બરોડિયન્સ તમને નિમંત્રણ હતું? કોર્પોરેશનના નેતા, અધિકારીઓ માટે મિજબાની યોજાઈ
29, નવેમ્બર 2023 198   |  

વડોદરા, તા. ૨૮

વડોદરા કોર્પોરેશનમાં દિવાળી પછી ભલે બધા એકબીજાને સો વાર મળ્યા હોય પણ જ્યાં સુધી સ્નેહ મિલન ના થાય ત્યાં સુધી નવાવર્ષની શુભકામનાની ઔપચારિકતા પૂરી થતી નથી. કદાચ એટલે જ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટીબાગના બોન્સાઈ પાર્કમાં વૈભવી સ્નેહ મિલન સમારંભ યોજીને વર્ષો પુરાણા શિરસ્તાને આગળ ધપાવવામાં આવ્યો હતો. મેયર પિન્કીબેન સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલા કોર્પોરેશનના સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્યો, કાઉન્સિલરો અને મહત્વના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પ્રીતિ ભોજનમાં સુપથી માંડીને ડેઝર્ટ સુધીની તમામ મૌજુદ હતી. ઈટાલિયન, પંજાબી, સાઉથ ઈન્ડિયન અને ગુજરાતી વાનગીઓનો સ્વાદિષ્ટ રસથાળ મોઢામાં પાણી લાવતા હતા. સુરતી ઉંધિયું, પનીર અંગારા, જાફરાની રાઈસનો સ્વાદ દાઢે વળગે તેવો હતો. સાથે તંદૂરી રોટી, ચપાતી અને નાન પંજાબી સબ્જીના સ્વાદમાં વધારો કરતા હતા. કેસરિયાં મિલ્ક, કુલ્ફી અને જલેબી જેવી મીઠાઈ સ્નેહ મિલન સમારંભના આયોજનમાં મીઠાશ ભેળવતી હતી. ચાટ સ્ટેશન, પાણીપુરી, પીઝા, પાસ્તા અને પનીર ચિલ્લી જેવા લાઈવ કાઉન્ટરો પર કોઈને લાઈનમાં ના ઉભુ રહેવુ પડે એની ખાસ તકેદારી રખાઈ હતી. પ્રીતિ ભોજન બાદ મહેમાનોએ સુમધુર સંગીત સંધ્યા માણી હતી. કોર્પોરેશનના સત્તાધીશોના વૈભવી સ્નેહ મિલન સમારંભ પાછળ પ્રજાના વેરાના લાખો રૂપિયાનો વેડફાટ હતો. સાથેસાથે ગંદુપાણી, ઉભરાતી ગટરો, પારાવાર ગંદકી, રખડતાં ઢોર અને રસ્તાના પરના ગાબડાના નિસાસા પણ હતા.

૨૫૦ જેટલા મહેમાનો જ આવ્યા ઃ મ્યુ. કમિશનર

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે પાલિકાની પ્રતિવર્ષની પરંપરા મુજબ નૂતન વર્ષ મિલન સમારોહમાં કાઉન્સિલરો,પાલિકાના અધિકારીઓ ઉપરાંત શહેરના એમપી અને તમામ એમએલએને આમંત્રણ આપવામાં આવ્યું છે.જે પૈકી હાલમાં સમારોહમાં અંદાજે ૨૫૦ જેટલા લોકો હાજર છે.આમંત્રિત તમામને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવીહતી.

બરોડિયન્સ શું આપને આ નિમંત્રણ મળ્યું છે?

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષની પરંપરા અનુસાર નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો છે. એની આમંત્રણ પત્રિકા પાલિકાના જાહેર સમારોહની માફક લાંબી લચક યાદી સાથે મોકલવામાં આવે છે. જેમાં નિમંત્રક તરીકે પાલિકાના કમિશ્નર અને મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકના નામનો સમાવેશ થતો હતો. આ સમારોહ ભલે પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતા વેરાના નાણાંથી યોજાતો હોય. પરંતુ દલા તરવાડીની નીતિરીતિથી યોજાતા આ સમારોહનું નિમંત્રણ માત્રને માત્ર કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત પાલિકાના અધિકારીઓને જ આપવામાં આવે છે. પ્રજાની બાદબાકી કરીને પ્રજાના પ્રતિનિધિઓને નૂતન વર્ષના સ્નેહ મિલનના નામે જલસા કરાવવાનો સંયુક્ત કારસો રચનારાઓને કોણ લગામમાં લેશે?અને ક્યારે? એ વેરો ભરનાર શાણી પ્રજા વિચારી લે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution