29, મે 2025
2475 |
ગાંધીનગર, રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને પીએમજેએવાય યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ છે. આ માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સે તેમના કુટુંબને લાભ અપાવવા માટે આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જે જે તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઓલ ઈન્ડિયા સર્વિસિસ (એઆઇએસ) ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પીએમજેએવાય-મા યોજના અંતર્ગત “જી” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મીઓને મળવાપાત્ર બને છે. જેના સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા કર્મીઓ, પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટેની નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પડાઈ છે. તદ્અનુસાર “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” (કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ) સહાય મેળવવા માટે પીએમજેએવાય યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. જે કાર્ડની ફાળવણી સ્ટેટ હેલ્થ એજન્સી (એસએચએ) ને સોંપવામાં આવેલી છે. રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ ના નિયમોમાં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ અને એઆઇએસના અધિકારીઓના કિસ્સામાં તેમને લાગુ પડતા એઆઇએસ (મેડિકલ એટેન્ડન્સ) રૂલ્સ, ૧૯૫૪ અંતર્ગત કુટુંબની વ્યાખ્યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતુ પ્રમાણપત્ર આપવાનું રહેશે.
આ તમામ કર્મીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે.
એઆઇએસ અને રાજ્ય સરકારના પેન્શનર્સના કિસ્સામાં પેન્શનર જે જિલ્લા તિજાેરી કચેરી/ પેટા તિજાેરી કચેરી/ પેન્શન ચૂકવણાં કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લા તિજાેરી અધિકારી/ પેટા તિજાેરી અધિકારી/ પેન્શન ચૂકવણા અધિકારી/ પગાર અને હિસાબ અધિકારી દ્વારા અથવા વિકલ્પે જે કચેરીમાંથી નિવૃત થયા હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે.
ઈ-કેવાયસી કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ તેમાં દર્શાવવાનો રહેશે.
ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂંક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઇ અધિકારી / કર્મચારી સેવા છોડીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરાય અને કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી/કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવાપાત્ર ન રહે તેવા કિસ્સામાં તેણે છેલ્લે જ્યાં ફરજ બજાવી છે તે કચેરીના વડાએ એસએચએને તે અંગેની સત્વરે જાણ કરવાની રહેશે. જેના આધારે એસએચએ દ્વારા પીએમજેએવાયમાં આ યોજના હેઠળના લાભાર્થી તરીકેના નામમાંથી તેઓ અને તેઓના કુટુંબના સભ્યોના નામ કમી કરવામાં આવશે.