દાહોદ ખાતે વડાપ્રધાન મોદીનો હુંકાર, ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે
26, મે 2025 દાહોદ   |   9306   |  

જેને કોઈ ના પૂછે તેને મોદી પૂજે, છેવાળાના વ્યક્તિ માટે પણ આ સરકારે કામ કર્યું છે : મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદ ખાતે સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવા માટેની અપીલ 

એક સમયમાં પછાત કહેવાતું દાહોદ આજે સ્માર્ટ સીટી બની રહ્યું છે 

આતંકીઓએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે મોદી સાથે મુકાબલો કરવો કેટલો મુશ્કેલ છે


ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે. સવારે વડોદરા ખાતે રોડ શો બાદ તેઓ દાહોદઃ ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાને દાહોદમાં 9000 એચપીના  પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું.

વડોદરામાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. બાદમાં PM મોદીએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.  વડાપ્રધાને દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂ. 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કર્યું હતું. તેની સાથે સાથે  આણંદ-ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફ્કિેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ.2287 કરોડના કામો સહિત રેલવેના કુલ રૂ. 23,692 કરોડના કામોનું લોકાર્પણ કર્યું . વડાપ્રધાન દાહોદમાં 9000 એચપીના  પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું. 

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સ્વાગત પ્રવચનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી તેઓએ કહ્યું હતું કે, 'કેમ છો દાહોદ, મઝામાં? '  કરતા જણાવ્યું હતું કે, અગાઉ જયારે સ્ટીમ એન્જીનનો જમાનો હતી ત્યારે દાહોદનું એક વર્ચસ્વ હતું પરંતુ જયારે ઇલેક્ટ્રિકલ એન્જીન આવ્યું ત્યારે દાહોદનું કામ બંધ થતા દાહોદની અર્થવ્યવસ્થા ઉપર મોટો ફર્ક પડ્યો. પરંતુ 2022 માં વડાપ્રધાને નક્કી કર્યું કે દાહોદમાં લોકો એન્જીન બનશે. આજે આ આખી દુનિયામાં મેડ ઈન દાહોદ એન્જીન એક્સપોર્ટ થશે. આ એક ચાલતું ફરતું કોમ્પ્યુટર છે. આ એન્જીનનું નામ ડી - 9 નામ આપવામાં આવ્યું છે એટલે કે દાહોદ 9000 દાહોદ હવે દાહોદ સમગ્ર વિશ્વમાં ઓળખાશે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની સફળતા પછી ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમ વખત પધારેલા વડાપ્રધાન અને સેનાના જવાનોને ગુજરાતની જનતા  વતી  ખુબ ખુબ અભિનંદન. વડાપ્રધાને આ ઓપરેશનથી આતંકવાદ સામેની લડતમાં નવા માપદંડ નક્કી કર્યા છે. હવે આતંકનો જવાબ તરત અને સખત શબ્દોમાં અપાશે તેવો સંદેશ આપ્યો છે. આજે સાબરમતી - બોટાદ રેલવે  વિદ્યુતીકરણ સાથે ગુજરાતમાં 100 ટકા રેલ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયું છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે. 


