એન.એ. ચાર્જીસના માગણા કરવામાં આવ્યા નહીં અને એ આ સમયગાળાનો એન.એ. ચાર્જ વસૂલી શકાયો નહતો. જેથી કરીને એન.એ. મહેસૂલ ઘટી ગયા હતા. હવે જ્યારે ગભેણી અને તલંગપોર બન્નેના બાકી એન.એ. ચાર્જ એટલે કે એરિયર્સની રીવકરી કાઢવામાં આવી તો સ્વાભાવિક છે કે એન.એ. ચાર્જ વધે. જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે સ્પષ્ટ કહ્યું કે એન.એ. ચાર્જમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને આવી વાતો ભ્રામક રીતે ફેલાવવામાં આવી છે. પ્લોટધારકોએ વાત સમજે કે અગાઉ જે એન.એ. ચાર્જ વસૂલાયો નથી તેનું બાકી એરીયર્સ છે અને તેની રીકવરી કરવામાં આવી છે. આગામી વર્ષે એન.એ. ચાર્જ રૂટિન ગણતરી અનુસાર વસૂલ કરવામાં આવશે. આ એક રૂટીન પ્રક્રિયા છે તેમાં વિવાદ કરવાની કોઇ જરૂરીયાત નથી.
પ્લોટધારકોને પેનલ્ટીમાંથી બચાવવા જીઆઇડીસીએ એડવાન્સમાં રૂ.૧.૩૨ કરોડ ભરી દીધાં હતાં
જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર કુલદિપસિંહે જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીના પ્લોટ ધારકો જો એન.એ. ચાર્જ ભરવામાં વિલંબ કરે તો તેમને પેનલ્ટી પેટે તગડી રકમ ભરવાની થાય. આવી સ્થિતિમાં જીઆઈડીસીએ ગભેણી અને તલંગપોર એમ બે ગામડાઓના જે એરીયર્સ બાકી હતા તેના પેટે રૂ.૧.૩૨ લાખની રકમ સુરત કલેક્ટરેટમાં એડવાન્સમાં ભરી દીધા હતા. જેથી કરીને પ્લોટ ધારકોને પેનલ્ટી ન લાગે.