12, એપ્રીલ 2021
693 |
રાજકોટ-
કોરોના વાયરસનું જીવલેણ સંક્રમણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધીમે ધીમે વધુ ચિંતાજનક બની રહ્યું છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ, સંક્રમણ અટકાવવા અહીંનું વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિર સોમવારથી આગામી તારીખ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનું કરવામાં આવ્યું છે. જ્યારેે કચ્છ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધારો થઈ રહ્યો છે ત્યારે સતત બીજા વર્ષે ચૈત્રિ નવરાત્રી દરમિયાન માતાના મઢનું આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે પરંતુ, નવરાત્રી દરમિયાન મંદિરમાં થતી તમામ ધાર્મિક વિધિ પૂજારીની હાજરીમાં કરવામા આવશે. ભક્તો ઘરબેઠા યૂ ટ્યૂબના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે.
શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જગત મંદિરના દર્શન આમ જનતા માટે તા. 30 મી એપ્રીલ સુધી બંધ રહેશે. મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પારંપરિક નિત્યક્રમ કરવામાં આવશે. આ દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે. તેમ વધુમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ વર્ષે કોરોના મહામારીના પ્રારંભે દ્વારકાધીશ સહિતના વિવિધ પૌરાણિક મંદિરો અગાઉ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલથી દ્વારકાધીશ મંદિર બંધ થતાં અન્ય ધર્મ સ્થળો માટે પણ આ નિર્ણય અનુસરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં કોરોના બીમારી ચિંતા સ્તરે વધી ગઈ છે જેના અગમચેતીના ભાગરૂપે ગઈકાલે નારાયણ સરોવર અને કોટેશ્વરના દ્વાર દર્શનર્થીઓ માટે બંધ કરાયા બાદ આજે માતાના મઢના પ્રસિદ્ધ યાત્રાધામ માં આશાપુરા મંદિરના દર્શન પણ જાહેર જનતા માટે બંધ રાખવાની જાહેરાત મંદિરના જાગીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.