02, જુન 2025
2277 |
વડોદરા, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. પદાધિકારીઓ વચ્ચેનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો. આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે તેમ છતાં પદાધિકારીઓ વચ્ચેની નારાજગી છતી થઇ રહી છે. વડોદરા શહેરને પૂરમાંથી ઉગારવા માટેના વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા માટે આજરોજ મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તથા તમામ પદાધિકારીઓ જવાના હતા. પરંતુ વિઝીટ દરમિયાન માત્ર મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર જ દેખાતા નવો વિવાદ સામે આવ્યો હતો. અન્ય પદાધિકારીઓ નેતા, દંડક અને ડેપ્યુટી મેયરની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ત્યારે શું આ ૩ પદાધિકારીઓએ વિશ્વામિત્રી વિઝીટનો બહિષ્કાર કર્યો હતો કે શું તેવી પણ ચર્ચાએ જાેર પકડ્યું છે. વડોદરા ભાજપની આંતરિક જૂથબંધી સમયાંતરે સામે આવે જ છે. તેમાંય ખાસ કરીને મહાનગરપાલિકાના આંતરિક રાજકારણના કારણે પક્ષને નુકસાન થતું હોવાનું ભૂતકાળમાં પણ અનેક વાર સામે આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના જ પદાધિકારીઓમાં જૂથ પડી ગયું હોવાનું અનેકવાર સામે આવ્યું છે. ત્યારે સામી ચૂંટણીએ પણ હવે પદાધિકારીઓ વચ્ચેનો આંતરિક ગજગ્રાહ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને પૂરમાંથી ઉગારવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હાલમાં અંતિમ ચરણમાં છે અને તેની ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે અને મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરના અંગત સચિવે તમામ પદાધિકારીઓને ફોન કરીને વિઝિટમાં જાેડાવા માટેની જાણ કરી હતી. પરંતુ આજ એસવારે જયારે વિઝીટ પર ગયા ત્યારે મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર જ નજરે પડ્યા હતા. અન્ય પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિઝીટ માટે ગયા ન હતા જેના કારણે અનેક ચર્ચાએ જાેર પકડ્યું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું આ ત્રણેય પદાધિકારીઓએ વિશ્વામિત્રી વિઝીટનો બહિષ્કાર કર્યો છે કે શું? એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મેયર અને ચેરમેનની જાેડીના કારણે આ પદાધિકારીઓ નારાજ છે. મેયર અને ચેરમેન પોતાની રીતે જ ર્નિણય લઇ રહ્યા છે ત્યારે આ પદાધિકારીઓ તેઓથી દૂર જ રહેવા માંગતા હોય તેવી ચર્ચા છે.
ચૂંટણીના ૬ મહિના બાકી છે ત્યારે મેયર-ચૅરમેનની મનમાનીથી અન્ય પદાધિકારીઓ દૂર રહેવાના મૂડમાં
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ૬ મહિના જેટલો સમય બાકી છે ત્યારે કોર્પોરેશનમાં મેયર - ચેરમેનના મનસ્વી ર્નિણયના કારણે અન્ય પદાધિકારીઓ તેઓથી દૂર રહેવાના મૂડમાં જ હોય તેવી ચર્ચા છે. જાણવા મળ્યા મુજબ મહાનગરપાલિકામાં હેરિટેજ અંગેની બેઠક મળી હતી જેમાં સાંસદ, ધારાસભ્યો, મેયર, ચેરમેન સહિતના આગેવાનો હતા પરંતુ આ બેઠકમાં ડેપ્યુટી મેયર, નેતા અને દંડકને આમંત્રણ અપાયું ન હતું જેના કારણે આ ત્રણેય પદાધિકારીઓમાં નારાજગી ઉભી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જેમાં જશ લેવાનો હોય તેવી મહત્વની બેઠકોમાં આ પદાધિકારીઓને આમંત્રણ અપાતું નથી અને અપજશ લેવાની બેઠકમાં આમંત્રણ અપાય છે. એક પદાધિકારીએ તો એમ પણ કહ્યું હતું કે જાે આમ જ કરવું હોય તો વહીવટ જાતે જ કરી લો અમારી શું જરૂર છે? પાલિકાના પદાધિકારીઓ વચ્ચેનો આંતરિક ગજગ્રાહ આગામી ચૂંટણીમાં ભાજપને ન નડે તે માટે સંગઠન દરમિયાનગીરી કરવાની તૈયારીઓમાં હોવાની ચર્ચા છે.