આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર
24, ઓક્ટોબર 2024 હ્લૌશિક ચૌધરી   |   891   |  

અષ્ટાંગ યોગ એ યોગાસનોનો માર્ગ નથી, જેમ કે મોટા ભાગે અજ્ઞાનવશ સમજવામાં આવે છે. યોગાસનોનો સ્ત્રોત હઠયોગ પ્રદીપિકા છે. હઠયોગમાં શરીરના આકારને બ્રહ્માંડની સૂક્ષ્મ ભૂમિતિઓને સમાંતર કરવામાં આવે છે, અને એ રીતે પોતાના અંદર બ્રહ્માંડીય ચેતનાથી સમાગમ સાધી જ્ઞાનનો સ્ત્રોત આત્મસાત કરવાની કોશિશ થાય છે. જ્યારે અષ્ટાંગ યોગનો માર્ગ કર્મ, ક્રિયા, જ્ઞાન અને ભક્તિનો માર્ગ છે. અહીં ક્રિયા માટે આસનની જરૂર પડે છે. પણ એ આસનની ઉપયોગિતા એટલી જ છે કે જેમાં લાંબો સમય બેસી પ્રાણાયામ અને ધ્યાન કરી શકાય. આસન માટેના બે યોગસૂત્ર છે. એક કહે છે કે મનની સ્વાભાવિક વૃત્તિને નરમ પાડવાથી અને અનંતનું ધ્યાન ધરવાથી આસન સ્થિર અને આરામદાયક બને છે. બીજા શબ્દોમાં મનને એના વિષયોમાં ગતિ કરવા અટકાવી તે મનને શક્તિ આપનારી જે અનંત ચેતના છે એમાં ધ્યાન કેન્દ્રિત કરવું. આમ કરવાથી આપોઆપ શરીર પરથી ધ્યાન હટી જાય છે, અને શરીરને ચંચળ કરનારું મન પણ સ્થિર બને છે. આ રીતે આસન આરામદાયક બને છે. બીજું યોગસૂત્ર કહે છે કે આસન સિદ્ધ થાય એટલે દ્વંદો વિઘ્ન કરી શકતા નથી. એટલે કે મન જે હંમેશા વિરોધાભાસી વિચારોમાં હિચકોલા ખાતું હોય છે તે હવે સ્થિર બને છે, અને તે વિરોધાભાસી વિચારો વિઘ્ન રૂપ બનતા અટકી જાય છે. આ રીતે સાધક આસન સીદ્ધ કરી પ્રાણાયામ માટે તૈયાર થાય છે.

પ્રાણાયામઃ

પ્રાણ એટલે શરીરમાં ગતિમાન એ ઊર્જા જે આધારિત અને મનને જીવંત રાખે છે. એક રીતે આત્મા જે સર્વનો સાક્ષી છે તે પ્રાણ વડે શરીર અને મનને ચલાવે છે. પ્રાણનો સીધો સબંધ છે શ્વાસ સાથે. કારણકે પ્રાણના કારણે જ ફેફસાં ફૂલે છે અને સંકોચાય છે, અને આ કારણે તેમાં હવા ભરાય છે અને ખાલી થાય છે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. એટલે કે આપણે શ્વાસ લઈએ છીએ એટલે ફેફસાં ફૂલે છે અને આપણે શ્વાસ છોડીએ છીએ એટલે ફેફસાં સંકોચાય છે એવું નથી. સત્ય એનાથી ઊલટું છે. પ્રાણ એ ફેફસાંને સંકોચન વિસ્તરણની ગતિ કરાવે છે અને તે કારણે આપણે શ્વાસ લઈએ છીએ. આમ, શ્વાસ એ દોરી છે જે પ્રાણે પકડી રાખી છે, આપણને જીવંત રાખવા. એટલે અષ્ટાંગ યોગમાં એ શ્વાસને પકડીને પ્રાણ સુધી પહોંચવામાં આવે છે. શ્વાસની ગતિને પોતાના હાથમાં લઈ તેને ચલાવનાર એ પ્રાણ સુધી પહોંચવાની, અને તેનું નિયમન કરવાની કોશિશ એ પ્રાણાયામ છે.

પ્રાણાયામના યોગસૂત્ર કહે છે કે પ્રાણાયામના ચાર પ્રકાર છે. બાહ્ય, આંતરિક, ગતિરહિત અને બાહ્ય કે આંતર વિષયના ચિંતન દ્વારા પ્રાણનું નિયમન. બાહ્ય પ્રાણ એટલે રેચક જેનાથી શ્વાસને બહાર કાઢવામાં આવે છે, આંતરિક એટલે પ્રેરક કે જેનાથી શ્વાસ અંદર ખેંચવામાં આવે છે, અને ગતિરહિત એટલે કુંભક જેમાં શ્વાસને રોકવામાં આવે છે. ચોથા પ્રકારમાં કુંભક દરમિયાન એટલે કે શ્વાસ રોકવાના સમયે ૐ જેવા નાદ પર કે સુષુપ્ત કુંડલિની સંગ્રહના સ્થાને કે હદય ચક્ર પર કે છઠા ચક્ર પર ચિંતન કે કલ્પના કરી શ્વાસ દ્વારા પ્રાણને કાબૂમાં લેવામાં આવે છે. યોગસૂત્ર એ પણ કહે છે કે આ પ્રાણાયામનું દેશ, કાળ અને સંખ્યા પ્રમાણે નિયમન થાય છે, તેમજ તે લાંબા અને ટૂંકા હોય છે. આનો અર્થ એ ક્રિયાને લાગતો છે. દેશ એટલે જે સ્થાને શ્વાસને રોકવાનો છે તે સ્થાન. કાળ એટલે એ સમય જેટલા સમય પૂરતો શ્વાસને રોકવાનો છે, અંદર ખેંચવાની છે અને છોડવાનો છે તે સમયનું નિયમન. સંખ્યા એટલે આવા પ્રેરક, કુંભક અને રેચકના એક એવા કેટલા શ્વાસ લેવાના છે તેની સંખ્યા. લાંબા અને ટૂંકા પ્રાણાયમનો અર્થ છે લાંબા શ્વાસ અલગ અલગ ગતિથી લેવા અને છોડવા અને ટૂંકા શ્વાસ અલગ અલગ ગતિથી લેવા અને છોડવા.