દાહોદમાં જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીએ તિરંગો લહેરાવીને અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2014 માં આજના જ દિવસે મેં સૌપ્રથમ વખત પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતના લોકોએ મને ભરપૂર આશીર્વાદ આપ્યા અને બાદમાં દેશવાસીઓએ મને આશીર્વાદ આપવામાં કોઈ કચાશ નથી રાખી. આપના આશીર્વાદની શક્તિ થી હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં જોડાયેલો રહ્યો છું. આ વર્ષોમાં  દેશે એવા નિર્ણયો લીધા છે જે અકલ્પનિય છે. આ વર્ષોમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે. દેશ નિરાશાના અંધકારથી નીકળી વિશ્વાસના અજવાળામાં પહોંચી તિરંગો લહેરાવી રહ્યો છે. દેશની તરક્કી માટે જે કઈ પણ જોઈએ તે આપને ભારતમાં જ બનાવીએ તે આજના સમયની માગ છે. ભારત તેજ ગતિથી મેન્યુફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યું છે. આજે ભારત રેલ, મેટ્રો, અને તેના માટે જરૂરી ટેક્નોલોજી જાતે જ બનાવે છે અને દુનિયામાં એક્સપોર્ટ કરે છે. આપણું આ દાહોદ તેનું જીવતું ઉદાહરણ છે. ત્રણ વર્ષ પહેલા આ લોકોમોટીવ ફેક્ટરીનું શિલાન્યાસ કરવા આવ્યો હતો. કેટલાક ત્યારે પણ ગાળો આપી હતી અને કહેતા કે ચૂંટણીના કારણે શિલાન્યાસ કર્યો છે. પણ આજે પહેલું લોકોમોટિવ બનીને તૈયાર થઇ ગયું છે અને આજે તેને લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. આજે ગુજરાતને એક ઉપલબ્ધિ હાંસલ થઇ છે. ગુજરાતની 100 ટકા રેલવેનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. દાહોદ સાથે મારો જૂનો નાતો છે.  રાજનીતિ પહેલાથી દાહોદ સાથેનો સંબંધ છે. આપણી યુવા પેઢી નવી ટેક્નોલોજી દેશમાં જ તૈયાર કરી રહી છે. અગાઉ આપણે આ બધું વિદેશથી લાવું પડતું હતું. વિશ્વમાં અનેક એવા દેશ છે જ્યાં ટ્રેનના કોચ ભારતથી બનીને ગયા છે. મેડ ઈન ઇન્ડિયા લોકોમોટિવ હવે ભારત અનેક દેશમાં એક્સપોર્ટ કરશે. મેડ ઈન ઇન્ડિયાનો વિસ્તાર થઇ રહ્યો છે જેનાથી સૌ ભારતવાસીઓનું માથું ગૌરવથી ઊંચું થઇ ગયું છે. દાહોદની આ લોકોમોટિવ ફેકટરીમાં આગામી દિવસોમાં બે દિવસમાં એક એન્જીન તૈયાર થશે અને જેના કારણે સ્થાનિકોને મોટી રોજગારી મળી શકશે. 


વડાપ્રધાને ચીની વસ્તુઓ નહિ વાપરવા આડકતરો ઈશારો કર્યો 

વડાપ્રધાને ઉમેર્યું હતું કે હવે આપણે આપણા ઘરમાં વિદેશી વસ્તુઓની વાપરવાની બંધ કરવી જોઈએ. તેઓએ ચીનની ચીજવસ્તુઓ નહીં વપરાય આડકતરી રીતે જણાવ્યું હતું કે, સહુએ સ્વદેશી ચીજવસ્તુઓ જ વાપરવી જોઈએ. આપણે અહીં એવો ટ્રેન્ડ છે કે ગણપતિ આવે તો પણ ઝીણી આંખ વાળા વિદેશી ગણપતિ લાવીએ છે, હોળી ધુળેટીની પિચકારી હોય કે ફટાકડા હોય એ આપણે વિદેશી જ વાપરીએ છે. પરંતુ લોકોએ હવે સ્વદેશી વાપરવું જોઈએ જેથી અહીંના લોકોને કમાણી થાય. 


તેઓએ કહ્યું હતું કે, દાહોદમાં આવતા પહેલા હું વડોદરામાં હતો ત્યાં હજારોની સંખ્યામાં હજારો મહિલાઓએ અભિવાદન કર્યું છે. મહિલાઓએ આ પવિત્ર કામનો નિમિત્ત મને બનાવ્યો છે. હું માતૃ શક્તિને નમન કરું છું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કર્યું તે બાદ શું ભારત ચૂપ રહી શકે? મોદી ચૂપ રહી શકે? જયારે કોઈ ભારતની બહેનોનું સિંદૂર મિટાવશે ત્યારે તેનું નામોનિશાન મટવું નક્કી છે. ઓપરેશન સિંદૂર એ આતંક ફેલાવનારાઓને સંદેશ છે. તેઓએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે મોદી સાથે મુકાબલો કરવો કેટલો મુશ્કેલ છે. આતંકીઓએ બાળકોની સામે પિતાને ગોળી મારી દીધી આતંકવાદીઓએ 140 કરોડ લોકોને ચુનોતી આપી હતી જેથી મોદીએ એ જ કર્યું જે દેશવાસીઓ ઇચ્છતા હતા. સરકારે ત્રણેય સેનાઓને છૂટ આપી અને અમારા શૂરવીરોએ એ કરી બતાવ્યું જે દુનિયાએ આજ પહેલા નહીં જોયું હોય. ભારતની કાર્યવાહી જોઈને પાકિસ્તાને દુઃસાહસ કર્યું ત્યારે ભારતીય સેનાએ તેઓને પણ ધૂળ ચટાવી હતી. દાહોદની ભૂમિ પરથી હું દેશની સેનાના શૌર્યને નમન કરું છું. પાકિસ્તાનનું એકમાત્ર લક્ષ્ય ભારત સાથે નફરત ફેલાવવાનું  છે, ભારત સાથે દુશ્મની નિભાવવું છે. પરંતુ ભારતનું લક્ષ્ય દેશને મજબુત કરવાનું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution