NEET-UG 2025 પરિણામ જાહેર : ગુજરાતના ૨ વિદ્યાર્થીઓ ટોપ ૧૦માં
14, જુન 2025 નવી દિલ્હી   |   3465   |  

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ NEET UG ૨૦૨૫ નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પહેલો ક્રમ મેળવીને દેશમાં ટોપર બન્યો છે, જ્યારે ઇન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે.

૭૫ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર નહીં થાય

ઉલ્લેખનીય છે કે, ઇન્દોર કેન્દ્રો પર NEET UG પરીક્ષા આપનારા ૭૫ ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, ૪ મેના દિવસે તોફાન અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમનું પેપર બગડ્યું હતું. આ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં ૯ જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, NTA આ ૭૫ ઉમેદવારો સિવાયના પરિણામ જાહેર કરી શકે છે.

NEET-UG 2025 ટોપ ૧૦ લિસ્ટ

• રેન્ક ૧: મહેશ કુમાર, ૯૯.૯૯૯૯૫૪૭ પર્સન્ટાઇલ, રાજસ્થાન

• રેન્ક ૨: ઉત્કર્ષ અવધિયા, ૯૯.૯૯૯૯૦૯૫ પર્સન્ટાઇલ, મધ્ય પ્રદેશ

• રેન્ક ૩: કૃષાંગ જોશી, ૯૯.૯૯૯૮૧૮૯ પર્સન્ટાઇલ, મહારાષ્ટ્ર

• રેન્ક ૪: મૃણાલ કિશોર ઝા, ૯૯.૯૯૯૮૧૮૯ પર્સન્ટાઇલ, દિલ્હી

• રેન્ક ૫: અવિકા અગ્રવાલ, ૯૯.૯૯૯૬૮૩૨ પર્સન્ટાઇલ, દિલ્હી

• રેન્ક ૬: જેનીલ વિનોદભાઈ ભાયાણી, ૯૯.૯૯૯૬૮૩૨ પર્સન્ટાઇલ, ગુજરાત

• રેન્ક ૭: કેશવ મિત્તલ, ૯૯.૯૯૯૬૮૩૨ પર્સન્ટાઇલ, પંજાબ

• રેન્ક ૮: ઝા ભવ્ય ચિરાગ, ૯૯.૯૯૯૬૩૭૯ પર્સન્ટાઇલ, અમદાવાદ, ગુજરાત

• રેન્ક ૯: હર્ષ કેદાવત, ૯૯.૯૯૯૫૪૭૪ પર્સન્ટાઇલ, દિલ્હી

• રેન્ક ૧૦: આરવ અગ્રવાલ, ૯૯.૯૯૯૫૪૭૪ પર્સન્ટાઇલ, મહારાષ્ટ્ર

આ યાદીમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ - જેનીલ વિનોદભાઈ ભાયાણી (રેન્ક ૬) અને ઝા ભવ્ય ચિરાગ (રેન્ક ૮) - ટોપ ૧૦ માં સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

પરિણામ કેવી રીતે તપાસવું?

ઉમેદવારો NTA ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારે પોતાનો રોલ નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે.

NEET UG Result 2025 ચેક કરવાની પ્રક્રિયા

૧. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ઓપન કરો. ૨. ત્યારબાદ હોમ પેજ પર NEET-UG 2025 Result પર ક્લિક કરો. ૩. હવે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં લોગ ઇન કરવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. ૪. હવે તમારી સામે NEET UG Result 2025 રિઝલ્ટ ખુલશે.

NEET-UG 2025 પરીક્ષાની વિગતો

નોંધનીય છે કે, નીટ યુજી ૨૦૨૫ ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી જૂન, ૨૦૨૫ ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોને ૫ જૂન સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી. ફાઇનલ આન્સર કી ૧૪ જૂને દાખલ કરવામાં આવી હતી.

નીટ ૨૦૨૫ ની પરીક્ષાનું આયોજન ૪ મે, ૨૦૨૫ ના દિવસે દેશભરમાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર સિંગલ શિફ્ટમાં બપોરે ૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી લેવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષામાં ત્રણ સેક્શન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સેક્શનમાંથી ૪૫-૪૫ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જોકે બાયોલોજી સેક્શનમાંથી ૯૦ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોને કુલ ૧૮૦ અનિવાર્ય પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા, જેનો કુલ અંક ૭૨૦ છે. નીટ ૨૦૨૫ પરીક્ષમાં વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા પર ૪ માર્ક્સ આપવામાં આવે છે અને કોઈપણ ખોટા જવાબ આપવા પર ૧ માર્ક નેગેટિવ માર્કિંગના રૂપે કાપવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution