08, સપ્ટેમ્બર 2022
594 |
ગાંધીનગર, રાજ્યમાં કુપોષણને નાથવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે બજેટમાં માતબર રકમની જાેગવાઈ કરીને બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં સુધાર લાવવા યુદ્ધના ધોરણે પ્રયત્નો હાથ ધર્યા છે. આ માટે સરકારે ચાલુ વર્ષે રૂ. ૯૨૯ કરોડની વિશેષ જાેગવાઈ માત્ર પોષણની યોજનાઓ માટે કરી છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, રાજયમાં વર્ષ ૨૦૨૦ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ મુજબ કુલ કૂપોષિત બાળકોમાંથી ૨૩.૩૬ ટકા બાળકો ઓછા વજન વાળા અને ૩.૧૨ ટકા અતિ કૂપોષિત છે. જે વર્ષ ૨૦૧૯-૨૦ની તુલનામાં વર્ષ ૨૦૨૨માં ઓછા વજનવાળા બાળકોમાં ૧૬.૩૪ % અને અતિ કુપોષિતમાં ૭.૪૮ % નો ઘટાડો નોંધાયો છે.પ્રવકતા મંત્રીએ પોષણસુધારની આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે, બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્તરની ચકાસણી માટે ભારત સરકાર દર પાંચ વર્ષે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરાવાય છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં થયેલા પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં કુલ ૩૯.૭ ટકા ઓછા વજનવાળા બાળકો અને ૧૦.૬ ટકા અતિ કૂપોષિત બાળકો જ્યારે ૩૯ ટકા બાળકો સ્ટંટેડ (ઠીંગણા) હોવાનું નોંધાયું હતું.
આઇસીડીએસ યોજના હેઠળ બાળકોના વજન અને ઊચાઇની તમામ વિગત આંગણવાડી કાર્યકર દ્વારા ‘પોષણ ટ્રેકર’એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે. પોષણ ટ્રેકરના ડેટા મુજબ જુલાઈ-૨૦૨૨ની સ્થિતિએ રાજ્યમાં કુલ ૨૩.૩૬ ટકા ઓછાવજનવાળા બાળકો અને ૩.૧૨ ટકા અતિ કુપોષિત બાળકો છે. આમ, પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણના સાપેક્ષમાં પોષણ ટ્રેકર મુજબ આજની સ્થિતિએ કુલ ૧૬.૩૪ ટકા ઓછાવજનવાળા બાળકો તેમજ ૭.૪૮ ટકા અતિ કૂપોષિત બાળકોમાં ઘટાડો થયો છે, એમ પણ પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા કરાયેલા પ્રયત્નો અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતની ૫૩,૦૨૯ આંગણવાડીઓ/નંદઘરમાં દરરોજ ૬૦.૦૨ લાખ નોંધાયેલ લાભાર્થીઓ છે. રાજ્યમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા સરકાર દ્વારા આઇસીડીએસ યોજના હેઠળ ટેક હોમ રેશન (ટીએચઆર) અપાય છે. ટેક હોમ રેશન અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો, બપોરનું ગરમ ભોજન તેમજ અઠવાડીયામાં બે વાર (સોમવાર અને ગુરુવાર) ઋતુ મુજબ ફળ અપાય છે. આ ઉપરાંત ૩થી ૬ વર્ષના અતિઓછા વજનવાળા બાળકોને બાલશક્તિ યોજના હેઠળ તેમજ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતા જે તંદુરસ્ત બાળકને જન્મ આપે અને બાળક સુપોષિત રહે તે માટે દર માસે ટીએચઆર તરીકે કિશોરીને પૂર્ણાશક્તિ અને માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત આહાર અપાય છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, રાજ્યના ૨૦ જિલ્લાના ૧૦૯ ઘટકમાં દૂધ સંજીવની યોજના તથા ૧૪ આદિજાતિ જિલ્લાના ૧૦૬ ઘટકોમાં પોષણ સુધા યોજના યોજના અંતર્ગત વિવિધ પોષણ અંગે સહાય કરાય છે.