સુરત, અમદાવાદ વિમાની મથકથી થોડા અંતરે જ બી.જે.મેડિકલ કોલેજ પરિસરમાં ક્રેશ થયેલા વિમાનમાં સુરતના બે પરિવારોનાં કુલ ૫ સભ્યો તેમજ દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલા વાપીનાં એક જ પરિવારનાં૩ સભ્યો મળીને દક્ષિણ ગુજરાતનાં ૧૨ કમનસીબ યાત્રીઓ મુસાફરી કરી રહ્યાનાં સમાચારોએ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને સ્તબ્ધ બનાવી દીધાં હતાં. બપોરે પોણા બે વાગ્યાથી સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને બે જ મિનિટમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાનાં વિમાનની દુર્ઘટનાની ખબરો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઇ હતી. જોતજોતામાં સોશિયલ મીડિયાનાં તમામ પ્લેટ ફોર્મ પર અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનાં વિડીયો અને ફોટા ભારે વાઇરલ થયા હતા. સુરતનાં બે પરિવારો પણ આ વિમાનમાં સવાર હતાં જેમાં સુરતનાં રામપુરા સ્થિત મુસ્લિમ પરિવારનાં લંડનમાં સ્થાયી થયેલા પુત્ર, પુત્ર વધુ અને પૌત્રનો સમાવેશ થાય છે. એવી જ રીતે સુરતના જાણીતા સર્જન ડો. હિતેષ શાહ અને તેમના પત્ની અમિતા પણ આ જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. જ્યારે વાપીમાં વકફ બોર્ડનાં પૂર્વ સભ્ય અને છેલ્લા થોડા સમયથી ગાંધીનગર શીફ્ટ થયેલા બદરુદ્દીન હાલાણી, તેમના પત્ની અને તેમના એક સ્નેહી પણ વિમાનમાં સવાર હતા. તદઉપરાંત સુરત જિલ્લાના કોસંબાના તરસાડી ગામના વતની અને ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હોવાની માહિતી મોડી સાંજે મળી હતી.કામરેજના ઉંભેળ ગામની વિભૂતિ અતુલકુમાર પટેલ પણ વિમાનમાં હતી. પૂણા વિસ્તારમાં આવેલી માતૃશકિત સોસાયટીમાં રહેતા અંકિત ભગવાનભાઈ ચોડવડિયા પણ નોકરી માટે લંડનની ફ્લાઈટમાં બેઠાં હતા. જાે કે, રાત સુધી સુરતનાં આ યાત્રીઓના કોઇ સગડ મળ્યા ન હતા. તમામ પરિવારનાં નજીકના સગાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર પહોંચવા માટેના સંદેશાઓ આપવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના મેડીકોલ કોલેજની હોસ્ટેલમાં હાજર કેટલાક તબીબોનો બચાવ પણ થવા પામ્યો છે. જેમાં સુરત શહેરના જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર કપિલ ઠક્કરના પુત્ર દિવ્યમ સહિત સુરતના પાર્થ અને દીપ નામના તબીબી વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. આ ત્રણેય તબીબી વિદ્યાર્થીઓ અતુલ્ય મેસ સામેની મેસમાં પહેલા માળે હાજર હતા. આ દરમિયાન અચાનક ધડાકો થતા જ આ ત્રણેય કૂદીને નીકળી ગયા હતા. જેથી ત્રણેય તબીબી વિદ્યાર્થીઓનો બચાવ થયો છે.
કોસંબા તરસાડીનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી દંપતી લંડન પુત્રીને મળવા જતાં હતાં
અમદાવાદમાં એર ઈન્ડિયાની એઆઈ ૧૭૧ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરત જિલ્લાનાં કોસંબા તરસાડીનાં દંપતીનું અકાળે મોત નીપજતાં પરિવાર સમેત સમગ્ર કોસંબા પંથકમાં આક્રંદ સાથે શોકની કાલિમા છવાય ગઇ છે. અર્જુનસિંહ વાંસદિયા દંપતી લંડન ખાતે સ્થાયી થયેલી તેમની પુત્રી અને જમાઈને ત્યાં જવા માટે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેઠા હતા. આ પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી અર્જુનિસંહના પરીવારજનોને મળતા કેટલાક સભ્યો તાત્કાલિક અમદાવાદ રવાના થયા હતા જ્યારે સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ વ્યાપી ગયો હતો. મોડી સાંજે મળતી માહિતી મુજબ કોસંબા તરસાડીનાં અર્જુનસિંહ ઉદયસિંહ વાંસદિયા અને તેમનાં ધર્મપત્ની દિવ્યાબેન અર્જુનસિંહ વાંસદિયાનું આ ઘટનામાં અવસાન થયું હતું. કોસંબાનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી આગેવાન દંપત્તિએ જાન ગુમાવ્યાનાં સાંભળતા જ કોસંબા તરસાડી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
બકરી ઈદ મનાવવા લંડનથી આવેલાં નાનાબાવા પરિવારનો માળો વિખેરાઇ ગયો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરતના રામપુરા છડાઓલ મના એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ બ્રિટિશ નાગરિક અકીલ અબ્દુલ્લા નાનાબાવા તેમના પત્ની અને દીકરી ઘવાયા છે.તેઓને અમદાવાદ સિવિલમાં લઈ જવાયા છે.અકીલ પિતા અબ્દુલ્લા નાનાબાવા ને મળવા પત્ની દીકરી સાથે વેકેશન માણવા સુરત આવ્યો હતો.પરિવાર અમદાવાદ સિવિલ જવા રવાના થયો. થોડા દિવસ અગાઉ બકરી ઈદ હતી. ત્યારે બકરી ઈદ મનાવવા માટે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા અકીલ તથા તેમના પત્ની હનાબેન અને દીકરી સારા આવ્યા હતાં. જેઓ બકરી ઈદની ઉજવણી કર્યા બાદ ફરી લંડન જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પ્લેનમાં દુર્ઘટના થઈ હતી. ત્યારે આ પરિવાર પણ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હોવાનું તેમના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું. અકીલના પિતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ફોન કોલ આવ્યો હતો અને તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચવા માટે જણાવવામાં આવતા પરીવાર પર આભ ફાટ્યું હતું. કોલ કરનારે અન્ય કોઇ માહિતી આપી ન હતી, ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર પહોંચવા જણાવ્યું હતું. સુરતથી સમગ્ર પરીવાર અમદાવાદ જવા માટે રવાના થઇ ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે અકીલભાઈ નાનાબાવા લોખાત હોસ્પિટલના ટ્રસ્ટી અનવર નાનાબાવાના ભત્રીજા થાય છે.
