બ્લોક પદ્ધતિ શું છે?
મે, ૨૦૧૫માં કો-ઓપરેટિવ સેક્ટરના ઈતિહાસમાં પહેલી વખત બ્લોક પદ્ધતિથી ચૂંટણી યોજવામાં આવી હતી. આ પદ્ધતિ મુજબ એક વ્યક્તિએ એક જ મત આપવાનો હોય છે. એટલે કે, એક મંડળી તાલુકાના નક્કી કરાયેલાં બ્લોકમાં કોઈ એક ઉમેદવારને મત આપી શકે છે. આ પદ્ધતિમાં મતદાન દરેક તાલુકાના નક્કી કરાયેલાં બ્લોક પ્રમાણે યોજવામાં આવે છે. અને એ તાલુકાની મંડળીઓ બ્લોક પ્રમાણે મતદાન કરે છે. આ મંડળીઓ બહારના તાલુકાના ઉમેદવારને મત આપી શકતી નથી.
ક્યા ક્યા ૧૨ બ્લોક છે?
વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં પેનલ નહીં, પણ ગુજરાત રાજ્ય સ્પેસિફાઇડ કો-ઓપરેટિવ સોસાયટી ઇલેકશન રૂલ્સ ૧૯૮૨ના રૂલ નંબર ૩ એ (૧)થી ૩ એ (૮)ની જાેગવાઈ અનુસાર બ્લોક સિસ્ટમથી ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ૧૨ બ્લોક પાડવામાં આવ્યાં છે. આ ૧૨ બ્લોકમાં આણંદ જિલ્લાની આણંદ, ખંભાત, બોરસદ અને પેટલાદ. ખેડા જિલ્લાની ઠાસરા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર અને નડિયાદ, જ્યારે મહિસાગર જિલ્લાના બાલાસિનોર અને વિરપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમૂલમાં ત્રિપાંખીયો જંગ નક્કી
ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ(અમૂલ)ના નિયામક મંડળની ૧૨ બેઠકો માટે આગામી ૨૯મી ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસે ૬ ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. મતદાર વિભાગ ૨માં આજીવન સભાસદ રણજીત પટેલ સહિત આણંદ એપીએમસીના ચેરમેન ભરત પટેલ ઝંપલાવ્યું છે. અમૂલ ડિરેક્ટર તેજસ પટેલ બે ઉમેદવારી પત્રો ભર્યા છે. આ વખતે પશુપાલકો પોતાની પેનલ ઊતારવાના હોવાથી સહકારી આગેવાનો ચૂંટણી વ્યક્તિગત રીતે લડવી કે કોઇ બેનર હેઠળ લડવી તે અંગેની મૂંઝવણ અનુભવી રહ્યાં છે.
આ વખતે સહકારી આગેવાનો ચિંતામાં!
સહકારી ક્ષેત્રના મોટામાથાઓ ભેગાં મળીને ચૂંટણી લડવા માટેનો તખતો રચી રહ્યાં છે. સામે પક્ષે પશુપાલકો આ વખતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ચૂંટણીમાં ઊતરવાના હોય છે. દરેક તાલુકા દીઠ માત્ર ૯૦થી ૧૦૦ મત હોય છે. ઉમેદવારોનો રાફડો ફાટે તો કોણ જીતશે. તે નક્કી કરવું મુશ્કેલ બને તેમ છે. દરેક બેઠક પર ૮થી ૧૦ ઉમેદવારો મેદાનમાં ઊતરે તેવી સંભાવના છે. આવું થશે તો કોઇ ઉમેદવાર નજીવા મતો ખેંચી જાય અથવા એકાદ બે મત બગાડે તો રાજકીય ગણિત બદલાઇ શકે છે. તેને લઇને સહકારી આગેવાનો ચિંતા મૂકાઈ ગયાં છે.
બ્લોક પદ્ધતિથી ચૂંટણી જંગ ખેલાશે આણંદ ખેડા અને મહિસાગરમાં ૧૨ બ્લોક
બાલાસિનોર, તા.૧૦
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સહકારી સંસ્થા અમૂલ ડેરીની નિયામક મંડળની મુદત પૂર્ણ થતાં જ નવી નિયામક મંડળની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સત્તા હાંસલ કરવા માટે નાનેથી લઈ ટોચના નેતાઓએ સહકાર વિભાગમાં ઝંપલાવી વિશ્વવિખ્યાત અમૂલ ડેરી પર પોતાની સત્તા કબજે કરવા કમર કસી છે. આ વખતે અલગ અલગ બ્લોક પ્રમાણે ચૂંટણી યોજાવાની છે, જેમાં આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, ઠાસરા, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર, નડિયાદ અને વિરપુરનો સમાવેશ થાય છે. અમૂલ ડેરી પર ૨૫ વર્ષથી કબજાે જમાવીને બેઠેલાં ઠાસરાના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પણ સત્તા હાંસલ કરવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે બોરસદ બ્લોકમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ કરોડોનો વહીવટ કરતી ખેડા જિલ્લાની સહકારી સંસ્થા ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને અમૂલ ડેરીના ડિરેક્ટર ધીરુભાઈ ચાવડાએ પણ માતરથી ઉમેદવારી નોંધાવી છે. આવાં દિગ્ગજ નેતાઓએ કરોડોના વહીવટથી ચાલતી અને વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં કબજાે જાળવી રાખવા મેદાનમાં ઊતર્યાં છે. બીજી તરફ કેટલાંક નેતાઓ કબજાે જમાવવા મેદાનમાં ઝંપલાવ્યું છે. કેટલાક ડિરેક્ટર્સએ પણ રિપીટ થિયરી અપનાવી પોતે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે હજુ કેટલાંક મોટા રાજકીય આગેવાનો પણ આ ચૂંટણીમાં ઝંપલાવે તેવું દેખાઈ રહ્યું છે.
ક્યાં શું પરિસ્થિતિ છે?
ચૂંટણી વિભાગના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલાં કાર્યક્રમ મુજબ નિયામક મંડળની ૧૨ બેઠક પૈકી ખંભાત અને કપડવંજ મહિલા પ્રતિનિધિ માટે અનામત રાખવામાં આવી છે. ખંભાતના બ્લોક નં-૨ની બેઠક પર હિરાણીબેન પ્રમોદભાઇ પટેલ ઉમેદવારી નોંધાવી છે. બ્લોક નં-૧માં આણંદ એપીએમસીના ચેરમેન અને કુંજરાવ ગામના ભરતભાઇ સુરેશભાઇ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું છે. તેમને ટેકો નટુભાઇ પરમારે જાહેર કર્યો છે. તેઓ આણંદ તાલુકાના સહકારી માળખા પર સારું એવું વર્ચસ્વ ધરાવે છે. સાથે સાથે કુંજરાવ ગામમાં છેલ્લાં ૩૦ વર્ષથી સરપંચપદે કાર્યરત છે. તેઓ પ્રથમ વખત અમૂલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી સહકારી ક્ષેત્રેમાં ગરમાવો વ્યાપી ગયો છે. બ્લોક નં ૪માં અમૂલ સભાસદ તેજસભાઇ પટેલ બે ઉમેદવારીપત્રો ભર્યા છે. મહેદાવાદ બ્લોક નં.૯ માં વરસોલા દૂધ મંડળીમાંથી ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ અને બ્લોક નં.૧૧ નડિયાદમાં રાધુપુરાના રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા પ્રથમ દિવસે ઉમેદવારી નોંધાવી છે.આમ પ્રથમ દિવસે બાર બેઠકોમાં છ બેઠકો પર કુલ છ ઉમેદવારોએ ચૂંટણી માટે ફોર્મ ભરી મેદાનમાં ઝંપલાવેલ છે.
અમૂલ ડેરીની ચૂંટણી લઇને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો
અમૂલ ડેરીની ચૂંટણી જાહેરથતાં દરેક ગામની દૂધ મંડળીના હોદેદારોનો કોઇ સંપર્ક કરતા ન હતા.તેવા સહકારી આગેવાનોએ મુલાકાત લઇ રહ્યાં છે. ખાસ કરીને પશુપાલકો પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો હોવાથી સહકારી આગેવાનોની નિંદ ઉડી ગઇ છે. તેઓને આ વખતે વધુ કવાયત કરવી પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
અમૂલમાં કઈ પાર્ટીનું કેવું વર્ચસ્વ?
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બે સભ્યો એક અપક્ષ અને કોંગ્રેસના નવ સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. અલબત્ત, ડેરીસંઘો પર કોંગ્રેસનું વર્ચસ્વ પહેલેથી જ છે. દરમિયાન ૨૦૧૭માં ઠાસરાના કોંગ્રેસના એમએલએએ ભાજપ જાેઇન કરતાં ડેરીસંઘોમાં કોંગ્રેસના આઠ સભ્યો છે અને ભાજપના ત્રણ સભ્યો છે. એક અપક્ષ છે.
અત્યાર સુધી શું સમીકરણો હતાં?
અમૂલ બોર્ડમાં બાર સભ્યોમાં નવ કોંગ્રેસના હોવાથી બહુમતીથી અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે કોંગ્રેસના અનુક્રમે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર છેલ્લી બે ટર્મથી ચૂંટાતાં આવ્યાં છે. વર્તમાન ચેરમેન રામસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હોવાથી જાે કોંગ્રેસની બહુમતી આવશે તો વર્તમાન વાઇસ ચેરમેન અને કોંગ્રેસના બોરસદના વિધાનસભ્ય રાજેન્દ્રસિંહને ચેરમેનનો તાજ પહેરાવવામાં આવે તેવી ચર્ચા છે.
અમૂલની ચૂંટણીમાં ચરમદાણથી પશુના મોતનો મુદ્દો છવાશે
ભારતીય કિસાન યુનિયનના રવિ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે અમૂલની ચૂંટણીમાં ચરમદાણથી ટપોટપો ગૌ અને ગૌવંશના મોતનો જે સિલસિલા બન્યો હતો તે મુદ્દો પશુપાલકોમાં છવાયેલો રહેશે. ચરોતરની ૧૨૦૦ મંડળીમાં બે નંબરનું ચરમદાણ અમૂલ દ્વારા જમા કરાવવામાં આવ્યું હતું. પશુધનનાં મોતના સિલસિલા માટે આ ચરમદાણ જવાબદાર હતું. આણંદ જિલ્લાના પાળજ, રતનપુરા અને ત્રણોલ ગામે ૧૬૦થી વધુ ગૌવંશનાં મૃત્યુ થયાં હતાં. આ મામલે વર્તમાન ચેરમેન રામસિંહ પરમારે હાથ ઊંચા કરી લીધાં હતાં. ભારતીય કિસાન યુનિયને આણંદમાં અમૂલ ડેરીની પાસે નિર્દોષ ગૌવંશના ટપોટપ મોત પછી વિરોધ પ્રદર્શન કરતાં ગૌવંશના બેસણાનો કાર્યક્રમ પણ આપ્યો હતો. જાેકે, અમૂલ ડેરી કે રામસિંહ પરમારના પેટનું પાણી હલ્યું ન હતું. અત્યારે પશુપાલકોએ પોતાનું પશુધન ગુમાવ્યાં બાદ પરિવારના ભરણપોષણનો સવાલ ઊભો થયો છે.
Loading ...