19, મે 2025
અંકલેશ્વર |
3366 |
ડો. મનિષા ૧૬મીએ બપોરે મિત્રના લગ્નમાં હાજરી આપવા ભરૂચ જવાનુ છે તેમ કહીને નીકળ્યા પછી ગૂમ થઈ ગયા હતા

અંકલેશ્વરની ખ્યાતનામ જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટરનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ડો. મનિષાબેન વાળા ૧૬મીએ મિત્રના લગ્નમાં
જવાનું છે તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને ત્યારપછી ગૂમ થઈ ગયા હતા. આજે ભરૂચના ગોલ્ડન બ્રીજની નજીક આવેલા બોરભાઠા પાસે નર્મદા નદીમાંથી તેમની ડિકંપોઝ થયેલી લાશ મળી આવી હતી. આ બનાવ અંગે
પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, અંકલેશ્વરના જાણીતા હોસ્પિટલના કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ડો. મનિષાબેન કલ્પેશભાઈ વાળા (ઉં.વ-૨૯) બે દિવસ પહેલા એટલે કે, ૧૬મીએ એક મિત્રના લગ્નમાં ભરૂચ જવા માટે
બપોરે એકાદ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. જોકે, મોડીરાત્રે તેઓ ઘરે પાછા નહીં આવતા તેમના પતિએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પણ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે, તેમણે અંકલેશ્વની જીઆઈડીસી
પોલીસને આ બાબતની જાણ કરી હતી. યુવાન પરિણીતા અને મહિલા ડોક્ટર એકાએક ગૂમ થઈ જતા પોલીસે જાણવાજોગ દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી હતી. જોકે, તેમની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી
ન હતી. દરમિયાન આજે ભરૂચના ગોલ્ડન બ્રીજ પાસેના બોરભાઠા નજીકમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિક તરવૈયાઓ અને સમાજ સેવકોએ ભેગા મળીને નદીના પટમાંથી મહિલાનો મૃતદેહ બહાર
કાઢ્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. નર્મદા નદીમાંથી મૃત અવસ્થામાં મળેલી મહિલા કોણ છે ? તે જાણવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતા. જે દરમિયાન અંકલેશ્વરની મહિલા ડોક્ટર બે દિવસ પહેલા જ ગૂમ
થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ. આખરે, પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને આ બાબતની જાણ હતી. જેથી જીઆઈડીસી પોલીસની ટીમ અંકલેશ્વરમાંથી ગૂમ થયેલી મહિલા ડોક્ટર મનિષાના પતિ કલ્પેશભાઈને
સાથે લઈને ભરૂચ પહોંચી હતી. જ્યાં કલ્પેશભાઈએ લાશને ઓળખી બતાવી હતી. નદીમાંથી મળેલી લાશ ડો. મનિષાની જ હોવાનુ પુરવાર થતા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. મહિલા ડોક્ટર મનિષા
વાળાની લાશ નદીમાં આવી કેવી રીતે? અને તેમના મોતનું સાચુ કારણ શું તે જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મહિલા ડોક્ટરનો મૃતદેહ ડીકંપોઝ હાલતમાં હતો
નર્મદા નદીમાંથી મૃત હાલતમાં મળેલી ડો. મનિષા વાળાની લાશ ડિકંપોઝ થઈ ગઈ હતી. લાશની સ્થિતિ જોતા એવુ સ્પષ્ટ થતુ હતુ કે, એકાદ-બે દિવસ પહેલા જ એનુ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હશે. પોલીસે લાશનું
પોસ્ટમાર્ટમ કરાવીને મહિલા ડોક્ટરના મોતનું સાચુ કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. ડો. મનિષા વાળા મૂળ ભાવનગરની છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી પતિ સાથે અંકલેશ્વરમાં રહેતી હતી. અને જયાબેન મોદી
હોસ્પિટલમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવતી હતી.
બપોરે એક વાગ્યાની આસપાસ સીસીટીવીમાં દેખાયા હતા
ડો. મનિષા વાળા અંકેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર વિભાગમાં ફરજ બજાવતી હતી. ડો. મનિષાએ ડીએચએમએસનો અભ્યાસ કર્યો હતો. ૧૬મીએ સવારે તે રોજીંદા ક્રમ પ્રમાણે હોસ્પિટલમાં ગઈ હતી. અને બપોરના
સમયે ભરૂચ જવા નીકળી હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ડો. મનિષા બપોરના લગભગ એકાદ વાગ્યાની આસપાસ હોસ્પિટલની બહાર નીકળતી દેખાય છે અને ત્યારપછી ૧૮મીએ તેની લાશ નર્મદા નદીમાંથી મળી આવે
છે. હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ ડો. મનિષા ક્યાં ગઈ હતી ? તે જાણવુ પોલીસ માટે મહત્વનું છે. પોલીસે ડો. મનિષાની કોલ ડિટેલ જાણવાના પ્રયાસ શરૂ કર્યા છે.
ભરૂચનો નર્મદા મૈયા બ્રીજ પરથી ૩૫થી વધુ લોકોએ ઝંપલાવ્યુ છે
ડો.મનિષા વાળાની લાશને નર્મદા નદીમાંથી બહાર કાઢવાનું કામ ધર્મેશ સોલંકી નામના સમાજ સેવકે કર્યું હતુ. લોકસત્તા જનસત્તા સાથેની વાતચીત દરમિયાન ધર્મેશે જણાવ્યુ હતુ કે, ભરૂચનો નર્મદા મૈયા બ્રીજ સ્યુસાઈડ પોઈન્ટ
બન્યો છે. જ્યારથી તેની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૩૫થી ૩૬ જેટલા લોકોએ આ બ્રીજ પરથી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારી તંત્રે નર્મદા મૈયા
બ્રીજની સાઈડો પર જાળી લગાવવી જોઈએ. જેથી કોઈપણ વ્યક્તિ નદીમાં ઝંપલાવી ના શકે.