વકફ બોર્ડનાં પૂર્વ સભ્ય વાપીનાં બદરૂદ્દિન હાલાણી, તેમના પત્ની અને એક સ્નેહીનાં કોઇ સગડ નથી મળ્યાં
અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વાપીના મુસ્લિમ અગ્રણી અને વકફ બોર્ડની પ્રવૃતિ સાથે વર્ષોથી સક્રિય રીતે સંકળાયેલા બદરુદ્ધીન હાલાણી, તેમના ધર્મપત્ની અને તેમના એક સ્નેહી પણ મુસાફરોના લિસ્ટમાં સામેલ છે. તેઓ લંડન તેમના પરીવારના અન્ય સભ્યોના મળવા માટે જઇ રહ્યા હતા. પ્લેન ક્રેશ થયા બાદ વાપીમાં બદરુદ્ધીન હાલાણીના નજીકના સગાને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર મળ્યા હતા જેને પગલે સમગ્ર વાપીમાં આઘાતની લાગણી પ્રવર્તી ઉઠી હતી. મળતી માહિતી મુજબ બદરુદ્દીન હાલાણી છેલ્લા ઘણા વખતથી ગાંધીનગર શીફ્ટ થયા હતા પરંતુ, તેમનો વાપી સાથે નાતો અકબંધ રહ્યો હતો.
સુરતનાં સફળ સર્જન ડો.હિતેશ શાહ સારવાર માટે પત્ની ડો. અમિતા સાથે લંડન જઇ રહ્યાં હતાં
અડાજણ પાટીયા ખાતે સુગમ સોસાયટીમાં સ્મિત સજિર્કલ હોસ્પિટલથી જાણીતા ડો. હિતેશ શાહ તેમના પત્ની અમિતાબેન સાથે લંડન જઈ રહ્યાં હતાં. તેઓ આજે બપોરે અમદાવાદથી લંડન જવા ઉપડેલી એર ઇન્ડિયાની ૧૭૧ ફ્લાઇટમાં જ સવાર હતા. ડો. હિતેશ શાહની કોઇ બીમારીની સારવાર લંડનમાં ચાલી રહી હતી. જેથી તેઓ પત્ની સારવાર માટે લંડન જઈ રહ્યાં હતાં. ડો. હિતેશ શાહની સુગમ સોસાયટી સ્થિત સ્મીત હોસ્પિટલ જે હાલમાં બંધ થઇ ચૂકી છે એ સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત તેની બાજુમાં આવેલી સૂર્યપૂર સોસાયટી કે જેમાં ડો. હિતેશ શાહ રહેતા હતા એ સોસાયટીના રહેવાસીઓમાં આજે ભારે ગમગીની છવાય ગયેલી જોવા મળી હતી. સુરતના તબીબી આલમમાં પણ ડો. હિતેશ શાહ અને તેમના પત્ની ક્રેશ થયેલા પ્લેનમાં મુસાફર તરીકે સવાર હોવાના સમાચાર વહેતા થતાં તબીબી આલમમાં પણ ભારે આઘાતજનક સ્થિતિ પ્રવર્તતી જોવા મળી હતી. જોકે, મોડી સાંજ સુધી અમદાવાદથી અન્ય કોઇ સમાચાર મળ્યા નહતા. એરપોર્ટ પર ચેકિંગ કર્યા બાદ અમીતા શાહે પોતાની અંગત મિત્ર અને સાઈકિયાટ્રીસ્ટ ડો. આરતી મહેતા સાથે ફોન પર વાત કરી હતી. પોતે ચેકિંગ કરી લીધું અને થોડી વારમાં પ્લેનમાં ર્બોડિંગ કરશે તેવો મેસેજ આરતીબેને મિત્ર ડો. આરતી મહેતાને આપ્યો હતો. ડો. આરતી મહેતાએ મિડીયાકર્મીને ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, ડો. હિતેશ શાહ સુરતનાં તબીબી જગતનું ખૂબ જ રિસ્પેક્ટેડ નામ છે. તેમના પરિવારમાં બે દીકરા સ્મિત અને સ્નેહ છે. બંને દીકરાઓ લંડનમાં સેટલ થયા છે. ડો. હિતેશ શાહની બહેનનો ૭૦મો બર્થ ડે હોય તેના સેલિબ્રેશન માટે દંપતી લંડન જઈ રહ્યું હતું.
Loading ...