06, જુન 2025
સુરત |
2673 |
ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં જ નદીમાંથી રેસ્ક્યુ કર્યું

સુરતમાં ગતરોજ વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસ નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોંગ્રેસી નેતા બ્રિજની પાળી પર ચાલતા હોય તેવી શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી ફાયર વિભાગને જાણ કરતા તેમનો બચાવ થયો હતો.
જાગૃત નાગરીકે આપઘાતના પ્રાયસ પહેલા શંકાસ્પદ ગતિવિધિઓ કેમેરામાં કેદ કરી

મળતી માહિતી પ્રમાણે, ગત રાત્રે આ ઘટના બનતા પહેલા, કોંગી નેતા વરિયાવ બ્રિજ પર આંટા મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વીડિયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરીને નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે જ સ્થાનિક સિંગણપોર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. આ કોંગ્રેસી નેતાએ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતા પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા છેલ્લા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કેન્સરના કારણે તેમને દિવસ-રાત ઊંઘ આવતી ન હતી, જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમયસૂચકતાના કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. સિંગણપોર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા હતા.