આમ, એક રીતે પ્રાણાયામ બે પ્રકારનો હોય છે. એક જે પ્રેરક, કુંભક અને રેચકથી થાય છે, જે કુંડલિની ઊર્જાને ઉપર તરફ ધક્કો મારી જાગૃત કરવાની કોશિશ કરે છે. અને બીજા પ્રકારનો પ્રાણાયામ લાંબા અને ટૂંકા શ્વાસને અલગ અલગ ઝડપ સાથે અલગ અલગ સમય સુધી ગતિમાન કરવાનો છે. આ પ્રાણાયામમાં શરીરના કોષે કોષમાં સૂક્ષ્મ રહી કાર્ય કરતા પ્રાણને શ્વાસ વડે ગતિ આપવામાં આવે છે. અને પરિણામ એવું જ આવે છે જેવું એક તાંબાના તારમાં સ્થિર રહેલા ઇલેક્ટ્રોનને ચુંબક કે અન્ય માધ્યમથી ગતિ આપતાં જ તે તારમાં વીજળી દોડવા લાગે છે. આ લાંબા ટૂંકા શ્વાસના પ્રાણાયામથી પ્રાણ ગતિમાન બની એક વિદ્યુત પ્રવાહ રૂપે સાધકને પોતાના શરીરમાં અનુભવવા લાગે છે. આ પ્રાણાયામ શરીરમાં સૂક્ષ્મ રહેલા પ્રાણને ગતિ આપવી પોતાનામાં જાેવા અને અનુભવવા માટે હોય છે. તે પ્રાણની સાબિતી આપે છે. જ્યારે કુંભક રેચકથી થતો પ્રાણાયામ ધીરે ધીરે કુંડલિની જાગૃત કરી તે સૂક્ષ્મ પ્રાણને તમારી અનુભૂતિમાં લાવવાનું કાર્ય કરે છે. આ કારણે જ યોગસૂત્રમાં કહેવાયું છે કે પ્રાણાયામથી ચિત્તના પ્રકાશ ઉપર બાજેલું અહંકાર અને ઇન્દ્રિયોનું આવરણ ક્ષીણ થાય છે, અને તેનાથી મન ધારણા માટે યોગ્ય બને છે.

પ્રત્યાહારઃ

પણ ધારણા પહેલાં આવે છે પ્રત્યાહાર. યોગસૂત્ર કહે છે કે પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયો દ્વારા પોતપોતાના વિષયોનો ત્યાગ કરી ચિત્તનો આકાર ધારણ કરી લેવો. તેનાથી ઇન્દ્રિયો પરનો સંપૂર્ણ કાબૂ આવે છે.

આસન સિદ્ધ થયા પછી પ્રાણાયામમાં પણ સ્થિર બનતાં પ્રત્યાહાર માટેની ક્ષમતા આવે છે. મન આસન અને પ્રત્યાહારના કારણે ઈન્દ્રિય વિષયો પરથી હટી એ શરીરને ચલાવનાર અનંત પ્રાણ ઉપર સ્થિર હોય છે. અને આ સાથે મદદમાં આવે છે પાંચ નિયમો પૈકીનો એક સંતોષ. આપણે સંતોષના જાણ્યું હતું કે અસલમાં સંતોષ એ સંતૃપ્તતાના અર્થમાં છે. ઇન્દ્રિયોના જે વિષયો ભોગવાઈ ચૂક્યા છે અને તેના ભોગ કે આનંદની એક સીમિત મર્યાદા અનુભવમાં આવી ચૂકી છે, ત્યારબાદ ફરી ફરીને એજ વિષયના ભોગમાં પ્રવૃત્ત ન થવું એ પ્રત્યાહાર છે. મનને સતત કહેવું ‘એ જાેઈ લેવાયું છે. ભોગવી લેવાયું છે. તે સિમિત છે, અપૂર્ણ છે. એટલે હું એ અસીમિતના ધ્યાનમાં બેઠો છું, જે પોતાના પ્રાણથી જ પોતાના પૂર્ણત્વનો અનુભવ કરાવે છે.’ મનને આ કહીને ઈન્દ્રિય વિષયોમાં પ્રવૃત્ત થતાં અટકાવી દેવું એ પ્રત્યાહાર છે. તે ધારણા માટે મંચ તૈયાર કરે છે.

આવતા લેખમાં આપણે ધારણા, ધ્યાન અને સમાધિને સમજીશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution