16, ડિસેમ્બર 2022
594 |
વેરાવળ, રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે જૂનાગઢ સહિત અનેક દરિયાઈ પટ્ટીના વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢનું માંગરોળ બંદર, ગીર સોમનાથનું વેરાવળ બંદર અને પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માગશરમાં માવઠાની દહેશત વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દરિયાઈ વિસ્તારમાં લો પ્રેશર સર્જાતા દરિયામાં કરંટ જાેવા મળ્યો છે, ત્યારે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ગઈ કાલે સાંજે વરસાદ પણ પડ્યો હતો. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદી આગાહીના પગલે દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલમાં ખેડૂતોનો પાક ખેતરમાં ઉભો છે. ઘઉં, કપાસ સહિત અનેક શિયાળુ પાકોનું હાલમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે શિયાળામાં જાે વરસાદ થાય તો વાવેતર કરવામાં આવેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલ વરસાદી લો પ્રેશર સર્જાયું છે. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ગઈ કાલે સાંજના સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે દરિયામાં માછીમારી કરતાં માછીમારોને કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવી સાવચેતી આપવામાં આવી છે.
જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું
રાજ્યભરમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ ખેડૂતોની જણસીની જથ્થાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૧૫-૧૨-૨૦૨૨થી ૧૯-૧૨-૨૦૨૨સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. જેના પગલે સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જેથી દરિયા કાંઠે તંત્ર એલર્ટ થયું છે. જાફરાબાદના બંદર ઉપર આગમચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. સમગ્ર જાફરાબાદ, પીપાવાવ, રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારના લોકોને ચેતવણી આપવામાં આવી છે. હાલ શિયાળાની ઋતુ છે તેવા સમયે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ઠંડીની સાથે સાથે વરસાદને પગલે રોગાચાળો પણ ફાટી નીકળવાની ભીતિ જાેવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર દ્વારા દરેક માર્કેટીંગ યાર્ડ તેમજ ખરીદી વેચાણ ગોડાઉનમાં જણસીના જથ્થાને ખેડૂતો સલામત સ્થળે રાખી કોઈ નુકસાન ન પહોંચે તે માટે તકેદારી રાખે તેવી સૂચના આપવામાં આવી છે. ખેડૂતોની જણસીને નુકસાન ન પહોંચે તેવી દરેક યાર્ડમાં વ્યવસ્થા ઉભી કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે.