22, મે 2025
નવી દિલ્હી |
સરકારે દાણચોરી રોકવા માટે નિયમો કડક બનાવ્યા
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ 19 મેના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું
ભારત સરકારે સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ દેશમાં લાવવા માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ 19 મેના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં આ ધાતુઓને 'પ્રતિબંધિત' કેટેગરીમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.
સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓની આયાતને વધુ સારી રીતે નિયંત્રિત કરવા, દુરુપયોગ અટકાવવા,એએચએસ કોડને પ્રમાણિત કરવાનો અને આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે આ કડક નિયમો બનાવ્યા છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આ ધાતુઓ કોણ આયાત કરી શકે છે અને કઈ શરતો લાગુ થશે? હવે વિદેશથી સોના-ચાંદીની આયાત કરવી સરળ નથી. સરકારે દાણચોરી રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે. અગાઉ, ભારતમાં ચોક્કસ પ્રકારના સોનું સરળતાથી આયાત કરી શકાતું હતું, પરંતુ નવા નિયમો અનુસાર, જો સોનાની શુદ્ધતા 99.5% કે તેથી વધુ હોય, તો તેને 'પ્રતિબંધિત' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હવે તેને ઓર્ડર કરવા માટે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડશે. આ નિયમ HS કોડ 71081210 અને 71081310 હેઠળ આવતા સોના પર લાગુ થશે.હવે, આ પ્રકારનું સોનું ફક્ત તે એજન્સીઓ દ્વારા જ ખરીદી શકાય છે જેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અથવા DGFT દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમે તેને IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી પણ ઓર્ડર કરી શકો છો, પરંતુ સોનું ફક્ત ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા જ ઉપલબ્ધ થશે.