17, મે 2025
ગાંધીનગર |
792 |
ઘણા વખતથી ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ નહી, પરંતુ વહીવટદારોનું શાસન છે. આ જ મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જેને લઈને રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે. આ જોતાં હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત આવશે. સરપંચ બનવા માટે દાવેદારોએ પણ ગોંડફાધરની ચોખટે માથા ટેકવાના શરૂ કરી દીધા છે. મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમ નહીં બેલેટ પેપરનો ઉપયોગ થશે.
30મી જૂને ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે. મુદત પૂર્ણ થઇ હોય તેવી પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યના તમામ જિલ્લા કલેકટરને પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ આપી દીધા છે. ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણી પંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટીંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા આદેશ આપી દીધા છે.
કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી - મદદનીશ ચૂંટણી અધિકારી - કાઉન્ટીંગ સ્ટાફને તાલીમ આપવાનું આયોજન કરવા આદેશ અપાયા છે. બીજી તરફ સરપંચ અને સભ્ય બનવા માટે દાવેદારોએ પણ કમરકસી છે. દાવેદારો દ્વારા ગોડફાધરની ચોખટ ગણવાની શરૂઆત કરી છે.
બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા સરપંચ પદના ઉમેદવાર તેમજ સભ્ય પદના ઉમેદવારે કેટલો ચૂંટણી ખર્ચ કરવો તેના ધારાધોરણ પણ નક્કી કરવામાં આવશે. પંચાયતની ચૂંટણીમાં કેટલી મતપેટીઓ જોઈએ, કેટલી મતકુટિરની જરૂરિયાત ઉભી થશે. એટલુ જ નહીં, મતદારોની આંગળીએ લગાવવામાં આવતી શાહી કેટલી માત્રામાં જોઈશે તે સમગ્ર બાબતે કામગીરી કરવા અત્યારથી જીલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યાં છે.