25, મે 2025
3366 |
ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાતને આવકારી હતી. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે અધિકૃત જાહેરાત થયા પહેલા પણ કોંગ્રેસ પક્ષ અને તેના સંગઠને ચૂંટણીની તૈયારીઓ આદરી દીધેલ છે. આજે જ્યારે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત જાહેરાત થયેલ છે ત્યારે બંને વિધાનસભા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચાર ચાર પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. વિસાવદર બેઠક માટે પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્યો પૂંજા વંશ અને ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા અને કડી બેઠક માટે લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય અને દંડક કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈને જવાબદારી સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત પ્રભારીઓ અગાઉ પણ વિધાનસભા વિસ્તારમાં સંગઠન સાથે સંપર્કમાં હતા. આગામી બે દિવસોમાં પ્રભારીઓ પેટા ચૂંટણી વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કરીને સેન્સ લેશે, તેમની સાથે ગુજરાતના પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને સૌ મોવડી મંડળ ચર્ચા વિચારણા કરીને મજબૂત લોક સંપર્ક ધરાવતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે.શક્તિસિંહે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં જે પ્રમાણે ગુજરાતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. તાજેતરમાં ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડના સંપૂર્ણ ભ્રષ્ટાચારને કોંગ્રેસે ઉજાગર કર્યો હતો અને સરકારને ના છૂટકે પોલીસ ફરિયાદ કરવા મજબૂર કરી હતી. ભારતીય જનતા પક્ષના શાસનમાં ગરીબો શોષિતો અને વંચિતો નો અવાજ રુંધાઈ ગયો હોય. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય, મોંઘવારી અને બેરોજગારી ચરમસીમા પર હોય ત્યારે ઉપરોક્ત પ્રશ્નોને ઉજાગર કરીને કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણી લડશે અને અમે જીતવાના છીએ અને જીતવા માટે જ લડવાના છીએ.