12, ડિસેમ્બર 2024
396 |
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ માટે 2024નું વર્ષ ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું હતું. જેને ક્રિકેટ ચાહકો ભાગ્યે જ ભૂલી શકશે. એક તરફ ભારતીય ટીમે આ વર્ષે T20 વર્લ્ડકપ જીત્યો હતો તો બીજી તરફ ઇતિહાસમાં પહેલી વખત ટીમ ન્યુઝીલૅન્ડ સામે ટેસ્ટ સીરિઝ હારી ગઈ હતી. આ સાથે ભારતીય ટીમ વર્ષ 2024માં એક પણ વનડે મેચ જીતી શકી નથી. સન 1979 પછી આ પહેલી વખત અને બધી જ રીતે જોઈએ તો ત્રીજી વખત આવું બન્યું છે, કે જ્યારે ભારત એક પણ વનડે મેચ જીત્યું નથી.
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સન 1974થી વનડે મેચ રમી રહી છે. ત્યારથી ભારત સતત વનડે મેચ રમી રહ્યું છે. ભારતે શરુઆતના સમયગાળામાં આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. વર્ષ 1974, 1976 અને 1979માં ભારત એક પણ વનડે મેચ જીતી શક્યું ન હતું. જો કે આ સમયગાળા દરમિયાન ભારતે 1975 વર્લ્ડકપમાં એક મેચ અને 1978માં પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારતીય ક્રિકેટની જીતનો સિલસિલો સન 1980થી શરુ થયો હતો, જે 2023 સુધી ચાલુ રહ્યો હતો. પરંતુ 45 વર્ષ બાદ ભારતની આ જીતનો સિલસિલો 2024માં બંધ થઈ ગયો હતો. જો કે, ભારતીય ટીમે આ વર્ષે ઓછી વનડે મેચ રમી છે. ભારતીય ટીમ વિરાટ કોહલી જેવા તમામ સ્ટાર્સ સાથે રોહિત શર્માની કૅપ્ટનશીપમાં શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. ઑગસ્ટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાઈ હતી. જે શ્રીલંકાએ 2-0થી જીતી લીધી હતી. સીરિઝની એક મેચ રદ્દ કરવામાં આવી હતી. આ રીતે ભારતીય ટીમ પર 2024માં એક પણ વનડે મેચ ન જીતવાનો ડાઘ લાગી ગયો છે.
રોહિત શર્માની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમે 2024માં એક પણ વનડે ન જીતવાનો રૅકોર્ડ બનાવ્યો. આ સિવાય ભારતીય ટીમ આ જ વર્ષે ન્યુઝીલૅન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ પણ હારી ગઈ હતી. ન્યુઝીલૅન્ડે ભારત સામે ક્લીન સ્વીપ કર્યું હતું અને હારનો આ ડાઘ રોહિતના નામે લાગી ગયો હતો.
ભારત અને ન્યુઝીલૅન્ડની ટીમોએ આ વર્ષે સૌથી ઓછી વનડે મેચ રમી હતી. આ બે પછી આયર્લેન્ડ સૌથી ઓછી મેચ રમ્યું. તેણે 2024માં 5 વનડે રમી અને એક મેચ જીતી હતી. ઝિમ્બાબ્વેએ 6 વનડે રમી અને એક જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ પણ 6 વનડે મેચ રમી જેમાંથી તેણે 3 જીતી હતી.