અદાણી ગૃપ ઉત્તર પૂર્વ પ્રદેશમાં રુ.૧ લાખ કરોડનું રોકાણ કરશે
24, મે 2025

વડોદરા: દાયકાઓથી દેશની વિકાસ ધારાથી વંચિત રહેલા ભારતના આસામ અને વિશાળ ઉત્તર પૂર્વ ભાગ માટે વિકાસના નવા અધ્યાયનો ઉઘાડ થયાની પ્રતીતિ અહીં યોજાયેલી રાઇઝીંગ નોર્થ્ ઇસ્ટ ગ્લોબલ રોકાણકાર શિખરમાં થઇ હતી. અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ ઉત્તર પૂર્વીય પ્રદેશમાં આગામી દશ વર્ષમાં રુ.૧,૦૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની મહત્વની જાહેરાત કરીને વિવિધ ઉદ્યોગોના વિકાસની વિપુલ શક્યતા ધરાવતા આ પ્રદેશની ઔદ્યોગિક કાયાપલટ સાથે રોજગાર નિર્માણની તકો સાથે આત્મ નિર્ભર ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યોગદાન આપવાની અદાણી ગૃપની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ઉત્તર પૂર્વી રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીઆ અને વરિષ્ઠ અગ્રણીઓ તથા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યોજાયેલ રાઇઝીંગ નોર્થ્ ઇસ્ટ ગ્લોબલ રોકાણકાર શિખરમાં સંબોધન કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમના સમૂહનું લક્ષ્ય કૌશલ્ય અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો મારફત સ્માર્ટ મિટર્સ, હાઇડ્રો, પમ્પ્ડ સ્ટોરેજ હરીત ઉર્જા, વીજ ટ્રાન્સમિશન, માર્ગો અને ધોરીમાર્ગો, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ક્ષમતા નિર્માણનું રહેશે.

 ફક્ત ત્રણ મહિના પહેલા ફેબ્રુઆરીમાં યોજાયેલ એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં અદાણી જૂથ દ્વારા જાહેર કરાયેલ રુ. 50,000 કરોડના રોકાણની આ પ્રતિબદ્ધતા બમણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને સંબોધન કરતાં અદાણીએ આજે કહ્યું હતું કે આપના નેતૃત્વથી પ્રેરણા મળી છે. ત્યારે જાહેરાત કરું છું કે અદાણી જૂથ આગામી 10 વર્ષમાં ઉત્તરપૂર્વમાં વધારાનું 50,000 કરોડનું રોકાણ કરશે."

 પોતાના સંબોધનમાં અદાણીએ વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વમાં થઇ રહેલા પરિવર્તનની પ્રશંસા કરતા આ પ્રદેશમાં મોટા પાયે માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપવાની બાબત ટાંકીને કહ્યું હતું કે ઉત્તર પૂૂર્વમાં 2014 થી રોડ નેટવર્કનું વિસ્તરણ કરી લગભગ 16,000 કિ.મી સુધી બમણું કરવા માટે રુ.6.2 લાખ કરોડનું રોકાણ થયું હતું તથા ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા 9 થી વધારી 18 કરવામાં આવી છે

 "એક્ટ ઇસ્ટ, એક્ટ ફાસ્ટ, એક્ટ ફર્સ્ટ" ના વડા પ્રધાનના સિદ્ધાંતને આ પ્રદેશના વિકાસ માટેના ટર્નિંગ પોઇન્ટ તરીકેનો શ્રેય તેમણે આપ્યો હતો. "આ કેવળ નીતિ નથી. તે તમારી મોટી વિચારસરણીની વિશેષતા છે," એમ અદાણીએ કહ્યું હતું.

અદાણીએ પ્રથમ લોકાભિમુખ અભિગમને ધ્યાનમાં રાખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે શારીરિક માળખાગત સુવિધાઓ ઉપરાંત અદાણી ગૃપના રોકાણો નોકરીઓની તકોનું સર્જન, ઉદ્યોગસાહસિકતા અને સમુદાયોને જોડવાને પ્રાધાન્ય આપશે."ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ અમે લોકોમાં રોકાણ કરીશું. અમારો પ્રત્યેક અભિગમ સ્થાનિક નોકરીઓ, સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને સમુદાયને જોડવાને પ્રાથમિક્તા  આપશે."

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution